જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓના મથકો ઉપર એન.આઇ.એ.ના એકી સાથે દરોડા
- જમ્મુના ગૂજ્જરનગર અને શહીદી ચોક ખાનગી શાળા તથા કુલગામ જિલ્લાના ત્રણ 'નેતાઓ'ના ઘરે સર્ચ ઓપરેશન
જમ્મુ/ શ્રીનગર : આજે શનિવારે જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ)એ ત્રાસવાદીઓને નાણાં પૂરા પાડનારાઓના અનેક સ્થળોએ તેમજ આતંકીઓના રહેણાંકના સ્થળોએ એકી સાથે દરોડા પાડયા હતા. જેઓના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા તેઓ ત્રાસવાદીઓને ભંડોળો પૂરા પાડતા હોવાનું તથા યુવાનોને કટ્ટરવાદી બનાવતા હોવાનું નિશ્ચિત રીતે જાણવા મળ્યું હતું.
આ ઉપરાંત એન.આઇ.એ એ એક ખાનગી શાળા ઉપર પણ દરોડો પાડયો હતો તેમજ તેના ત્રણ સંચાલકોના ઘેર પણ દરોડા પાડી કેટલાક દસ્તાવેજો હાથ કર્યા હતા જેમાં મુખ્યત: તે શાળાના સંચાલક બોર્ડના ચેરમેનના નિવાસસ્થાનનો પણ સમાવેશ થતો હતો.
આ માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, એન.આઇ.એ.ના જાસૂસોએ પ્રતિબંધિત જાહેર કરાયેલા જૂથ 'જમાત એ ઇસ્લામી' જમ્મુ અને કાશ્મીરના બે પૂર્વ નેતાઓ શેખ ગુલામ હસન અને સૈયદ અહમદ હેશીના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
જમાત એ ઇસ્લામી, જ્મ્મુ અને કાશ્મીરને કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી ૧૯માં પાંચ વર્ષ માટે પ્રતિબંધિત જાહેર કરી હતી કારણ કે તે ત્રાસવાદીઓને ભંડોળો પૂરા પાડતી હતી અને યુવાનોને કટ્ટરપંથી બનાવી રહી હતી.