ચૂંટણી પંચને EVM ડેટા ડિલીટ નહીં કરવાનો સુપ્રીમ કોર્ટનો નિર્દેશ, જાણો શું છે મામલો
Supreme Court directs EC Not To Delete Data: સુપ્રીમ કોર્ટે મંગળવારે ઈવીએમ વેરિફિકેશન મુદ્દે નીતિ ઘડવાની માગ કરતી અરજી પર સુનાવણી કરતાં ચૂંટણી પંચને ઈવીએમમાંથી કોઈપણ ડેટા ડિલીટ ન કરવા તેમજ રિ-લોડ ન કરવાનો આદેશ આપ્યો છે. વધુમાં તેમણે મત ગણતરી બાદ ઈવીએમની નષ્ટ કરવામાં આવેલી મેમરી અને માઇક્રો કન્ટ્રોલરની પ્રક્રિયા અંગે રિપોર્ટ રજૂ કરવાની માગ કરી છે.
ઍસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા કોર્ટમાં ઈવીએમના વેરિફિકેશન માટે અરજી કરવામાં આવી હતી. આ અંગે સુનાવણી કરતા ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા સંજીવ ખન્ના અને જજ દીપાંકર દત્તાની બેન્ચે ચૂંટણીપંચને કહ્યું કે, ‘મહેરબાની કરીને ઈવીએમનો કોઈપણ ડેટા ડિલીટ કરશો નહીં. તેમજ તેને રિ-લોડ પણ કરશો નહીં. તેની ચકાસણી કરવા દો. તેમજ ચૂંટણી બાદ ઈવીએમની નષ્ટ કરવામાં આવેલી મેમરી અને માઇક્રો કંટ્રોલરની પ્રક્રિયાની સંપૂર્ણ વિગતો રજૂ કરતો રિપોર્ટ 15 દિવસમાં રજૂ કરો.’
આ પણ વાંચોઃ AIથી નોકરી જશે નહીં, પણ કામ કરવાની રીત બદલાશે, PM મોદીનું પેરિસમાં સંબોધન
એડીઆરે કરી આ માગ
એડીઆર વતી હાજર ઍડ્વોકેટ પ્રશાંત ભૂષણે જણાવ્યું કે, ‘અમે માંગ કરી રહ્યા છીએ કે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ECI એ જે પ્રક્રિયા અપનાવવાની જરૂર છે તે તેમના સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ સાથે સુસંગત હોય. અમે ઇચ્છીએ છીએ કે કોઈ વ્યક્તિ EVMના સોફ્ટવેર અને હાર્ડવેરની તપાસ કરે જેથી તે જોઈ શકે કે સોફ્ટવેર અને હાર્ડવેરમાં કોઈ છેડછાડ થઈ છે કે નહીં. આ અરજીમાં અમારી માગ છે કે, ચૂંટણી પંચ ઈવીએમની મેમરી તથા ગાઇડલાઇન્સ રજૂ કરે.’
ચીફ જસ્ટિસે કર્યો સવાલ
ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ ચૂંટણી પંચને સવાલ કર્યો કે, ‘એકવાર મત ગણતરી થઈ જાય, પછી શું પેપર ટ્રેઇલ ત્યાં જ હોય કે તેને બહાર કાઢવામાં આવશે?’ આ અંગે ભૂષણે કહ્યું કે, ‘ઈવીએમને પણ સાચવવાનું હોય છે, જેથી કદાચ પેપર ટ્રેઇલ તેમાં જ હોવું જોઈએ.’
આમ બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી, સુપ્રીમ કોર્ટે અગાઉના આદેશને અનુસરતા કહ્યું કે, ‘અમે નથી ઇચ્છતા કે, મત ગણતરી દરમિયાન કોઈ ખલેલ પડે (અગાઉના આદેશ દ્વારા). બીજી તરફ અમે ઇચ્છતા હતા કે જો કોઈને શંકા હોય તો એન્જિનિયરિંગની મદદથી જાણી શકાય કે, તેમાં ચેડાં થયા છે કે નહીં.’