હાઈકોર્ટના જજ અડધો કલાક ટ્રાફિક જામમાં ફસાયા તો ખુદ DGPએ હાજર થઈ માફી માગવી પડી

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
હાઈકોર્ટના જજ અડધો કલાક ટ્રાફિક જામમાં ફસાયા તો ખુદ DGPએ હાજર થઈ માફી માગવી પડી 1 - image


Image: Wikipedia

Jharkhand High Court Judge: ઝારખંડ હાઈકોર્ટના એક જજ લગભગ અડધો કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાઈ રહ્યાં. હાઈકોર્ટના જજને કોર્ટ અને તેમના નિવાસ સ્થાનની વચ્ચે અવરજવર દરમિયાન સુરક્ષા આપવામાં રાજ્ય પોલીસ દ્વારા ચૂક થઈ છે. ઝારખંડના ડીજીપીએ સુરક્ષા ચૂકની વાતનો સ્વીકાર કરતાં ભવિષ્યમાં આવું નહીં થાય તેવું આશ્વાસન આપ્યું હતુ. 

બાર એન્ડ બેન્ચના રિપોર્ટ અનુસાર ઝારખંડ હાઈકોર્ટના જજ સંજય કુમાર દ્વિવેદીએ એક રાજકીય દળ દ્વારા આયોજિત પ્રદર્શનના કારણે કોર્ટથી અવરજવર દરમિયાન ટ્રાફિક જામમાં દુ:ખદ અનુભવનો સામનો કર્યાં બાદ મામલાની સુનાવણી કરી. તેઓ અડધો કલાક સુધી ટ્રાફિફ જામમાં ફસાઈ રહ્યાં અને તેમના ખાનગી સુરક્ષા અધિકારી (પીએસઓ)ની વારંવાર વિનંતી છતાં પોલીસ અધિકારીએ કંઈ કર્યું નહીં. 

કોર્ટે કહ્યું કે જો હાઈકોર્ટના એક જજ સુરક્ષિત નથી તો તેનો અર્થ છે કે અન્ય તમામ જજોની સુરક્ષા પણ જોખમમાં છે. કોર્ટે જજ ઉત્તમ આનંદની હત્યાનો પણ ઉલ્લેખ કર્યો, જેમને મોર્નિંગ વોક દરમિયાન એક ઓટો-રિક્ષાએ ટક્કર મારી દીધી હતી.

કોર્ટે કહ્યું કે આ માત્ર કોર્ટની ચિંતાનો વિષય નથી. એવા રાજ્યમાં જ્યાં રાજ્યની હાઈકોર્ટના એક સારા અધિકારીએ રોડ પર પોતાનો જીવ ગુમાવી દીધો. જો આ મુદ્દે કંઈ ન કરવામાં આવ્યુ તો સંબંધિત અધિકારી જજોની સુરક્ષાના સંબંધમાં કોઈ કાર્યવાહી કરશે નહીં. ન્યાયિક સંસ્થાઓને આવા હુમલાથી બચાવવા દરેક સરકારી એજન્સીનું સર્વોચ્ચ કર્તવ્ય છે.

કોર્ટે કહ્યું, 'જો આ પ્રકારની વહીવટી મનસ્વીતાને કાયમ રહેવા દેવામાં આવી તો બંધારણના મહાન મૂલ્ય, કાયદાનું શાસન, માનવાધિકાર અને ગરિમા અને સભ્ય જીવનની તમામ જાતો ખતમ થઈ જશે.' હાઈકોર્ટના જજ આદરણીય મહાનુભાવ છે, જે પોતાના કાર્યાલય અને ન્યાય આપવામાં પોતાની ભૂમિકાના આધારે સાર્વભૌમ કાર્ય કરે છે. આદેશમાં કહેવામાં આવ્યું, 'સરકારના અમલદારશાહી માળખામાં કોઈ પણ પોતાની સ્થિતિને અવગણી શકે નહીં. તેથી આ કોર્ટ આવું કહેવા માટે બાધ્ય છે, કેમ કે હાઈકોર્ટના વર્તમાન જજની સાથે આવું થયું છે.'

23 ઓગસ્ટે હાઈકોર્ટના જજ સંજય કુમાર દ્વિવેદી હાઈકોર્ટથી કાંકે રોડ સ્થિત પોતાના નિવાસ સ્થાને પરત ફરતી વખતે તેમને થયેલી અસુવિધા અને અસુરક્ષા વિશે વાત કરી રહ્યાં હતાં. કાંકે રોડ પર જ મુખ્યમંત્રીનું નિવાસ સ્થાન પણ સ્થિત છે. તે દિવસે એક રાજકીય દળે પ્રદર્શનનું આયોજ કર્યું હતું. 

જ્યારે જજ કોર્ટ જઈ રહ્યાં હતાં તો જાણ થઈ કે તેમના નિવાસ સ્થાને એક પીસીઆર વાન મોકલવામાં આવી છે. પૂછપરછ કરતાં પીએસઓએ જણાવ્યું કે સવારે જજને ઘરે જતી વખતે તેમને મુખ્યમંત્રી આવાસ સુધી ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે તેમણે પીસીઆર વાન મંગાવી હતી. તે બાદ જજને સુરક્ષિત કોર્ટ સુધી પહોંચાડાયા.

જોકે, સાંજે વાપસી દરમિયાન બાબતો નિયંત્રણથી બહાર થઈ ગઈ. કોર્ટથી બહાર નીકળતી વખતે જજના પીએસઓએ પીસીઆરને ફોન કર્યો જે મદદ કરવામાં અસમર્થ રહી. કંટ્રોલ રૂમને છ ફોન કર્યાં છતાં જજ અડધો કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાઈ રહ્યાં. પીએસઓની વારંવાર વિનંતી છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં. જજે નિવાસ સ્થાન સુધી ચાલીને જવાનો વિચાર કર્યો પરંતુ પીએસઓ અને ડ્રાઈવરે તેને અસુરક્ષિત માનતાં આવું ન કરવાની સલાહ આપી.

આ મામલો હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ સુધી પહોંચાડવામાં આવ્યો, જેમાં ઝારખંડના ડીજીપી પણ સામેલ હતાં. તે બાદ રાંચીના એસપી (ટ્રાફિક) એ હસ્તક્ષેપ કર્યો અને આખરે જજને ઘરે પહોંચાડાયા. જે બાદ હાઈકોર્ટે એ વાત પર ટકોર કરી કે જજોની સુરક્ષા અવગણવી જોઈએ નહીં. 


Google NewsGoogle News