હિમાલયમાં ઉગતા બુરાંશ નામના છોડના પાંદડાઓ કોરોનાની સારવારમાં મદદરૂપ
આઇઆઇટી, મંડી અને આઇસીજીઇબીનું સંશોધન
આ છોડના પાંદડાઓમાં ફાઇટોકેમિકલ હોય છે જે શરીરને વાઇરસ સામે લડવાની શક્તિ આપે છે
નવી દિલ્હી : ઇન્ડિયન ઇનસ્ટીટયૂટ ઓફ ટેકનોલોજી(આઇઆઇટી), મંડી અને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર જીનેટિક એન્જિનિયરિંગ એન્ડ બાયોટેકનોલોજી(આઇસીજીઇબી)ના સંશોધકોએ હિમાલયમાં જોવા મળતા છોડ બુરાંશના પાંદડાઓમાં ફાઇટોકેમિકલની શોધ કરી છે. જેનો ઉપયાગ કોરોનાની સારવારમાં થઇ શકે છે.
ફાઇટોકેમિકલ વનસ્પતિમાં પ્રાકૃતિક રીતે જોવા મળે છે અને આરોગ્યની દ્રષ્ટિએ લાભકારક પુરવાર થાય છે. સંશોધનમાં પુરવાર થયું છે કે હિમાલયમાં જોવા મળતા બુરાંશ છોડના પાંદડાઓમાં વાઇરસ સામે લડવાની તાકાત હોય છે.
બાયોમોલિક્યુલર સ્ટ્રકચર એન્ડ ડાયનામિક્સ નામની જર્નલમાં આ અંગેનો અહેવાલ પ્રકાશિત થયો હતો. સંશોધકોના જણાવ્યા અનુસાર કોરોના મહામારી શરૂ થયાને લગભગ બે વર્ષ થઇ ગયા છે. સંશોધકો આ વાઇરસની પ્રકૃતિને સમજવાના પ્રયત્નો કરી રહ્યાં છે.
આઇઆઇટી, મંડીના સ્કૂલ ઓફ બેઝિક સાયન્સના એસોસિએટ પ્રોફેસર શ્યામ કુમાર મસકપલ્લીએ જણાવ્યું છે કે વાઇરસ સામે શરીરને લડવાની ક્ષમતા પ્રદાન કરવા માટેનો એક પ્રકાર વેક્સિન છે. જ્યારે બીજો પ્રકાર વેક્સિન સિવાયની દવાઓ કે જે શરીરને વાઇરસ સામે લડવાની શક્તિ પ્રદાન કરે.
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના બે વર્ષ થઇ ગયા હોવા છતાં આ વાઇરસના સંક્રમણને અટકાવવામાં સફળતા મળી નથી. વેક્સિન લીધા પછી પણ આ સંક્રમણ ફેલાઇ રહ્યું હોવાના કેસો પણ સપાટી પર આવ્યા છે.