તમિલનાડુમાં ભારે વરસાદથી વિનાશ, 10નાં મોત, 160 રાહત કેમ્પમાં 17000 લોકો રહેવા મજબૂર
હજુ પણ 1,343 કર્મચારીઓ બચાવ અને રાહત કામગીરી કરી રહ્યા છે
ફસાયેલા લોકો સુધી 13,500 કિલો ખાદ્ય સામગ્રી પહોંચાડવામાં આવી
Tamilnadu Rain News | તમિલનાડુના દક્ષિણી જિલ્લાઓમાં છેલ્લા બે દિવસમાં ઈતિહાસનો સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં 10 લોકોએ જીવ ગુમાવ્યાની માહિતી મળી રહી છે. સામાન્ય જનજીવન લગભગ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. પૂરની ભયંકર સ્થિતિને પગલે દરેક જગ્યાએ પાણી જ પાણી થઈ ગયું છે.
વીજકરંટ અને દીવાલ ધરાશાયી થવાની અનેક ઘટનાઓ બની
એક અહેવાલ અનુસાર મુખ્ય સચિવ શિવદાસ મીણાએ કહ્યું હતું કે દક્ષિણના જિલ્લાઓ, ખાસ કરીને તિરુનેલવેલી અને તુતિકોરીનમાં રેકોર્ડ વરસાદ બાદ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. લગભગ 30 કલાકના સમયગાળામાં કયલપટ્ટિનમમાં 1,186 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે તિરુચેન્દુરમાં 921 મીમી વરસાદ નોંધાયો હતો. તેમણે કહ્યું કે તમામ 10 મૃત્યુ આ બે જિલ્લામાં થયા છે. કેટલાકે દીવાલ ધરાશાયી થવાને કારણે જીવ ગુમાવ્યો હતો જ્યારે કેટલાકના મોત વીજકરંટને કારણે થયા હોવાની માહિતી મળી રહી છે.
17 હજાર લોકો કેમ્પમાં રહેવા મજબૂર
મીનાએ કહ્યું કે નેવી, એરફોર્સ, એનડીઆરએફ, એસડીઆરએફ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓના લગભગ 1,343 કર્મચારીઓ બચાવ અને રાહત કામગીરી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં અમે 160 રાહત કેમ્પની સ્થાપના કરી છે. આ રાહત કેમ્પમાં લગભગ 17,000 લોકોને રાખવામાં આવ્યા છે. અમે હજુ પણ કેટલાક ગામો સુધી પહોંચી શક્યા નથી કારણ કે ત્યાં પાણીનું સ્તર હજુ ઘટ્યું નથી. સચિવે કહ્યું કે રાહત કાર્યમાં નવ હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે અને તેની મદદથી ફસાયેલા લોકો સુધી 13,500 કિલો ખાદ્ય સામગ્રી પહોંચાડવામાં આવી છે.