'મારી ફેક્ટરી પર બુલડોઝર ફેરવી નાખ્યું, હવે ક્યાંથી કમાઉ...' પીડિતે ફરિયાદ કરી તો સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
UP Bulldozer Action: સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના અધિકારીઓ સામે દાખલ અવમાનની અરજીને નકારતા અરજદારને હાઇકોર્ટમાં અપીલ કરવાનો નિર્દેશ કર્યો છે. અરજદારનું કહેવું છે કે, અધિકારીઓ દ્વારા સુપ્રીમ કોર્ટના 13 નવેમ્બર, 2024ના આદેશનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, જેમાં નોટિસ આપ્યા વિના અથવા સુનાવણી દરમિયાન બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવવામાં આવી છે.
ફેક્ટરી આવકનો એકમાત્ર આધાર હતો
જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠે અરજદારને હાઇકોર્ટમાં અપીલ કરવા કહ્યું છે. અરજદારનું કહેવું હતું કે, સંભલમાં તેમની પ્રોપર્ટી પર 10 અને 11 જાન્યુઆરી, 2025ના દિવસે બુલડોઝર ફેરવી દેવાયું. આ માટે તંત્ર દ્વારા ન તો કોઈ સૂચના આપવામાં આવી હતી અને ન તો કોઈ નોટિસ અપાઈ હતી. ફેક્ટરી મારા અને મારા પરિવારની આવકનો એકમાત્ર આધાર હતો અને અધિકારીઓની આ કાર્યવાહીથી મારા અને મારા પરિવારનું જીવન જોખમી બની ગયું છે. જોકે, સુપ્રીમ કોર્ટે નવેમ્બરમાં જ આ પ્રકારની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. નોંધનીય છે કે, આ પહેલા 24 જાન્યુઆરીએ કોર્ટે સુનાવણીને એક અઠવાડિયા માટે ટાળી દીધી હતી.
આ પણ વાંચોઃ 'પત્રકારોને અંગત માહિતી જાહેર કરવા માટે દબાણ ન કરી શકાય', હાઇકોર્ટનો મોટો ચુકાદો
સુપ્રીમ કોર્ટે જાહેર કરી ગાઇડલાઇન
ગત વર્ષે 13 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન સામે દાખલ અરજી પર સુનાવણી દરમિયાન દેશભર માટે દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે, કોઈ કારણ જણાવો નોટિસ વિના આવી કાર્યવાહી ન કરવામાં આવે અને જવાબ માટે 15 દિવસનો સમય આપવામાં આવે.
કોર્ટના આદેશમાં અન્ય ઘણા નિર્દેશ કરવામાં આવ્યા હતા અને સ્પષ્ટ કરવામાં આવ્યું કે, ગાઇડલાઇન એવા અનધિકૃત સંરચનાઓ પર લાગુ નહીં કરવામાં આવે, જે કોઈ સાર્વજનિક સ્થળ જેમકે રસ્તા, ગલી, ફૂટપાથ, રેલવે લાઇન, નદી અથવા વૉટર બોડીઝની પાસેહ હાજર હોય, જેમાં કોર્ટે તોડી પાડવાનો આદેશ આપ્યો હોય.