એરપોર્ટ, IIT અને મખાના બોર્ડ: બજેટ 2025માં પણ બિહારનો દબદબો
Budget 2025: કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે (પહેલી ફેબ્રુઆરી) લોકસભામાં બજેટ 2025 રજૂ કરી રહ્યા છે. આ વખતે સામાન્ય બજેટમાં બિહારનો દબદબો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી બિહારને બજેટમાં ઘણી મોટી ભેટો મળી છે. ગ્રીન ફિલ્ડ ઍરપોર્ટથી લઈને IIT પટનાના વિસ્તરણની પણ જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત બિહારના લોકોની આવક વધારવા માટે બજેટમાં એક મોટી જાહેરાત પણ કરવામાં આવી છે. ત્રીજા કાર્યકાળના પહેલા બજેટમાં બિહારના લોકોને ઘણી ભેટો મળી હતી. હવે બિહારના લોકોને પણ આ બજેટથી ઘણી અપેક્ષાઓ છે. ત્યારે ચાલો જાણીએ કે આ વર્ષના સામાન્ય બજેટમાં બિહારને શું-શું મળ્યું....
બજેટ 2025માં બિહાર માટે મહત્ત્વની જાહેરાત
•બિહારના મિથિલાંચલમાં પશ્ચિમ કોસી નહેર એઆરએમ પ્રોજેક્ટ માટે સહાય પૂરી પાડવામાં આવશે. આનાથી 50 હજાર હેક્ટરથી વધુ ખેતી કરતાં ખેડૂતોને ફાયદો થશે.
•નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે બિહારમાં ગ્રીનફિલ્ડ ઍરપોર્ટ બનાવવામાં આવશે.
•બજેટમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે IIT પટનાની ક્ષમતાનો વિસ્તાર કરવામાં આવશે, એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે.
•બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ટૅક્નોલૉજી આંત્રપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટની સ્થાપના કરવામાં આવશે. આ સંસ્થા સમગ્ર પૂર્વીય ક્ષેત્રમાં ખાદ્ય પ્રક્રિયા પ્રવૃત્તિઓને મોટો વેગ આપશે. આનાથી ખેડૂતોના ઉત્પાદનોના મૂલ્યવર્ધન દ્વારા તેમની આવકમાં વધારો થશે. યુવાનોને કૌશલ્ય તાલીમ અને રોજગારની તકો મળશે.
•બિહારમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) અને સ્ટાર્ટઅપ્સ માટે મદદની જાહેરાત થઈ શકે છે. જેના કારણે રાજ્યમાં MSMEને પ્રોત્સાહન મળશે.