પશ્ચિમ બંગાળની નહેરમાંથી મળ્યો સિક્કિમના પૂર્વ મંત્રીનો મૃતદેહ, 9 દિવસથી હતા ગુમ

Updated: Jul 17th, 2024


Google NewsGoogle News
પશ્ચિમ બંગાળની નહેરમાંથી મળ્યો સિક્કિમના પૂર્વ મંત્રીનો મૃતદેહ, 9 દિવસથી હતા ગુમ 1 - image


Sikkim Former Minister RC Poudyal Death Body: સિક્કિમના પૂર્વ મંત્રી આર.સી.પૌડ્યાલનો મૃતદેહ પશ્ચિમ બંગાળની એક નહેરમાંથી મળી આવ્યો છે. સિક્કિમના પૂર્વ મંત્રીનો મૃતદેહ સિલીગુડી પાસે એક નહેરમાંથી નવ દિવસ બાદ મળ્યો છે. સિક્કિમ સરકારે આર.સી. પૌડ્યાલની તલાશ માટે SITનું ગઠન કર્યું હતું. 

ગૂમ થયાના 9 દિવસ બાદ મળ્યો મૃતદેહ

પોલીસે જણાવ્યું કે, 80 વર્ષીય પૌડ્યાલનો મૃતદેહ મંગળવારે સિલિગુડીના ફુલબારીમાં તિસ્તા નહેરમાં તરતો મળી આવ્યો. પ્રાથમિક દ્રષ્ટિએ એવી આશંકા છે કે મૃતદેહ તિસ્તા નદીના ઉપરના ભાગમાંથી વહી આવ્યો હશે. ઘડિયાળ અને કપડાં પરથી લાશની ઓળખ થઈ હતી. આર.સી પૌડ્યાલ 7 જુલાઈના રોજ પાક્યોંગ જિલ્લાના પોતાના વતન છોટા સિંગતામથી ગુમ થઈ ગયા હતા. રાજનેતાની તલાશ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે આર.સી પૌડ્યાલના મૃત્યુની તપાસ ચાલી રહી છે. પૌડ્યાલ સિક્કિમ વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર હતા અને બાદમાં રાજ્યના વન મંત્રી બન્યા હતા.

સિક્કિમના રાજકારણમાં મોટું નામ રહ્યા છે આર.સી પૌડ્યાલ

70 અને 80ના દાયકાના અંતમાં હિમાલયી રાજ્યના રાજકીય પરિદ્રૃશ્યમાં આર.સી પૌડ્યાલને એક મહત્વપૂર્ણ વ્યક્તિ માનવામાં આવતા હતા. તેમણે રાઈઝિંગ સન પાર્ટીની સ્થાપના કરી હતી. તેઓ સિક્કિમની સાંસ્કૃતિક અને સામાજિક ગતિશીલતાની ઊંડી સમજણ માટે પણ જાણીતા હતા. મુખ્યમંત્રી પીએસ તમાંગે આર.સી પૌડ્યાલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને કહ્યું કે, સ્વ. શ્રી આર.સી પૌડ્યાલ જ્યૂના આકસ્મિક નિધનથી હું ખૂબ જ દુઃખી છું, તેઓ એક પ્રતિષ્ઠિત વરિષ્ઠ રાજકીય નેતા હતા. તેમણે સિક્કિમ સરકારમાં મંત્રી તરીકે વિવિધ હોદ્દા પર કામ કર્યું હતું અને ઝુલકે ગામ પાર્ટીના નેતા હતા.


Google NewsGoogle News