નવી દિલ્હીમાં રેલવે સ્ટેશન પર નાસભાગમાં મૃતકાંક વધી 18 થયો, મૃતકોની યાદી જાહેર કરાઈ
Delhi Railway Station stampede : મહાકુંભ જેમ-જેમ પૂર્ણાહુતિ તરફ જઇ રહ્યું છે તેમ-તેમ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આસ્થા સાથે ત્યાં ડૂબકી લગાવવા જઇ રહ્યા છે. આ વચ્ચે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભારે ભીડ એકઠી થતા નાસભાગ થઇ હતી. અહેવાલ મુજબ, ઘટનામાં 18 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જેમાં 9 મહિલાઓ, 5 બાળક અને 4 પુરુષ સામેલ છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાના કેટલાક વીડિયો પણ વાઇરલ થઇ રહ્યા છે.
18 લોકોના મોત
નોંધનીય છે કે, નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ 12-16 પર મહાકુંભ જવા માટે ભારે ભીડ એકઠી થવાને કારણે નાસભાગ થઇ હતી. આ ઘટનામાં 18 લોકોના મોત થયા છે. ઇજાગ્રસ્તો અને મૃતકોને LNJP અને લેડી ઇરવીન હોસ્પિટલ લઇ જવાયા છે. હાલ અહીં ચાર ફાયર વિભાગની ગાડીઓ અને એમ્બ્યુલન્સ પણ તહેનાત કરવામાં આવી છે. સૂત્રો અનુસાર બે ટ્રેનો મોડી પડતા ભીડ વધવા લાગી હતી જેમાં પ્લેટફોર્મ પર ટ્રેનનો નંબર બદલાઈ જતા ભીડ એકાએક વધી ગઈ હતી.
PM મોદીએ શોક વ્યક્ત કર્યો
PM મોદીએ આ મોટી દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા લખ્યું કે નવી દિલ્હી સ્ટેશન પર થયેલી ભાગદોડથી વ્યથિત છું. મારી સંવેદનાઓ એ તમામની સાથે જેમણે આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું પ્રાર્થના કરું છું કે ઈજાગ્રસ્તો જલ્દીથી સ્વસ્થ થઈ જાય. અધિકારીઓ એ તમામની મદદ કરે જે લોકો આ ભાગદોડમાં પ્રભાવિત થયા છે.
નવી દિલ્હી સ્ટેશન પર નાસભાગના મૃતકોની યાદી
1. આહા દેવી (79 વર્ષ), બિહાર
2. પિંકી દેવી (41 વર્ષ), દિલ્હી
3. શીલા દેવી (50 વર્ષ), દિલ્હી
4. વ્યોમ (25 વર્ષ), દિલ્હી
5. પૂનમ દેવી (40 વર્ષ), બિહાર
6. લલિતા દેવી (35 વર્ષ), બિહાર
7. સુરુચી (11 વર્ષ), બિહાર
8. કૃષ્ણા દેવી (40 વર્ષ), બિહાર
9. વિજય સાહ (15 વર્ષ), બિહાર
10. નીરજ (12 વર્ષ), બિહાર
11. શાંતિ દેવી (40 વર્ષ), બિહાર
12. પૂજા કુમાર (8 વર્ષ), બિહાર
13. સંગીતા મલિક (34 વર્ષ), હરિયાણા
14. પૂનમ (34 વર્ષ), દિલ્હી
15. મમતા ઝા (40 વર્ષ), દિલ્હી
16. રિયા સિંહ (7 વર્ષ), દિલ્હી
17. બેબી કુમારી (24 વર્ષ) દિલ્હી.
18. મનોજ (47 વર્ષ), દિલ્હી
રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો
રક્ષામંત્રી રાજનાથ સિંહ અને દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી આ દુર્ઘટના મામલે દુઃખ વ્યક્ત કર્યુ હતું. રાજનાથ સિંહે કહ્યું, નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભાગદોડના કારણે થયેલા મોતથી હું દુઃખી છું. આ ક્ષણે મારી સંવેદના મૃતકોના પરિવારની સાથે છે. ઈજાગ્રસ્તો જલ્દીથી સાજા થાય તેવી પ્રાર્થના.
તો બીજી બાજુ વીક સક્સેનાએ લખ્યું, નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર લોકોના મૃત્યુ થયા તે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. ચીફ સેક્રેટરી અને પોલીસ કમિશ્રનરને ઘટનાસ્થળે ઉપસ્થિત રહેવાના આદેશ આપી દેવાયા છે અને તમામ
આ પણ વાંચોઃ VIDEO : મહાકુંભમાં ફરી આગ લાગી : સેક્ટર 18-19 વચ્ચેના અનેક પંડાલો આગની ઝપેટમાં
જોકે, રેલ્વે સ્ટેશન પર રાહ જોઈ રહેલા લોકોએ મીડિયાને જણાવ્યું કે, ‘તેઓ એક કલાક સુધી ભીડમાં અટવાયા હતા. પાછળથી આવતી જતી ભીડને લીધે નાસભાગ થઇ હતી. ભીડ એટલી હતી કે લોકો પોતાને બચાવી શક્યા નહીં અને લાંબા સમય સુધી દબાઇ ગયા હતા.’
રેલવેના અધિકારીએ નાસભાગની વાતને ફગાવી હતી
રેલવેના એક અધિકારીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, ‘કોઈ નાસભાગ થઈ નથી પરંતુ મોટી ભીડ એકઠી થઈ હતી. પ્રયાગરાજ માટે મોટી સંખ્યામાં ખાસ ટ્રેનો પહેલેથી જ દોડી રહી છે. રવિવાર હોવાથી ભીડ એકઠી થઈ છે. તેમના માટે પ્રયાગરાજ જવા માટે ખાસ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવશે. ટ્રેનોમાં કોઈ ઘટાડો કરાયો નથી અને કોઈને ઈજા થઈ હોવાના કે નાસભાગ મચવાના કોઈ અહેવાલ નથી.’ જો કે, નાસભાગ ન થઇ હોવાનો દાવો ખોટા નીકળ્યો છે.
પોલીસની ટીમ સ્ટેશન પર તહેનાત
મળતી માહિતી મુજબ, બે ટ્રેનો મોડી ચાલી રહી છે અને તેના કારણે લોકોને લાંબા સમય સુધી રાહ જોવી પડી રહી છે. બે વધારાની ટ્રેનો ચલાવવા છતાં, સ્ટેશનો પર ભીડ ઓછી થઈ રહી નથી. ભીડને કાબુમાં લેવા માટે સુરક્ષા કર્મચારીઓને પણ તહેનાત કરવામાં આવ્યા છે અને દિલ્હી પોલીસ તેમજ રેલવે પોલીસની ટીમો પણ સ્ટેશન પર તહેનાત છે.