‘ગાઝામાં સ્થિતિ સારી નથી, અત્યારે લોકોને બહાર કાઢવા મુશ્કેલ’, ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે કેન્દ્રનું મોટું નિવેદન

વિદેશ મંત્રાલયે કહ્યું, ગાઝામાં સ્થિતિ વધુ વણસી હોવાથી ત્યાંથી ભારતીયોને લાવવામાં મુશ્કેલી

બાગચીએ કહ્યું, તક મળતાં જ ગાઝામાંથી ભારતીયોને પરત લવાશે : ગાઝામાં હજુ 4 ભારતીયો, તેમાંથી 1 વેસ્ટ બેંકમાં

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
‘ગાઝામાં સ્થિતિ સારી નથી, અત્યારે લોકોને બહાર કાઢવા મુશ્કેલ’, ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે કેન્દ્રનું મોટું નિવેદન 1 - image

નવી દિલ્હી, તા.19 ઓક્ટોબર-2023, ગુરુવાર

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ (Israel-Hamas War)નો આજે 13મો દિવસ છે. યુદ્ધ વચ્ચે ત્યાં ઘણા ભારતીયો સહિત વિદેશી નાગરિકો ફસાયા છે. ભારત સરકાર દ્વારા પણ ઓપરેશન ‘અજય’ (Operation Ajay) અભિયાન હેઠળ ભારતીયોને વતન પરત લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે ત્યાંની વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી વિદેશ મંત્રાલય દ્વારા ચિંતાજનક નિવેદન સામે આવ્યું છે. મંત્રાલયે કહ્યું કે, ગાઝામાં સ્થિતિ સારી વણસેલી હોવાથી અત્યારે લોકોને બહાર કાઢવા મુશ્કેલ છે.

ગાઝામાં વણસેલી સ્થિતિ વચ્ચે ભારતીયોને પરત લાવવા મુશ્કેલ

હમાસના હુમલા બાદ ઈઝરાયેલ ગાઝા (Gaza) પટ્ટી પર સતત જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ગાઝામાંથી ભારતીય નાગરિકોને લાવવામાં મુશ્કેલી પડી રહી છે. વિદેશમંત્રાલયે કહ્યું કે, ગાઝામાં 4 ભારતીયો છે અને સ્થિતિ વણસેલી હોવાથી તેઓને ત્યાંથી નિકાળવા યોગ્ય નથી. મંત્રાલયે કહ્યું કે, તક મળતાં જ તેમને પરત લવાશે.

4 ભારતીય નાગરિકોમાંથી એક વેસ્ટ બેંકમાં

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી (Arindam Bagchi)એ કહ્યું કે, હાલ ગાઝામાં સ્થિતિ વધુ વણસી હોવાથી ત્યાંથી કોઈને પણ બહાર કાઢવા મુશ્કેલ છે, પરંતુ જો અમને તક મળશે તો તેમને પરત લાવીશું. મંત્રાલયે કહ્યું કે, 4 ભારતીય નાગરિકોમાંથી એક વેસ્ટ બેંકમાં છે. અરિંદમ બાગચીએ કહ્યું કે, ગાઝામાં કોઈપણ ભારતીયના મૃત્યુના કે ઈજા થવાના કોઈ અહેવાલો નથી. અરિંદમ બાગચીએ ગાઝાની હોસ્પિટલ પરના હુમલામાં મૃત્યુ પામેલા 500થી વધુ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ નાગરિકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

ઓપરેશન અજય ‘હેઠળ’ કુલ 1200 ભારતીયોને પરત લવાયા

આ અગાઉ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આજે જણાવ્યું હતું કે, ઈરાક-હમાસ યુદ્ધમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન ‘અજય’ અભિયાન શરૂ કર્યા બાદ કુલ 5 ફ્લાઈટોમાં અત્યાર સુધીમાં 1200 ભારતીયોને વતન પરત લવાયા છે, જેમાં 18 નેપાળી નાગરિકો પણ સામેલ છે. ના જણાવ્યા મુજબ ભારતે તેના નાગરિકોને સુરક્ષિત વતન પરત લાવ્યું છે. ઓપરેશન ‘અજય’ અભિયાન હેઠળ પ્રથમ ફ્લાઈટમાં 212 ભારતીયો, બીજી ફ્લાઈટમાં 235, ત્રીજી ફ્લાઈટમાં 197, ચોથી ફ્લાઈટમાં 275 અને પાંચમી ફ્લાઈટમાં 286 ભારતીયોને વતન પરત લવાયા છે. આમ આ અભિયાન હેઠળ કુલ 1205 ભારતીયોને વતન પરત લવાયા છે.

ઈઝરાયલમાં ભારતીયોની સંખ્યા કેટલી?

એક ડેટા મુજબ ઈઝરાયલમાં કુલ ભારતીયોની સંખ્યા 18,000 છે, જેઓ કામકાજ અથવા અભ્યાસ માટે ત્યાં ગયા છે, ઉપરાંત આમાં 1000 વિદ્યાર્થીઓ, અનેક આઈટી પ્રોફેશનલ અને હીરા વેપારીઓ પણ છે.


Google NewsGoogle News