'ગુજરાતી ઠગ' વાળા નિવેદન પર તેજસ્વીને SCએ આપી રાહત, માફીનામું મંજૂર, ફરિયાદ રદ્દ
- તેજસ્વી યાદવની ટ્રાયલ અમદાવાદમાં નહીં ચાલશે
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 13 ફેબ્રુઆરી 2024, મંગળવાર
'ગુજરાતી ઠગ' વાળા નિવેદન મામલે તેજસ્વી યાદવને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આજે તેજસ્વી યાદવના 'ગુજરાતી ઠગ' વાળા નિવેદન સાથે સબંધિત મામલે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે તેજસ્વી યાદવનું માફીનામું મંજૂર કરી લીધુ છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે માનહાનિ ફરિયાદ પણ રદ કરી દીધી છે. તેજસ્વી યાદવને રાહત આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તેજસ્વી યાદવની ટ્રાયલ અમદાવાદમાં નહીં ચાલશે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ અભય એસ. ઓકા અને જસ્ટિસ ઉજ્જવલ ભૂઈયાની ખંડપીઠે આજે પોતાનો ચુકાદો આપ્યો હતો.
તેજસ્વી યાદવના નિવેદન વિરુદ્ધ ગુજરાતના નિવાસી હરેશ મહેતાએ તેજસ્વી વિરુદ્ધ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કરાવ્યો હતો. મહેતાએ આરોપ લગાવ્યો હતો કે, તેજસ્વીના નિવેદનથી ગુજરાતીઓની માનહાનિ થઈ છે. અરજી પર છેલ્લા અઠવાડિયે સુનાવણી બાદ જસ્ટિસ એએસ ઓકા અને જસ્ટિસ ઉજ્જવલ ભૂઈયાએ તેજસ્વી યાદવના માફીનામા પર નોટિસ લીધા બાદ પોતાનો આદેશ રિઝર્વ રાખ્યો હતો.
બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ અને RJD નેતા તેજસ્વી યાદવે 22 માર્ચ 2023માં એક પ્રેસ ક્રોન્ફરન્સમાં કહ્યું હતું કે, આજના સમયમાં ગુજરાતી જ ઠગ બની હોય શકે છે.