પતિ સારું કમાતો હોય તો ભરણપોષણ ભથ્થું વધારે ન માંગી શકાય: સુપ્રીમ કોર્ટની ટકોર
Supreme Court Judge on Permanent Alimony: સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે મહિલાઓના કલ્યાણ માટે બનેલા કાયદાનો દુરુપયોગ તેમના પતિને હેરાન કરવા, ધમકાવવા અથવા પૈસા પડાવવા માટે થવો જોઈએ નહીં. સર્વોચ્ચ અદાલતે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભરણપોષણનો અર્થ ભૂતપૂર્વ જીવનસાથીઓની નાણાકીય સ્થિતિને સમાન બનાવવા માટે નથી, પરંતુ આશ્રિત મહિલાને જીવનધોરણનું વાજબી ધોરણ પૂરું પાડવા માટે છે.
હિન્દુ લગ્ન પવિત્ર સંસ્થા છે કોઈ બિઝનેસ નહિ: સુપ્રીમ કોર્ટ
કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ભૂતપૂર્વ પતિ તેની વર્તમાન નાણાકીય પરિસ્થિતિના આધારે તેની ભૂતપૂર્વ પત્નીને અનિશ્ચિત સમય સુધી ભરણપોષણ આપવા માટે બંધાયેલા ન હોઈ શકે. તેણે એમ પણ કહ્યું કે હિંદુ લગ્નને એક પવિત્ર સંસ્થા માનવામાં આવે છે, કુટુંબનો પાયો છે, કોઈ બિઝનેસ નથી.
કાયદા મહિલાઓના કલ્યાણ માટે છે પૈસા પડાવવા માટે નહિ
જસ્ટિસ બી.વી. નાગરત્ના અને પંકજ મીઠાની બેન્ચે જણાવ્યું હતું કે, 'મહિલાઓએ સાવચેત રહેવાની જરૂર છે કે તેમના હાથમાં કાયદાની આ કડક જોગવાઈઓ તેમના કલ્યાણ માટે ફાયદાકારક છે અને તેમના પતિઓને સજા કરવા, ધમકાવવા અથવા ડરાવવા માટે કે પૈસા પડાવવા માટે નથી.'
શું હતો મામલો?
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ કેસની સુનાવણી દરમિયાન પત્ની દ્વારા તેના પતિની રૂ. 5000 કરોડની મિલકતમાંથી ભરણપોષણ તરીકે મોટી રકમની માંગણી સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. આ કેસમાં એક અરજી સામેલ હતી જેમાં એક પત્નીએ છૂટાછેડા પછી તેના પતિ પાસેથી મોટી રકમની માંગણી કરી હતી, ખાસ કરીને જ્યારે પતિએ તેની પ્રથમ પત્નીને 500 કરોડ રૂપિયા ભરણપોષણ તરીકે આપી દીધા હતા.
આ મામલો એટલો જટિલ હતો કે સુપ્રીમ કોર્ટના મહિલા ન્યાયાધીશ જસ્ટિસ બી. વી. નાગરત્નાએ આ અંગે વિગતવાર વિચારણા કરી અને પત્નીની ભારે માંગ પર કડક ટિપ્પણી કરી હતી. જજે સ્પષ્ટ કહ્યું કે આ માગણી સંપૂર્ણપણે કાયદાની વિરુદ્ધ છે અને આ પ્રકારનો દાવો માત્ર આર્થિક સ્થિતિના આધારે કરી શકાય નહીં. કોર્ટે પત્નીના દાવાને ફગાવી દીધો અને તેને માત્ર 12 કરોડ રૂપિયા ભરણપોષણ તરીકે ચૂકવવાનો આદેશ આપ્યો.
જસ્ટિસ બી. વી. નાગરત્નાની સખત ટિપ્પણી
આ મામલો એક મહિલાની અરજી સાથે સંબંધિત હતો, જેમાં તેણે તેના પતિની 5,000 કરોડની સંપત્તિમાંથી ભરણપોષણ ભથ્થામાં હિસ્સો માંગ્યો હતો. પહેલી પત્નીથી અલગ થયા પછી તેણે ભરણપોષણ માટે રૂ. 500 કરોડ ચૂકવ્યા હતા. આ અરજી બાબતે કોર્ટે જવાબ આપ્યો હતો કે, 'અહીં માત્ર પ્રતિવાદી-પતિની આવક જ નહીં, પરંતુ અરજદાર-પત્નીની આવક, વાજબી જરૂરિયાતો, તેના રહેણાંક અધિકારો અને અન્ય સમાન પરિબળોને પણ ધ્યાનમાં લેવા જોઈએ.'
આ મામલે જસ્ટિસ બી. વી. નાગરત્નાએ જણાવ્યું કે, 'આ પ્રકારના દાવાને સંપૂર્ણપણે ગેરબંધારણીય અને અયોગ્ય ગણાવતા કહ્યું કે ભરણપોષણનો કાયદો પત્નીના સન્માન અને ભરણપોષણ માટે છે, પરંતુ તે માત્ર વૈવાહિક જીવનમાં તેની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ થવો જોઈએ અને પતિની વર્તમાન સંપત્તિ અને આવકના આધારે નહીં.'