85 વર્ષના આ વૃક્ષપ્રેમીએ વાવ્યા છે 1 કરોડ વૃક્ષો, સાઇકલ લઇને રોજ નિકળી પડે છે ઘરની બહાર
પોતાના ખિસ્સામાં પૈસા નહી પરંતુ વિવિઘ વૃક્ષોના બીજ રાખે છે.
600થી વધુ પ્રકારના વૃક્ષોના બીજનો કર્યો છે સંગ્રહ
હૈદરાબાદ,7 જુલાઇ,2022,ગુરુવાર
કોઇ માણસ પોતાના જીવન દરમિયાન સંકલ્પ કરે તો કેટલા વૃક્ષો વાવી શકે ? એક સો, હજાર, લાખ કે પછી તેનાથી પણ વધારે?હા તેનાથી પણ વઘારે એક કરોડ વૃક્ષો તેલંગાણના 85 વર્ષના પર્યાવરણપ્રેમી દરિપલ્લી રમૈયાએ વાવ્યા છે. તેમની આ પ્રવૃતિની ખાતરી કરીને, નોંધ લઇને ભારત સરકારે પધ્મશ્રી એવોર્ડથી સન્માન પણ કર્યું છે.
દેશમાં ટ્રી મેન તરીકે ઓળખાતો આ માણસ રોજ સવારે સાઇકલ પર બીજની થેલી લઇને વૃક્ષો ઉગાડવા નીકળી પડે છે. રોજ સેંકડો કિમી સાઇકલ ચલાવે છે તેમ છતાં તેમને થાક લાગતો નથી. કારણ કે વૃક્ષો વાવવાએ જ તેમનું જીવન મિશન છે. એક સમયે પોતાની પાસે 3 એકર જમીન હતી.પોતે ધાર્યુ હોતતો આરામથી જમીનમાં ખેતી કરીને ગુજારો કરી શકયા હોત પરંતુ તેમણે તો વિવિધ વૃક્ષોના બિયારણ લાવવા માટે પોતાની જમીન પણ વેચી દિધી છે.
આ અનોખી માટીના માનવીને વૃક્ષો કપાતા જાય અને પર્યાવરણને નુકસાન થાય તે મંજૂર ન હતું. તેલંગાણાના ખમ્મ્મ વિસ્તારના સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પોતાની જીદ્ અને ઇચ્છાશકિતને કામે લગાડીને આ માણસે હજારો વિઘા ઉજ્જડ જમીનને હરિયાળીમાં ફેરવી નાખી છે.તેમના ખમીસ કે પેન્ટના ખિસ્સામાં પૈસા નહી પરંતુ વૃક્ષોના બીજ નિકળે છે જે હંમેશા પોતાની સાથે રાખે છે.
તેમણે અઠાર વર્ષની નાની ઉંમરે પોતાની માતાને વૃક્ષો ઉગાડતી જોઇને પ્રેરણા મેળવી હતી.શરુઆત પોતાના ગામની પૂર્વ પશ્ચિમ દિશામાં ખાલી 4 કિમી જમીનમાં પીંપળ,અશોક અને લિંમડાના બીજ વાવીને કરી હતી. વાવ્યા પછી માવજત આપવાની શરુઆત કરતા 3 હજાર જેટલા વૃક્ષો ઉગી નિકળ્યા હતા.આ જોઇને રમૈયાના આત્મવિશ્વાસ વધ્યો અને પોતાના આ કાર્યને વિસ્તાર્યું હતું.
ના કોઇ વૃક્ષારોપણના કાર્યક્રમો,ના કોઇ મંડપ ને ના કોઇ ખર્ચા પાણી. રમૈયા ચૂપચાપ બીજ વાવતા હતા.તેમના હાથમાં પણ એવો જાદુ કે તેમને વાવેલું બીજ ઉગી નીકળે છે.તેઓ બીજ વાવ્યા પછી ઉગેલા છોડની માવજત માટે અવાર નવાર મુલાકાત પણ લેતા રહે છે. જો કે આ માણસ સનકી કે ધુની નથી તે વૃક્ષો અને તેની ખાસિયત તથા બીજ અંગે ઉંડુ નોલેજ ધરાવે છે.તેમની પાસે તેલંગાણામાં થતા 600 થી વધુ પ્રકારના વૃક્ષોના બીજનો સંગ્રહ છે.
તે લોકોને પર્યાવરણ જાગૃતિનો મેસેજ આપવા માટે ટીનના પતરામાંથી તૈયાર કરેલી પ્લેટ ગળામાં પહેરીને ફરે છે. તેના પર વૃક્ષો વાવો,પર્યાવરણ બચાવોનો મેસેજ લખેલો હોય છે. રમૈયા હવે જાણીતા બન્યા હોવાથી તેમનું માન સન્માન થાય છે તેની બધી જ રકમ વૃક્ષારોપણ પાછળ ખર્ચ કરે છે. રમૈયાનું માનવું છે કે માણસ આ પૃથ્વીને પોતાનું ઘર સમજીને રહે તે જરુરી છે. માણસને સાચા ખોટાના વિવેકની ખબર પડે છે આથી જ પર્યાવરણનું સંરક્ષણ કરવું તેનું કર્તવ્ય બને છે.