ચંપારણમાં ગાંધીજીની લિડરશીપમાં થયો હતો પ્રથમ સત્યાગ્રહ, 10 મહિનાનો ખર્ચ થયો હતો માત્ર 2200 રુપિયા
ગાંધીજીએ ભાષણબાજી અને ખોટી જાહેરાતોથી દૂર રહી સાદગી અપનાવેલી
ચંપારણમાં ૯૬ હજાર એકર જમીનમાં ગળીની ખેતી થતી હતી
અમદાવાદ,2 ઓકટોબર, 2023,સોમવાર,
ગાંધીજીએ આમ તો દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડત ચલાવી હતી પરંતુ ભારતમાં આગમન પછી બિહારનો ચંપારણ સત્યાગ્રહ તેમની પ્રથમ ચળવળ હતી. તેના પરીણામ સ્વરુપ ૧૦૦ વર્ષ જુનો ખેડૂતોનો પ્રશ્ન હલ થયો હતો. ૧૮૫૭ના વિપ્લવ દરમિયાન દેવામાં ડૂબી ગયેલા ચંપારણના બેતિયા રાજાઓની જમીનનો કબ્જો લઇ અંગ્રેજો રાજા બની બેઠા હતા. અંગ્રેજો આ ઉપજાઉ જમીનને ગળીના ખેતરોમાં ફેરવીને ખેડૂતો પાસે કાળી મજૂરી કરાવતા હતા. એ સમયે યુરોપમાં ગળીની સારી માંગ હોવાથી ગળીનું ઉત્પાદન દ્વારા હુંડિયામણ સારું મળતું હતું
ઇસ ૧૮૯૨માં ચંપારણમાં ૯૬ હજાર એકર જમીનમાં ગળીની ખેતી થતી હતી. આ વિસ્તારમાં નાના મોટા ૨૧ થી વધુ ગળીના કારખાના ધમધમતા હતા. ખેડૂતો અને મજૂરોનું શોષણ કરવા માટે ગળી પર નાના મોટા ૫૦ થી વધુ ટેકસ વસૂલવામાં આવતા હતા. ખેડૂતોએ વર્ષો સુધી અનેક વાર રજૂઆત કરી પરંતુ અંગ્રેજોના બહેરા કાને વાત સંભળાતી ન હતી.૧૫ એપ્રિલ ૧૯૧૭માં મહાત્મા ગાંધી જયારે ચંપારણ આવ્યા ત્યારે ગળીના ખેતરોમાં મજૂરીયાની કરુણ સ્થિતિ વિશે જાણીને દૂખી થયા હતા
. જયારે ચંપારણ સત્યાગ્રહ માટે ગાંધીજીના આગમનથી ખેડૂતો અને મજૂરોના ઉત્સાહમાં વધારો થયો હતો. ગાંધીજીએ ભાષણબાજી અને ખોટી જાહેરાતોથી દૂર રહીને માત્ર સાદગીથી જ સત્યાગ્રહ શરુ કર્યો હતો. ચંપારણ સત્યાગ્રહ ૧૦ મહિના ચાલ્યો જેનો કુલ ખર્ચ માત્ર ૨૨૦૦ રુપિયા જેટલો થયો હતો. આ સત્યાગ્રહ માટે ચંપારણના ગરીબ ખેડૂતો પાસેથી રાતિ પાઇ પણ લેવામાં આવી ન હતી.
ગાંધીજીના સત્યાગ્રહથી ખેડૂતોને ૧૦૦ વર્ષથી થતા અન્યાયનો અંત આવ્યો હતો
૧૦ જુન ૧૯૧૭ના રોજ અંગ્રેજોએ ચંપારણ એગ્રેરિયન તપાસ સમિતિ રચવામાં આવી હતી. નવેમ્બર ૧૯૧૭માં વિધાન પરિષદમાં એગ્રેરિયન બીલ પસાર થયું હતું જેનાથી ૧ મે ૧૯૧૮ના રોજ ગળીના ખેડૂતોને ૧૦૦ વર્ષથી થતા અન્યાયનો અંત આવ્યો હતો. ચંપારણમાં માત્ર ગાંધીજીએ માત્ર આંદોલન જ નહી શિક્ષણ અને ગ્રામોધ્ધારના અમલ અંગે પણ વિચાર કર્યો હતો. મહાત્મા ગાંધી માટે ભારતમાં ચંપારણએ પ્રથમ સત્યાગ્રહ હતો જેને ખૂબજ ખ્યાતિ મળી હતી.