Photos : દેશ-વિદેશથી આવી અનોખી ભેટ, હીરાનો હાર, ૧૦૮ ફૂટની અગરબત્તી, ૧૧૦૦ કિલોની દીવો અને ૫૦૦ કિલોનું નગારું ગુજરાતના વિશેષ ઉપહાર
કાશ્મીરથી શુદ્ધ કેસર તો અફઘાનિસ્તાનથી પાણી અને નેપાળથી અનેક ભેટસોગાદ રામ લલાના ચરણે અર્પણ થઈ
૨૧૦૦ કિલો વજનનો ઘંટ, ૪૦૦ કિલો વજનનું તાળું, ૧૦ લાખથી વધારે લાડુનો પ્રસાદ અને ટ્રકો ભરીને ચોખા અને શાકભાજી તથા ફળોનો પ્રસાદ આવ્યો
Ayodhya Ram Mandir Gift : અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્યાતિભવ્ય મંદિરમાં જ્યારે રામ લલાની સ્થાપના થવાની છે ત્યારે દેશ-દુનિયાભરમાંથી રામભક્તો દ્વારા અનોખી ભેટ સોગાદો મોકલાવવામાં આવી છે. ભારત જ નહીં પણ નેપાળ અને અફઘાનિસ્તા તથા શ્રીલંકામાંથી પણ ભગવાન શ્રી રામ માટે વિશેષ ભેટ સોગાદો અને વસ્તુઓનો ખડકલો રામ મંદિર ખાતે થઈ ગયો છે. લોકો દ્વારા અનોખી મૂર્તિઓ બનાવાઈ છે તો અનોખી વસ્તુઓ અને ભગવાન શ્રી રામ સાથે જોડાયેલા અનોખા પ્રતિકો પણ તૈયાર કરવામાં આવ્યા છે.
ગુજરાતમાંથી હીરાનો હાર, ૧૦૮ ફૂટની અગરબત્તી, ૧૧૦૦ કિલોની દીવો અને ૫૦૦ કિલોનું નગારું તથા સીતાજી માટે સાડી ભેટ મોકલાવાયા છે. તો બીજી તરફ નેપાળમાંથી ૫૦૦૦ જેટલી વિવિધ ભેટ તો અફઘાનિસ્તાને પાણી મોકલાવ્યું છે. આ સિવાય ગણી ભેટ સોગાદ આવી છે જે સદીઓ સુધી આ ઘટનાને અવિસ્મરણીય બનાવી દેશે.
ખાસ કરીને અમેરિકાના પ્રસિદ્ધ ટાઈમ સ્ક્વેર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ સ્ક્રીનિંગ કરાશે. ભારતની કોઈપણ ઘટના અને કાર્યક્રમનું આ પહેલું લાઈવ સ્ક્રીનિંગ હશે. અહીંયા કેટલીક એવી જ અનોખી ભેટ વિશે વાત કરીએ જે ૨૨ જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને વધારે ભવ્યતા અને દિવ્યતા અર્પે છે.
કાશ્મીરથી ૨ કિલો શુદ્ધ કેસરની ભેટ
કાશ્મીરના મુસ્લિમ સમુદાય દ્વારા રામ લલાને કાશ્મીરનું સૌથી જાણીતું કેસર ભેટમાં મોકલવામાં આવ્યું છે. કાશ્મીરમાં કેસર પકવતા મુસ્લિમ ભાઈ-બહેનો દ્વારા કુદરતી રીતે પકવેલું અને શુદ્ધ અને ઓર્ગેનિક કેસર રામ ભગવાન માટે મોકલવામાં આવ્યું છે. રામ મંદિરને ભેટમાં કાશ્મીરથી ૨ કિલો શુદ્ધ કેસર આપવામાં આવ્યું છે જે રામ લલાના ભોગ અને સ્નાનાદી પ્રક્રિયાઓમાં ઉપયોગમાં લેવાય તેવી શક્યતાઓ છે. આ સિવાય અલિગઢના રામભક્તો દ્વારા ૪૦૦ કિલો વજનનું અને ૧૦ ફૂટ ઉંચાઈનું વિશેષ તાળું ભેટમાં મોકલાવવામાં આવ્યું છે. તેની ચાવીની લંબાઈ પણ ચાર ફૂટ જેટલી છે. તેની સાથે ૪૦૦ કિલો લાડુનો પ્રસાદ પણ ભક્તો માટે મોકલાવાયો છે. આગરાથી ભગવાન માટે પેઠાના ૫૬ પ્રકારના લાડુઓ ભોગ માટે અને પ્રસાદ માટે ભેટ ધરવામાં આવ્યા છે. આ સિવાય ઉજ્જૈન મહાકાલેશ્વર ખાતે ભગવાન રામ માટે લાડુઓનો વિશેષ પ્રસાદ મોકલાવાયો છે. મહાકાલેશ્વર ખાતેથી ૫ લાખ લાડુઓ ભરીને પાંચ ટ્રક અયોધ્યા મોકલવામાં આવી છે જેનું ભક્તોમાં વિતરણ કરવામાં આવશે.
૨૧૦૦ પીપડાં તેલ મોકલાવાયું
રાજસ્થાનમાંથી પણ વિવિધ જગ્યાઓએથી રામ લલા માટે વિશેષ ભેટ આવી છે. શ્રી મહેંદીપુરી બાલાજી મંદિર દ્વારા ૧,૫૧,૦૦૦ બોક્સ લાડુનો પ્રસાદ મોકલવામાં આવ્યો છે તો બીજી તરફ ૭૦૦૦ બ્લેન્કેટ પણ મોકલાવાયા છે જે ગરીબોને વહેંચવામાં આવશે. આ ઉપરાંત જયપુરથી ૨૧૦૦ પીપડા ભરીને તેલ મોકલાવામાં આવ્યું છે. આ સિવાય સિરિસ્કાના જંગલોમાંથી ત્રણ વર્ષની મહેનત દ્વારા ભેગું કરાયેલું કુદરતી અને ઓર્ગેનિક ૧૨૫ કિલો મધ ભગવાન માટે મોકલાવવામાં આવ્યું છે. મધ્ય પ્રદેશમાંથી ૧૦,૦૦૦ બોગનવેલના તાજા ફુલો મોકલાવાયા છે જે મંદિર શણગારમાં ઉપયોગમાં લેવાયા છે. આ સિવાય છિંદવાડાથી રામનામ જપ મંડળ દ્વારા કાગળો અને પુસ્તકોનો જથ્થો મોકલાવાયો છે જેમાં ૪.૩૧ કરોડ વખત રામનામ લખવામાં આવ્યું છે. તે સિવાય છત્તીસગઢમાંથી ૩૦૦ ટન ચોખા અને ૫૦ ટ્રક ભરીને શાકભાજી અને ફળો મોકલાવાયા છે. આ સિવાસ શ્રીલંકા ખાતેથી વિશેષ શિલા મોકલાવવામાં આવી છે. શ્રીલંકાના પ્રતિનિધિઓ દ્વારા અશોક વાટિકા ખાતેની વિશેષ શિલા રામ મંદિરમાં ભેટ સ્વરૂપે આપવામાં આવી છે.
મંદિર અષ્ટધાતુનો વિશેષ ઘંટ મોકલાવાયો
ઉત્તરપ્રદેશના જ કેટલાક કારિગરો દ્વારા અને રામ ભક્તો દ્વારા ૨૧૦૦ કિલોનો વિશેષ ઘંટ બનાવવામાં આવ્યો છે. અષ્ટધાતુનો આ ઘંટ સોનું, ચાંદી, તાંબુ, લોખંડ, સ્ટિલ, સીસું વગેરે ધાતુઓના ઉપયોગ દ્વારા બનાવાયો છે. તેની ખાસીયત એ છે કે, આ ઘંટ જ્યારે વગાડવામાં આવશે ત્યારે ૧૫ કિ.મી દૂર સુધી તેનો ધ્વનિ સંભળાશે. તેવી જ રીતે તામીલનાડુમાંથી ભગવાનની શુભશૈયા માટે શુદ્ધ રેશમની ચાદર મોકલાવવામાં આવી છે. આ સિવાય તેલંગણાના એક કાર સેવકના ૬૪ વર્ષના પિતા દ્વારા તેલંગણાથી ચાલતા અયોધ્યા સુધીની સફર કરવામાં આવી છે અને તેણે ભગવાનના ચરણોમાં સોનાની ચરણપાદુકા અર્પણ કરી છે. તે સિવાય કેરળથી ભગવાનને ઓનાવિલુ અર્પિત કરાયું છે. આ સિવાય તમિલનાડુના કારીગરો દ્વારા તૈયાર કરાયેલી કેળના ફાઈબરથી બનાવવામાં આવેલી ૨૦ ફૂટ લાંબી અને ૪ ફૂટ પહોળી સાડી પણ અયોધ્યા પહોંચી ગઈ છે. માતા સીતાને ભેટ સ્વરૂપે આ સાડી અર્પણ કરાઈ છે. બિહારથી ભગવાન માટે પાઘ, પાન અને મખાના જેવી વસ્તુઓ મોકલાવવામાં આવી છે. આ સિવાય મહારાષ્ટ્રના સાંસદ દ્વારા ભગવાન માટે ૧૧ કરોડની રકમ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી છે.
રામના સાસરેથી પણ ભેટસોગાદોની વણઝાર આવી
નેપાળમાં આવેલા જનકપુરી એટલે કે ભગવાન રામના સાસરેથી જમાઈ માટે મોટી સંખ્યામાં ભેટસોગાદો મોકલાવવામાં આવી છે. જાન્યુઆરીની શરૂઆતમાં જ જનકપુરી ખાતેથી વિશાળ જનસમુદાય અયોધ્યાની મુલાકાતે આવ્યો હતો. તેઓ ૩૬ ગાડીઓ ભરીને ૫૦૦૦ જેટલી ભેટસોગાદો રામ મંદિર માટે લઈ આવ્યા હતા. તેમાંથી ૩૦૦૦ ભેટસોગાદો રામ મંદિરને અર્પણ કરવામાં આવી જ્યારે બાકીને ભેટ અયોધ્યાના અન્ય મંદિરોમાં અર્પિત કરવામાં આવી છે. તેમાં વસ્ત્રો, અલંકાર, ચાંદીની પાદુકા અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નેપાળની ૧૬ નદીઓનું પવિત્ર જળ પણ ભગવાનને અર્પણ કરાયું છે જેનાથી તેમનો અભિષેક કરવામાં આવશે. નેપાળની સાથે સાથે અફઘાનિસ્તાનના કાબુલ ખાતે આવેલી કુભા નદીનું પણ પવિત્ર જળ રામ લલા માટે મોકલાવવામાં આવ્યું છે. આ ઉપરાંત લખનઉના એક શાકભાજી વિક્રેતા દ્વારા રામ લલા માટે અનોખી ઘડિયાળ ભેટમાં અપાઈ છે. તેમણે પાંચ વર્ર્ષ મહેનત કરીને ૯ દેશોનો સમય બતાવે તેવી એક જ ઘડિયાળ તૈયાર કરાવી છે. ભારત સરકાર દ્વારા તેને પેટન્ટ પણ કરાવાઈ છે. આ ઘડિયાળમાં ભારત ઉપરાંત મેક્સિકો, જાપાન, દુબઈ, ટોકિયો, મેક્સિકોસિટી, વોશિંગ્ટન સહિતાના ૯ સ્થળોના સમય બતાવવામાં આવશે.
ચાંદીના ૩૧ ચરણપાદુકા અને સિંહાસનની ભેટ આવી
ભગવાનને સોના-ચાંદીને વસ્તુઓ ભેટ આપવાનો પણ તોટો રહ્યો નથી. છત્તીસગઢના રામભક્ત દ્વારા ભગવાન માટે વિશેષ ચરણપાદુકાઓ બનાવવામાં આવી છે. તેમના દ્વારા ભગવાનને ૩૧ ચરણપાદુકાઓ અર્પિત કરાઈ છે. આ ઉપરાંત ભગવાન માટે સિંહાસન અને ચાંદીના પારણામાં વિરાજીત રામ લલાની મૂર્તિ પણ ભેટ આપવામાં આવી છે. રામ લલા વનવાસ દરમિયાન છત્તીસગઢમાં જ્યાં જ્યાં રોકાયા અને જે જગ્યાએથી પસાર થયા હતા તેને દર્શાવતી ૨૫ ચરણ પાદુકા બનાવાઈ છે. તે ઉપરાંત ચાર ભાઈની ચાર અલગ અલગ પાદુકા અને બે વિશેષ પાદુકા બનાવાઈ છે. આ તમામનું કુલ વજન ૨૧ કિલો થાય છે. તેની અંદાજે ૧૬ લાખ જેટલી કિંમત થાય છે. આ સિવાય મહારાષ્ટ્રમાંથી ભગવાન માટે ૭૦૦૦ કિલોનો વિશેષ રામ હલવો તૈયાર કરીને મોકલાવાયો છે. ઉપરાંત હૈદારબાદ ખાતે ૩૦ લોકો દ્વારા ૨૪ કલાક સતત કામ કરીને ભગવાન માટે ૧૨૦૦ કિલોનો વિશેષ લાડુ તૈયાર કરવામાં આવ્યો છે. આ લાડુનો પણ ૨૨ જાન્યુઆરીએ ભોગ ધરાવવામાં આવશે.
રામ મંદિરના શોભા વધારવામાં અમદાવાદ મોખરે
ભગવાન રામના નવનિર્મિત મંદિર માટે ભેટસોગાદો મોકલાવવામાં ગુજરાત અવ્વલ છે. સોના-ચાંદી અને હીરાના હારથી માંડીને તોતિંગ અગરબત્તી અને વિશાળ દીવા અને નગારાની ભેટ ગુજરાતીઓ દ્વારા મોકલાવવામાં આવી છે. ખાસ કરીને રામ મંદિરના ૧૬૧ ફૂટ ઉંચાઈને વધારે શોભાયમાન કરવાનો યશ અમદાવાદને ફાળે જશે. અમદાવાદ ખાતે ભગવાન રામના શીખર માટે ૫૫૦૦ કિલો વજનનો ૪૪ ફૂટ ઉંચો ધ્વજ દંડ મોકલાવાયો છે. તેના ઉપર ભગવાન રામની ધ્વજા લહેરાશે. આ ઉપરાંત ૭૦૦ કિલો વજનના અન્ય ૨૦ ધ્વજ દંડ પણ મોકલાવાયા છે જે મંદિર પરિસરમાં વિવિધ સ્થળે લગાવાશે. તે ઉપરાંત અમદાવાદના ડબગર સમાજ દ્વારા ૫૦૦ કિલો વજનનું અને ૫૬ ઈંચ ઉંચું નકશીદાર નગારું રામ લલાના મંદિરમાં ભેટ ધરવામાં આવ્યું છે. આ નગારાને સોના-ચાંદીનો ગિલેટ પણ કરવામાં આવ્યો છે. અમદાવાદ ખાતેથી જ ભગવાન માટે ૧૮ ફૂટ ઉંચું રામ તિલક મોકલાવાયું છે. આ તિલકના મધ્યમાં ૧૦૮ વખત રામનામ કોતરવામાં આવ્યું છે. આ તિલક ટેન્ટ સિટી ખાતે મુકવામાં આવશે. તે ઉપરાંત અમદાવાદ ખાતેથી પંચધાતુનું તૈયાર કરાયેલું અજયબાણ પણ ભગવાનના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યું છે.
ધૂપ-દીપ અને ધજા પણ ગુજરાતના જ ધરાવાશે
ભગવાન શ્રી રામને ધૂપ-દીપ અને ધજા પણ ગુજરાતથી મોકલાવાયેલા ધરાવાશે. ખાસ કરીને વડોદરાથી બે વિશેષ ભેટ ભગવાન માટે મોકલાવાઈ છે. ૧૦૮ ફૂટની વિશાળ અગરબત્તી અયોધ્યા મોકલાવાઈ છે જેને પ્રજ્વલિત પણ કરી દેવાઈ છે. ૩.૫ ફૂટ પહોળી અને ૩૬૦૦ કિલો વજનની આ અગરબત્તી આગામી ૪૫ દિવસ સુધી રામ મંદિર પરિસરને સુગંધિત કરતી રહેશે. વડોદરા ખાતેથી ૧૧૦૦ કિલો વજનનો વિશાળ દીવો પણ અયોધ્યા મોકલાવાયો છે. ૧૦ ફૂટ ઉંચાઈના આ દીવામાં ૮૫૧ કિલો ઘી સમાઈ શકે છે. તેમાં વિશાળ દિવેટ અને દીવો પ્રજ્વલીત કરવા ૪ ફૂટની વિશેષ મશાલ પણ મોકલાવવામાં આવી છે. તે ઉપરાંત જગવિખ્યાત દ્વારકા ખાતેથી તૈયાર કરાયેલી ૧૩ ગજની વિશેષ ધજા રામ મંદિર મોકલવામાં આવી છે. મીઠાપુરના એક પરિવાર દ્વારા તૈયાર કરાયેલી આ ધજા રામ મંદિર ઉપર વિજયપતાકાની જેમ લહેરાશે. આ ઉપરાંત જામનગર ખાતે તૈયાર કરાયેલી રામ મંદિરની પ્રતિકૃતિ સાથેની સોના-ચાંદી મઢેલી પેન પણ મંદિરને ભેટ આપવામાં આવી છે. તેની કિંમત અંદાજે ૨ લાખ રૂપિયા થાય છે. આ સિવાય સોમનાથ ખાતેથી રામભક્તો દ્વારા સવાફૂટ લાંબો અને પોણા ફૂટ પહોળો ગદા શંખ ભગવાન રામ માટે ભેટમાં મોકલાવવામાં આવ્યો છે.
ભગવાનને સોનાના ધનુષ અને તીર ભેટમાં આવ્યા
ભગવાન શ્રી રામને લોકો, મંદિરો, સંસ્થાઓ દ્વારા યથાશક્તિ ભેટસોગાદો મોકલાવવામાં આવી રહી છે. પટનાના મહાવીર મંદિર દ્વારા રામ લલાને સોનાના ધનુષ અને તીરની ભેટ મોકલાવવામાં આવી છે. અઢી કિલો વજનના આ ધનુષ અને તીર ઉપર સોનાનું પતરું લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મંદિર દ્વારા રામ મંદિર નિર્માણ માટે ૧૦ કરોડની રકમ પણ દાનમાં આપવામાં આવી હતી. તેવી જ રીતે વૃંદાવન બાંકેબિહારી મંદિરમાંથી ભગવાન માટે ચાંદીથી જડેલો દક્ષિણાવર્તી શંખ, ચાંદીની વાંસળી, સાત મોતીનો ગળાનો હાર, શુદ્ધ કેસર અને દરેક ઋતુને અનુકુળ આવે તેવું અત્તર ભેટમાં મોકલાવાયું છે. આ ઉપરાંત વિવિધ સિઝન પ્રમાણેના વસ્ત્રો અને ભોગ પણ ભેટ ધરવામાં આવશે. આ સિવાય મથુરાથી જ ભગવાનના ભક્તો માટે ૨૦૦ કિલો લાગુ એટલે કે અંદાજે ૧.૧૧ લાખ નંગ લાડુ પ્રસાદ તરીકે મોકલાવવામાં આવ્યા છે. એક વ્યક્તિ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે ૧૦ લાખ પાણીની બોટલ ભેટ મોકલાવવામાં આવી છે. રાજસ્થાનના એક ગામના લોકો દ્વારા બળદગાડા ભરીને ૬૦૦ કિલો દેશી ઘી અયોધ્યા મોકલાવવામાં આવ્યું છે.