તેલંગાણા: નૂપુરને પણ PMના આશીર્વાદ મળશે, રાજા સિંહનું સસ્પેન્શન રદ કરતા BJP પર ભડક્યા ઔવેસી
Image Source: Twitter
- ગત વર્ષે ઓગસ્ટમાં રાજા સિંહના એક વીડિયોમાં કથિત વિવાદાસ્પદ ટિપ્પણી બાદ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરરી દેવામાં આવ્યા હતા
નવી દિલ્હી, તા. 23 ઓક્ટોબર 2023, સોમવાર
ભારતીય જનતા પાર્ટીએ રવિવારે તેમના તેલંગાણાના ધારાસભ્ય ટી રાજા સિંહનું સસ્પેન્શન પાછું ખેંચવાનું એલાન કર્યું હતું. ત્યારે હવે આ મુદ્દે AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ભાજપની ટીકા કરી હતી. આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધ્યુ હતું.
ઓવૈસીએ આરોપ લગાવ્યો કે મોદીની ભાજપામાં નફરત ફેલવનારા ભાષણને પ્રચારની સૌથી ઝડપી રીત માનવામાં આવે છે. AIMIM ચીફે સોશિયલ મીડિયા X પર કહ્યું કે, નરેન્દ્ર મોદીએ પોતાના અટપટા નિવેદન આપનારા વ્યક્તિને સમ્માનિત કર્યા છે. મને પૂરો વિશ્વાસ છે કે, નૂપુર શર્માને પણ વડાપ્રધાનના આશીર્વાદ મળશે.
આ છે મામલો
તેલંગાણા બીજેપી પ્રમુખ જી કિશન રેડ્ડીએ રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બીજેપી નેતૃત્વએ નિવર્તમાન તેલંગાણા વિધાનસભામાં હૈદરાબાદના ગોશામહાલના ધારાસભ્ય રાજા સિંહનું સસ્પેન્શન રદ કરી દીધુ છે. ગત વર્ષે ઓગસ્ટમાં રાજા સિંહના એક વીડિયોમાં કથિત વિવાદાસ્પદ ટિપ્પણી બાદ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરરી દેવામાં આવ્યા હતા. રાજા સિંહની પ્રિવેન્ટિવ ડિટેન્શન એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જો કે, તેલંગાણા હાઈકોર્ટે નવેમ્બર 2022માં તેમની સામે લાદવામાં આવેલા પીડી એક્ટને રદ કરી દીધો હતો. બાદમાં તેમને જામીન મળી ગયા હતા.
એક વીડિયો મેસેજમાં સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, જનરલ સેક્રેટરી બીએલ સંતોષ, કેન્દ્રીય મંત્રી અને તેલંગાણા બીજેપી યુનિટના પ્રમુખ કિશન રેડ્ડી અને અન્ય રાજ્ય નેતાઓનો તેમનું સસ્પેન્શન રદ કરવા બદલ આભાર માન્યો હતો. તેમણે 30 નવેમ્બરે યોજાનારી ચૂંટણીમાં ગોશામહલ વિધાનસભા સીટ પરથી ટિકિટ આપવા બદલ પાર્ટી નેતૃત્વનો પણ આભાર માન્યો હતો.