પહલગામ હુમલાના 3 શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કરાયા, મૃતકાંક વધીને 28એ પહોંચ્યો
Pahalgam Attack Terrorist sketch: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 28 પ્રવાસીઓનો જીવ લેનાર શંકાસ્પદ આતંકવાદીઓનો પ્રથમ સ્કેચ સામે આવ્યો છે. પ્રત્યક્ષ દર્શીઓના વર્ણનના આધારે સ્કેચ તૈયાર કરવામાં આવ્યા છે. આ આતંકવાદીઓની ઓળખ આસિફ ફૌજી, સુલેમાન સાહ અને અબુ તલહાના રૂપમાં કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રવાસીઓને વીણી વીણીને ગોળબાર કર્યા આ આતંકવાદીઓ નજીકના પહાડી જંગલમાં સંતાઈ ગયા છે. તેમને પકડવા માટે સુરક્ષાકર્મીઓ દ્વારા સઘન તલાશી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
કોણ છે TRF?
જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની જવાબદારી TRFએ લીધી છે. તે ફાયનાન્સિયલ ઍક્શન ટાસ્ક ફોર્સ(FATF)ની કાર્યવાહીથી બચવા માટે બનાવવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના વધી રહેલા વર્ચસ્વમાં ઘટાડો કરવાનું છે. ટાર્ગેટ કિલિંગ જેવા અનેક કિસ્સામાં ટીઆરએફ સામેલ છે. સોશિયલ મીડિયા પર તેઓ એક્ટિવ છે. કાશ્મીરની અંદર ચાલતી દરેક ગતિવિધિઓ પર નજર રાખે છે. અગાઉ તેણે પોતાની હિટ લિસ્ટ પણ જારી કરી હતી. આ લિસ્ટમાં ભાજપના નેતાઓ, સેના અને પોલીસ અધિકારીઓના નામ સામેલ છે.
આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ સૈફુલ્લાહ ખાલિદ કોણ છે?
જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં લોકોને તેમના નામ પૂછીને ગોળી મારવામાં આવી છે. આ આતંકી હુમલાની જવાબદારીધ રેજિસ્ટન્સ ફ્રન્ટે લીધી છે. તેનો ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ ખાલિદ આ હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. તેનું કનેક્શન હાફિઝ સઈદ સાથે છે. સૈફુલ્લાહને પાકિસ્તાન તરફથી સમર્થન મળે છે. તેના પાકિસ્તાની સેના સાથે સારા સંબંધ છે. તેમજ પાકિસ્તાનમાં જેહાદી ભાષણ આપે છે.
આ પણ વાંચો: હુમલા અંગે ઈનપુટ હતા છતાં સુરક્ષા એજન્સીઓ શું કરતી હતી? પહલગામ નરસંહાર મામલે ઊઠ્યાં સવાલ
નવયુવાનોનું બ્રેઇનવૉશ કરે છે
સૈફુલ્લાહ ખાલિદને પાકિસ્તાન તરફથી મોટાપાયે સમર્થન મળે છે. તે પાકિસ્તાનમાં જેહાદી ભાષણ આપી ત્યાંના નાગરિકો અને સેનાને ભડકાવવાનું કામ કરે છે. નવયુવાનોનું બ્રેઇનવૉશ કરી તેમને આતંકી બનવા મજબૂર કરે છે. સૈફુલ્લાહે બે મહિના પહેલાં જ પાકિસ્તાનના પંજાબના કંગનપુરમાં એક જેહાદી ભાષણ આપ્યું હતું.
હુમલા પહેલાં આતંકવાદીઓએ રેકી કરી હતી
સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલા પહેલાં આતંકવાદીઓએ સ્થાનિક કાશ્મીરી આતંકવાદીઓ અને ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ સાથે મળીને આ વિસ્તારની રેકી કરી હતી. તેમજ બેસરનમાં સુરક્ષા દળોની ઉપસ્થિતિ ન હોવાથી હુમલાખોરોએ બેસરન પસંદ કર્યું. તેમજ હુમલા પછી પણ બચાવ કાર્યમાં સમય લાગે.
આતંકવાદીઓએ બોડીકેમ પહેર્યા હતા
શરુઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આતંકવાદીઓએ બોડીકેમ પહેર્યા હતા. હુમલાખોરોએ સમગ્ર હુમલાનો વીડિયો રૅકોર્ડિંગ કર્યો. એવું બહાર આવ્યું છે કે ત્રણેય આતંકવાદીઓએ પુરુષો અને સ્ત્રીઓને અલગ કર્યા હતા. આ પછી, લોકોને વીણી વીણીને મારવામાં આવ્યા. કેટલાક લોકોને દૂરથી ગોળી મારવામાં આવી હતી જ્યારે કેટલાકને નજીકથી ગોળી મારવામાં આવી હતી.