હવે ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓ વર્ષમાં 2 વખત આપી શકશે બોર્ડની પરીક્ષા, શિક્ષણ મંત્રીએ આપી માહિતી

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
હવે ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓ વર્ષમાં 2 વખત આપી શકશે બોર્ડની પરીક્ષા, શિક્ષણ મંત્રીએ આપી માહિતી 1 - image


નવી મુંબઇ,તા. 20 ફેબ્રુઆરી 2024, મંગળવાર 

ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાને લઈને સૌથી વધુ ચિંતિત રહેતા હોય છે. આ તણાવને ઓછો કરવા માટે કેન્દ્ર સરકાર બોર્ડની પરીક્ષાઓની પેટર્નમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા હવે બે વર્ષમાં બે વાર આપી શક્શે. કેન્દ્ર સરકરના આ પગલાથી વિદ્યાર્થીઓને સારા ગુણ મેળવવાની તક મળશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ આ અંગે માહિતી આપી હતી.

NEP 2020 દ્વિવાર્ષિક બોર્ડ પરીક્ષાઓની પરિકલ્પના કરે છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સોમવારે આ અંગેની માહિતી આપતા કહ્યું હતું કે, શૈક્ષણિક સત્ર 2025-26થી, વિદ્યાર્થીઓને વર્ષમાં બે વાર ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપવાનો વિકલ્પ મળશે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે આનો હેતુ શૈક્ષણિક તણાવ ઘટાડવા અને 2020માં શરૂ કરવામાં આવેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)માં આપવામાં આવેલા ઉદ્દેશ્યોને પૂર્ણ કરવાનો છે. ઉલ્લેખનીય છે કે NEP 2020 દ્વિવાર્ષિક બોર્ડ પરીક્ષાઓની પરિકલ્પના કરે છે જેથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે ઉત્કૃષ્ટ થવાની પૂરતી તકો પૂરી પાડવામાં આવશે. 

NEP દ્વારા વડાપ્રધાન મોદીનું છે આ વિઝન

રાયપુરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન, શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 'NEP દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન વિદ્યાર્થીઓને તણાવમુક્ત રાખવાનું, તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનું, વિદ્યાર્થીઓને સંસ્કૃતિ સાથે જોડાયેલા રાખવા અને ભવિષ્ય માટે તૈયાર કરવાનું છે. આ ભારતને 2047 સુધીમાં વિકસિત દેશ બનાવવાનું એક સૂત્ર છે.'

શાળાઓ પાછળ 2 કરોડનો ખર્ચ કરવામાં આવશે

છત્તીસગઢમાં પ્રધાને જણાવ્યું હતું કે, યોજનાના પ્રથમ તબક્કા હેઠળ, રાજ્યની 211 શાળાઓને 2 કરોડ ખર્ચીને ‘હબ એન્ડ સ્પોક’ મોડલ પર અપગ્રેડ કરવામાં આવશે.


Google NewsGoogle News