ભારતની ચૂંટણીઓમાં ગુંજતા નારા અને સૂત્રોનો ઈતિહાસ, જે ભલભલા નેતાઓની કિસ્મત બદલી નાંખે છે...

Updated: Mar 14th, 2024


Google NewsGoogle News
ભારતની ચૂંટણીઓમાં ગુંજતા નારા અને સૂત્રોનો ઈતિહાસ, જે ભલભલા નેતાઓની કિસ્મત બદલી નાંખે છે... 1 - image

ભારતની ચૂંટણીઓમાં નારા અને સૂત્રોનો સુવર્ણ ઈતિહાસ રહ્યો છે. ચૂંટણી વખતે રાજકીય પક્ષના કાર્યકરો જ નહીં, સામાન્ય લોકોનો ઉત્સાહ વધારવા પણ નારા-સૂત્રો મહત્ત્વની ભૂમિકા ભજવે છે. લોકસભા, વિધાનસભા તો ઠીક સ્થાનિક અને પંચાયત ચૂંટણીઓમાં મુદ્દા આધારિત નારા કે સૂત્રોએ ચૂંટણીની બાજી પલટી નાંખ્યાના કિસ્સા મોજુદ છે. નારા અને સૂત્રો રાજકીય પક્ષો અને નેતાઓના મુદ્દા સાબિત કરવાનું પણ કામ પણ સરળતાથી કરે છે. અહીં આપણે એવા નારા-સૂત્રોની વાત કરીશું, જેણે ચૂંટણીઓમાં ભલભલા નેતાઓની કિસ્મત બદલી નાંખી છે કે રાજકીય પક્ષોનું પલડું ભારે કરી દીધું છે.   

શરૂઆત કરીએ લોકસભા ચૂંટણી 2024ના એક તાજા દાખલાથી... 

મોદી કા પરિવારઃ બફાટ બૂમરેંગ સાબિત થાય ત્યારે... 

હાલમાં જ દેશભરના ભાજપ નેતાઓ અને કાર્યકરોએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોતાના નામની સાથે 'મોદી કા પરિવાર' એવું સૂત્ર જોડી દીધું છે. વાત એમ હતી કે, રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે, 'કોણ છે નરેન્દ્ર મોદી, શું ચીજ છે મોદી? આ મોદી આજકાલ પરિવારવાદ પર પ્રહારો કરી રહ્યા છે. અરે ભાઈ, તમે કહો કે તમારા પરિવારમાં કેમ કોઈ સંતાન નથી? વધુ સંતાનો હોય એમને કહો છો કે, પરિવારવાદ કરો છો. તમારી પાસે પરિવાર નથી. તમે તો હિંદુ પણ નથી. હિંદુ પરંપરા પ્રમાણે માતા-પિતાના નિધન પછી પુત્ર મુંડન કરાવે છે અને દાઢી કઢાવે છે. તમે કેમ આવું ના કર્યું?'

140 કરોડ દેશવાસીઓ ‘મોદી કા પરિવાર’ 

આ વાતનો જવાબ આપતા વડાપ્રધાન મોદીએ તેલંગાણાના આદિલાબાદમાં એક જનસભામાં કહ્યું કે, ‘ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તુષ્ટિકરણમાં ડૂબેલા વિપક્ષી ગઠબંધનના નેતાઓ પરેશાન છે. હું તેમના પરિવારવાદ સામે સવાલ ઉઠાવું છું, તો તેમણે હવે બોલવાનું શરૂ કર્યું છે કે મોદીનો કોઈ પરિવાર જ નથી. હું કહેવા માંગુ છું કે, 140 કરોડ દેશવાસીઓ મારો પરિવાર છે, જેનું કોઈ નથી તેઓ પણ મોદીના જ છે અને મોદી તેમનો છે. દેશની કરોડો પુત્રીઓ-માતાઓ મોદીનો પરિવાર છે. મારું ભારત, મારો પરિવાર છે.' 

બસ, આ સાથે જ ભાજપે ‘મોદી કા પરિવાર’ અભિયાન શરૂ કરી દીધું. દેશભરના ભાજપ નેતાઓ અને કાર્યકરોએ એક્સ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના નામની સાથે ‘મોદી કા પરિવાર’નું લટકણિયું નાંખી દીધું અને લાલુ પ્રસાદ યાદવનો બફાટ બૂમરેંગ સાબિત થયો. 

2019માં વડાપ્રધાન મોદી ‘ચોકીદાર’ બન્યા હતા 

ચૂંટણીઓમાં નેતાઓની સામસામી નિવેદનબાજીથી કોને ક્યારે લાભ થાય તે કળવું મુશ્કેલ છે. ‘મોદી કા પરિવાર’ સૂત્ર વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ‘મેં હુ ચોકીદાર’ અભિયાનની યાદ અપાવે છે. એ વખતે કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા ‘ચોકીદાર ચોર હૈ’ અભિયાન શરૂ કર્યું હતું, જેના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘હા, મેં હુ ચોકીદાર’ કહીને ‘મેં હું ચોકીદાર’ સૂત્ર આપ્યું હતું. એ અભિયાન હેઠળ પણ ભાજપના દેશભરના નેતાઓ અને કાર્યકરોએ ટ્વિટર હેન્ડલ પર પોતાના નામની સાથે ‘મેં હુ ચોકીદાર’ સૂત્ર ઉમેર્યું હતું. એ ચૂંટણીમાં કોંગ્રેસે ‘મોદી હટાવો, દેશ બચાવો’નું પણ સૂત્ર આપ્યું હતું, જ્યારે ભાજપે ‘મોદી હૈ તો મુમકિન હૈ’ સૂત્ર થકી જોરશોરથી ચૂંટણી પ્રચાર કર્યો હતો. સોશિયલ મીડિયામાં પણ આ પ્રકારના નારા છવાયેલા રહ્યા હતા. છેવટે એ ચૂંટણીમાં ભાજપને 37.36 ટકા અને કોંગ્રેસને 19.49 ટકા મત મળ્યા હતા અને કેન્દ્રમાં સરકાર રચવા 272 બેઠકની જરૂર હતી, ત્યારે ભાજપે 303 બેઠક પર ભવ્ય વિજય મેળવીને સરકાર બનાવી હતી. 

2014માં ‘અચ્છે દિન’સૂત્રે ઈતિહાસ રચી દીધો હતો

એ પહેલા વર્ષ 2014ની લોકસભા ચૂંટણી પણ નારા અને સૂત્રોની દૃષ્ટિએ મહત્ત્વની રહી હતી. એ ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારમાં ‘અચ્છે દિન આનેવાલે હૈ...’ વાત પર ભાર મૂકીને ‘અચ્છે દિન’ સૂત્ર આપ્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીને જ ચૂંટણી ચહેરો બનાવીને ભાજપે ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ અને ‘હર હર મોદી, ઘર ઘર મોદી’ સૂત્રો પણ આપ્યા હતા. રાજકીય વિશ્લેષકોના મતે આ સૂત્રોએ ભાજપને 282 બેઠક અપાવવામાં ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારે ત્રણ દાયકામાં પહેલીવાર કોઈ રાજકીય પક્ષે પૂર્ણ બહુમતીથી સરકાર રચી હતી.   

ભાજપના ‘ઈન્ડિયા શાઈનિંગ’ સામે કોંગ્રેસના સૂત્રો ચાલ્યા

વર્ષ 2009માં   કોંગ્રેસે ‘સ્લમડોગ મિલિયોનેર’ નામની ફિલ્મના   જાણીતા ગીત પરથી ‘જય હો’ એન્થમ બનાવ્યું હતું, તો સામે ભાજપે ‘કુશલ નેતા’ અભિયાન શરૂ કર્યું હતું. એ ચૂંટણીમાં કોંગ્રેસે 206 અને ભાજપે 116 બેઠક જીતી હતી. એ વર્ષે કોંગ્રેસે અન્ય પક્ષોને સાધીને 322 બેઠક સાથે ગઠબંધન સરકાર બનાવી હતી. એ પહેલા 2004માં ભાજપે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ‘ઈન્ડિયા શાઇનિંગ’ સૂત્ર આપ્યું હતું. ઉદારીકરણ, ડિસઈન્વેસ્ટમેન્ટ જેવી સરકારી નીતિઓ તેમજ 100 અબજ ડૉલરે પહોંચેલા વિદેશી હુંડિયામણ જેવા મુદ્દાને ધ્યાનમાં રાખીને આ સૂત્ર અપાયું હતું. જો કે એ ચૂંટણીમાં કોંગ્રેસે 145 અને ભાજપે 138 બેઠક જીતી હતી.     ‘ઈન્ડિયા શાઇનિંગ’ સૂત્ર થકી ભાજપે એવું સાબિત કરવા માંગતો હતો કે, કોંગ્રેસ ગરીબો, ગ્રામીણ ભારતનો પક્ષ છે, જેમના મતદારો અર્થતંત્રને મજબૂત બનાવવાની પ્રક્રિયામાં સામેલ નથી. ભાજપના શાસનમાં મધ્યમ વર્ગ ધનિક થયો છે વગેરે. તેની સામે કોંગ્રેસે ‘જનતા કો ક્યા મિલા’ અને ‘કોંગ્રેસ કા હાથ જનતા કે સાથ’ સૂત્ર થકી સામાન્ય લોકોને સાધવાનો પ્રયાસ કર્યો હતો. આ સૂત્ર થકી કોંગ્રેસને ફરી સત્તા મળી હતી. આ નારા સાથે યુપીએ સરકારનો જન્મ થયો હતો અને આ જ સૂત્રો-નારા સાથે તેમણે બે કાર્યકાળ પૂરા કર્યા હતા. 

1996માં ‘સબ કો દેખા બારી બારી અબ કી બારી અટલ બિહારી’ 

ભાજપે 1996માં અટલ બિહારી વાજપેયીને ચૂંટણી ચહેરો બનાવીને ‘સબ કો દેખા બારી બારી અબ કી બારી અટલ બિહારી' નારો આપ્યો હતો અને પોતાને એક મોટા રાજકીય પક્ષ તરીકે રજૂ કર્યો હતો. આ નારા સાથે ભાજપે સરકારની રચના કરી અને વાજપેયી વડાપ્રધાન પણ બન્યા, જે સરકાર ફક્ત 13 દિવસ ટકી શકી હતી. ત્યાર પછી 1998માં પણ ‘અબ કી બારી અટલ બિહારી’ નારાના જોરે અટલ બિહારી વાજપેયી ફરી વડાપ્રધાન બન્યા અને તે સરકાર 13 મહિના ચાલી. ભાજપે ધીરજ ખોયા વિના ફરી એક વાર 1999માં પણ ‘અબ કી બારી અટલ બિહારી’ નારા પર વિશ્વાસ મૂક્યો, સરકાર રચી અને કાર્યકાળ પૂરો પણ કર્યો. 

આઝાદ ભારતની ચૂંટણીનું સૌથી વિખ્યાત સૂત્ર ‘ગરીબી હટાવો’ 

આઝાદી પછી કોંગ્રેસ ઘણાં લાંબા સમય સુધી સત્તામાં રહી. આ દરમિયાન વિપક્ષના એકંદરે અભાવના કારણે કોંગ્રેસે કોઈ નારા પર ખાસ ભાર નહોતો મૂક્યો, પરંતુ કોંગ્રેસને પડકાર મળ્યા બાદ ઈન્દિરા કોંગ્રેસે   ‘ગરીબી હટાવો’નું સૂત્ર આપ્યું. વર્ષ 1971માં આ સૂત્ર થકી ઈન્દિરા ગાંધી સત્તા મેળવીને દેશના પહેલા મહિલા વડાં પ્રધાન બન્યાં. એ પહેલા 1965માં ભારત ચીન યુદ્ધમાં સૈન્યનું મનોબળ વધારવા લાલ બહાદુર શાસ્ત્રીએ ‘જય જવાન જય કિસાન’નો નારો આપ્યો હતો. એ સૂત્રમાં ખેતીપ્રધાન દેશના લોકોની પણ વાત હતી. જો કે તે ચૂંટણીનું સૂત્ર હતું અને છતાં 1967માં કોંગ્રેસે આ સૂત્રથી જુવાળ સર્જીને સત્તા મેળવી હતી. 

સૂત્રો-નારા લોકમુખે ચઢી જાય એ માટે પ્રોફેશનલ્સની નિમણૂક

સોશિયલ મીડિયાના ઉદય પછી દુનિયાભરમાં ચૂંટણી પ્રચારની પદ્ધતિ અને માપદંડોમાં જબરદસ્ત પરિવર્તન આવ્યું છે. હવે તો સૂત્રો અને નારાનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયામાં જોરશોરથી અભિયાન કરવા પ્રોફેશનલ્સની પણ નિમણૂક કરવામાં આવે છે. આ માટે રાજકીય પક્ષો   જંગી ખર્ચ કરે છે. આ પાછળનો તેમનો હેતુ એ હોય છે કે, તેમના મુદ્દા સહેલાઈથી લોકમુખે ચઢી જાય. અત્યાર સુધીની   ચૂંટણીઓમાં ઘણાં એવા નારા ગુંજી ચૂક્યા જે સત્તા પરિવર્તનના વાહક બન્યા હોય. જો કે આ વખતે કયો નારો કે સૂત્ર કોની ‘નૈયા પાર’ કરાવશે એ જોવું રસપ્રદ રહેશે.


Google NewsGoogle News