કરોડો કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ: પેન્શનને લઈને મોટી જાહેરાત કરી શકે છે સરકાર

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
Pension


Old Pension Scheme : વિપક્ષે જૂની પેન્શન યોજના લાગુ સમર્થન આપ્યું છે. આ સાથે વિપક્ષ દ્વારા અનેક રાજ્યોમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાનો વાયદો પણ કરવામાં આવ્યો છે. બીજી તરફ, આ મામલે મોદી સરકારે મૌન ધારણ કર્યુ છે. આ દરમિયાન કર્મચારીઓને વધુ પેન્શન મળી રહે તે માટે રાષ્ટ્રીય પેન્શન યોજનામાં (NPS) કેટલાંક ફેરફાર કરવાની તૈયારી ચાલી રહી છે. જેમાં સરકાર આગામી 23 જુલાઈએ રજૂ કરાતાં બજેટમાં પેન્શન યોજનાને લઈને જાહેરાત કરી શકે છે. આ સાથે સરકાર દ્વારા NPS માં ગેરેન્ટી રિટર્ન ઓફર લાગુ કરી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે, કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના છેલ્લા પગારના 50 ટકા પેન્શન તરીકે મળવાનું વચન આપી શકે છે.

સોમનાથનની સમિતિએ ગેરેન્ટી રિટર્નની અસરનું ખાસ મૂલ્યાંકન કર્યુ

વર્તમાન સ્કીમમાં પણ 25-30 વર્ષથી રોકાણ કરનારા કર્મચારીઓને સારું વળતર મળી રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને એવા કર્મચારીઓ કે જેમની 2004 પછી ભરતી કરવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે, સોમનાથનની સમિતિએ આંતરરાષ્ટ્રીય પ્રેક્ટિસ કરવાની સાથે-સાથે આંધ્ર પ્રદેશ સરકારની પેન્શન પોલિસીનો પણ અભ્યાસ કર્યો હતો. જેમાં આ સમિતિ દ્વારા ગેરેન્ટી રિટર્નની અસરનું ખાસ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

પેન્શન યોજનાને લઈને 2023 માં નાણા સચિવની અધ્યક્ષતામાં સમિતિ રચવામાં આવેલી

NPS ને આકર્ષક બનાવવા માટે સરકાર ઘણાં સમયથી કાર્યરત છે. કેન્દ્ર સરકાર હેઠળ કામ કરી રહેલા કર્મચારીઓને તેમના છેલ્લા પગારના 50 ટકા રકમ પેન્શનમાં આપવામાં આવે તે માટે સરકાર ગંભીરતાથી વિચારણ કરી રહી છે. નાણા મંત્રી નિર્મલા સિતારામનની જાહેરાત પછી 2023 માં નાણા સચિવ ટી.વી. સોમનાથનની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિમાં ખાસ કરીને જૂની પેન્શન યોજના લાગુ કર્યા વગર NPS અંતર્ગત પેન્શન લાભોમાં કઈ રીતે સુધારા વધારા કરી શકાય તે તપાસવાનું હતું. કોંગ્રેસ દ્વારા ગત વર્ષે જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગેની ઘોષણા પછી આ સમિતિની રચના કરવામાં આવી હતી. આ દરમિયાન કેન્દ્ર સરકારે જૂની પેન્શન યોજના લાગુ કરવાનો ઈનકાર કર્યો હતો.

રાષ્ટ્રીય પેન્શન યોજનામાં 10 ટકાના યોગદાન સામે સરકારનું 14 ટકા વળતર 

પગાર પંચની ભલામણોને ધ્યાનમાં રાખીને જૂની પેન્શન યોજનામાં સરકારી કર્મચારીઓને તેમના છેલ્લા પગારનો 50 ટકા ભાગ પેન્શન તરીકે આપવામાં આવે છે. જેમાં જૂની પેન્શન યોજના હેઠળ કર્મચારીઓએ પેન્શન માટે કોઈ પ્રકારે યોગદાન આપવું આવશ્યક ન હતું. જ્યારે રાષ્ટ્રીય પેન્શન યોજના યોગદાન આધારિત પેન્શન યોજના છે. આમાં, કર્મચારીએ તેના મૂળ પગારના 10 ટકા રકમનું યોગદાન આપવાનું હોય છે, જેના વળતર સ્વરૂપે સરકાર દ્વારા 14 ટકા રકમનું યોગદાન આપવામાં આવે છે.


Google NewsGoogle News