સુપ્રીમ કોર્ટનો ચુકાદો: વકીલાતની સનદ પેટે રૂ.750ની રકમ જ વસૂલી શકાશે, તેનાથી વધુ નહીં

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
Supreme Court


Supreme Court: સુપ્રીમ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદા મારફતે ઠરાવ્યું હતું કે, કાયદાશાખાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વકીલાતની સનદ મેળવવા માટેની એનરોલમેન્ટ ફી જનરલ કેટેગરીના વકીલો માટે રૂ.750 અને એસસી-એસટી કેટેગરીના વકીલો માટે રૂ.125થી વધુ ના હોઈ શકે.

વકીલાતની સનદ માટે વધુ રકમ વસૂલી શકશે નહીં

ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ જે. બી.પારડીવાલાની ખંડપીઠે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, હવેથી જે તે સ્ટેટ બાર કાઉન્સિલ વકીલાતની સનદ માટે પરચૂરણ ફી, સ્ટેમ્પ ડ્યુટી કે અન્ય શુલ્કના શીર્ષક હેઠળ કાયદામાં નિર્દિષ્ટ રકમ કરતાં કોઈપણ વધુ રકમ વસૂલી શકશે નહીં. સ્ટેટ બાર કાઉન્સિલ કે બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા એડવોકેટ્‌સ એક્ટની કલમ-24(1)(ક) હેઠળ નિર્દિષ્ટ રકમ કરતાં વધુ રકમના રોલમાં વકીલોને સનદ આપવા માટે કોઈપણ વધારાની રકમ વસૂલી શકતા નથી. 

સંસદે કાયદા થકી ફી નિર્ધારિત કરી છે 

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે ઠરાવ્યું કે, એડવોકેટ એક્ટ-1961ની કલમ-24(1)(ક) અંતર્ગત સ્ટેટ બાર કાઉન્સિલ અને બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયાને ચૂકવવાપાત્ર એનરોલમેન્ટ ફી(નોંધણી ફી) જનરલ કેટેગરીના એડવોકેટ માટે રૂ.750 અને એસસી-એસટી કેટેગરીના વકીલો માટે રૂ.125 નિર્ધારિત કરાયેલી જ છે., તેનાથી વધુ રકમ એનરોલમેન્ટ ફી પેટે સ્ટેટ બાર કાઉન્સિલ કે બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા વસૂલી શકે નહીં. 

આ પણ વાંચો: દિલ્હીમાં કોચિંગ સેન્ટરની દુર્ઘટનાનો મુખ્ય સચિવે તપાસ રિપોર્ટ સોંપ્યો, ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા

અમદાવાદના એડવોકેટ પરમ દવે તથા જુદા જુદા રાજયના વકીલ ગૌરવ શર્મા તથા અન્યો તરફથી કરાયેલી જુદી જુદી રિટ અરજીની સુનાવણીના અંતે સુપ્રીમ કોર્ટે સમગ્ર દેશના વકીલોને અસર થાય તેવો રાહતકર્તા ચુકાદો આપ્યો હતો. 

વિવિધ રાજ્યોમાં સનદ પેટે રૂ. 25થી 40 હજાર સુધીની ફી વસૂલાય છે 

સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, દેશના જુદા જુદા રાજ્યોમાં વિવિધ બાર કાઉન્સિલ દ્વારા વકીલો પાસેથી વકીલાતની સનદ પેટે રૂ.25 હજારથી લઈ રૂ. 40 હજાર સુધીની મનસ્વી એનરોલમેન્ટ ફી ઉઘરાવાઈ રહી હોવાનું સામે આવ્યું છે. પરંતુ સંસદે એનરોલમેન્ટ ફી એક વખત નિર્ધારિત કરી હોય તેનું જે તે સ્ટેટ બાર કાઉન્સિલ કે બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા ઉલ્લંઘન કરી શકે નહીં. 

કલમ-24(1)(ક) એક રાજકોષીય નિયમનકારી જોગવાઈ હોવાથી તેનું ચુસ્તપણે અર્થઘટન કરવું જોઈએ અને સંસદે તેની સાર્વભૌમ સત્તાના ઉપયોગ માટે રકમ નિર્ધારિત કરી હોવાથી સ્ટેટ બાર કાઉન્સિલ અથવા બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા પ્રતિનિધિ તરીકે કાયદા હેઠળ સંસદ દ્વારા નિર્ધારિત રાજકોષીય નીતિમાં ફેરફાર કરી શકે નહીં. 

નવા એનરોલ થનારા વકીલોને બહુ મોટી રાહત

સુપ્રીમ કોર્ટે ખાસ નોંઘ્યું હતું કે, વકીલાતની સનદ માટે વધુ પડતી એનરોલમેન્ટ ફી વસૂલવાથી ખાસ કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગના લોકો માટે તેમના વ્યવસાયને આગળ ધપાવવામાં અવરોધ સર્જાય છે. કાયદામાં નિર્ધારિત રકમ કરતાં કોઈપણ વધારાની વસૂલાત એ બંધારણની કલમ-19(1)(ડી) અને વ્યવસાયિતાના અધિકારના ભંગ સમાન કહી શકાય.

સુપ્રીમ કોર્ટે આ ચુકાદાથી સાથે સાથે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, અત્યાર સુધી સ્ટેટ બાર કાઉન્સિલોએ સનદ પેટે વકીલો પાસેથી વૈધાનિક રકમ કરતાં વધુ એકત્ર કરાયેલ નોંધણી ફી પરત કરવાની જરૂર નથી. સ્ટેટ બાર કાઉન્સિલે પન આ રકમ રિફંડ કરવાની કોઇ જરૂર નથી. પરંતુ હવે નવા વકીલો પાસેથી વકીલાતની સનદ પેટે કાયદામાં નિર્દિષ્ટ ઉપરોકત રકમ જ ઉઘરાવી શકશે. 

આ મામલે દેશની જુદી જુદી હાઇકોર્ટમાં પણ રિટ અરજીઓ થઈ હતી અને બાદમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ તમા મેટર સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવા અને સુપ્રીમ કોર્ટ જ સાંભળે તે માટેની પિટિશન કરી હતી, જે સુપ્રીમ કોર્ટે સાંભળી અને લંબાણપૂર્વકની સુનાવણીના અંતે મહત્ત્વનો ચુકાદો જાહેર કર્યો હતો. 

આ પણ વાંચો: દેશમાં ઉત્તરથી-દક્ષિણ સુધી ભારે વરસાદની આગાહી, 20 રાજ્યોમાં એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ

સુપ્રીમ કોર્ટના આ ચુકાદાની અસરો શું થશે...?

સુપ્રીમ કોર્ટના આ મહત્ત્વના ચુકાદાની અસરો વિશે પૂછતાં ગુજરાત બાર કાઉન્સિલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી. કેલ્લાએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી નવા એનરોલ થનારા વકીલોને બહુ મોટી રાહત મળી છે. દેશની કોઈપણ સ્ટેટ બાર કાઉન્સિલ હવે નવા વકીલો પાસેથી વકીલાતની સનદ પેટે માત્ર રૂ.750 જ એનરોલમેન્ટ ફી પેટે ઉઘરાવી શકશે. 

સ્ટેટ બાર કાઉન્સિલની આવક પર આ નિર્ણયની સીધી અસર થશે. જો કે, સુપ્રીમ કોર્ટે બાર કાઉન્સિલ વકીલો માટે કામ કરતી માતૃ સંસ્થા હોઈ અન્ય શુલ્ક લેવાની સ્વતંત્રતા ધરાવતી હોવાનું સ્પષ્ટ કર્યું છે. પરંતુ એનરોલમેન્ટ ફી પેટે હવે કોઈપણ શીર્ષક હેઠળ વધારાની રકમ વસૂલી શકશે નહીં. નોંધપાત્ર બાબત એ છે કે ગુજરાતમાં રૂ.25 હજાર જેટલી ફી વસૂલાય છે.

સુપ્રીમ કોર્ટનો ચુકાદો: વકીલાતની સનદ પેટે રૂ.750ની રકમ જ વસૂલી શકાશે, તેનાથી વધુ નહીં 2 - image



Google NewsGoogle News