'ઉપરાષ્ટ્રપતિ પાસે જાઓ, બિનશરતી માફી માગી મામલો ખતમ કરો' રાઘવ ચડ્ઢાને સુપ્રીમકોર્ટની સલાહ
આ મામલે હવે આગામી સુનાવણી 20 નવેમ્બરે કરાશે
સીજેઆઈ ડી.વાય.ચંદ્રચૂડે કહ્યું કે રાઘવ ચડ્ઢા નાની વયના અને પ્રથમ વખત સાંસદ બન્યા છે, તે બિનશરતી માફી માગી લેશે
Raghav Chadha suspension case| આમ આદમી પાર્ટી (AAP) ના રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ઢા (Raghav Chadha) ને સસ્પેન્ડ કરવા મામલે સુપ્રીમકોર્ટે સુનાવણી કરી હતી. સુપ્રીમકોર્ટે રાઘવ ચડ્ઢાને કહ્યું કે રાજ્યસભામાં સભાપતિ જગદીપ ધનખડને (Jagdip Dhankhar) જઈને મળો અને તેમનાથી બિનશરતી માફી માગી લો. કોર્ટે કહ્યું કે સભાપતિ સહાનુભૂતિપૂર્વક વિચારશે અને આ મામલાની પતાવટ કરશે. આ મામલે હવે આગામી સુનાવણી 20 નવેમ્બરે કરાશે.
શું કહ્યું સીજેઆઈ ચંદ્રચૂડે
આ મામલે સુનાવણી હાથ ધરતાં સીજેઆઈ ડી.વાય.ચંદ્રચૂડે (D Y Chandrachud) કહ્યું કે રાઘવ ચડ્ઢા નાની વયના અને પ્રથમ વખત સાંસદ બન્યા છે. તે બિનશરતી માફી માગી લેશે. એવામાં આ મુદ્દાને ખતમ કરવો જોઈએ. ચીફ જસ્ટિસે કહ્યું કે તમે કહ્યું હતું કે તમે બિનશરતી માફી માગવા તૈયાર છો. સારું થશે કે તમે સભાપતિથી અપોઈન્ટમેન્ટ લઈને મુલાકાત કરી લો. તેમની સુવિધા અનુસાર તમે તેમના ઘરે, ઓફિસ કે ગૃહમાં જઈને મળીને માફી માગી લો કેમ કે આ ગૃહ અને ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિની ગરિમાનો મામલો છે.
રાઘવના વકીલે શું કહ્યું?
આ મામલે રાઘવના વકીલ શાદાન ફરાસતે કહ્યું કે રાઘવ રાજ્યસભાના યુવા સભ્ય છે. તેમને માફી માગવામાં કોઈ તકલીફ નથી. તે પહેલા પણ માફી માગી ચૂક્યા છે. રાઘવને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ સમગ્ર ગૃહે પસાર કર્યો હતો પણ સભાપતિ પોતાના સ્તરે તેને રદ કરી શકે છે.