નીતીશ કુમારને જનતા પાઠ ભણાવશે: JDUનું NDAમાં સામેલ થવા મુદ્દે શરદ પવારના પ્રહાર

- નીતિશ કુમારે વર્ષ 2005થી પાંચ વખત ચૂંટણી લડતા નવમી વખત અને 18 વર્ષમાં માત્ર નવ મહિના સિવાયના સમયમાં મુખ્યમંત્રી બની રહેવાનો વિક્રમ સર્જ્યો

Updated: Jan 29th, 2024


Google NewsGoogle News
નીતીશ કુમારને જનતા પાઠ ભણાવશે: JDUનું NDAમાં સામેલ થવા મુદ્દે શરદ પવારના પ્રહાર 1 - image


નવી દિલ્હી, તા. 29 જાન્યુઆરી 2024, સોમવાર

Opposition Reaction on NItish Kumar: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે NDA સાથે છેડો ફાડયાના માત્ર 17 મહિનામાં ફરી NDA સાથે જોડાઈ સરકાર બનાવી છે. નીતિશ કુમારે ગઈકાલે સવારે મહાગઠબંધનની સરકારના મુખ્યમંત્રી તરીકે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું હતું. અને ત્યારબાદ સાંજે 5:00 વાગ્યે NDA સાથે જોડાણ કરીને નવેસરથી મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે નીતિશ કુમારે વર્ષ 2005થી પાંચ વખત ચૂંટણી લડતા નવમી વખત અને 18 વર્ષમાં માત્ર નવ મહિના સિવાયના સમયમાં મુખ્યમંત્રી બની રહેવાનો વિક્રમ સર્જ્યો છે. બીજી તરફ નીતિશ કુમારની વિપક્ષના મહાગઠબંધનને છોડીને NDAમાં સામેલ થવાની ઘટનાએ તમામ વિપક્ષી પક્ષોને બેકફૂટ પર લાવી દીધા છે. દિગ્ગજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના ચીફ શરદ પવાર આ સમગ્ર ઘટનાથી ખૂબ જ આશ્ચર્યચકિત છે. આ ઘટના પર તેમણે નીતિશ કુમારની ટીકા કરી છે. NCP ચીફ શરદ પવાર આશ્ચર્યમાં છે કે અંતે નીતિશ કુમારનું હૃદય પરિવર્તન કઈ રીતે થયું, એવું તો શું થયું કે, આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપનો મુકાબલો કરવા માટે ઈન્ડિયા બ્લોકને અસ્તિત્વમાં લાવનાર નીતિશ કુમાર ભાજપમાં જોડાઈ ગયા.

નીતીશ કુમારને જનતા પાઠ ભણાવશે: શરદ પવાર

શરદ પવારે બિહારમાં મહાગઠબંધનને ખતમ કરવા માટે મુખ્યમંત્રી નીતિશ કુમાર પર પ્રહાર કરતા કહ્યું કે, 'તેઓ બીજેપી વિરુદ્ધ INDIA ગઠબંધન પર કામ કરી રહ્યા હતા, મને નથી ખબર કે, અચાનક એવું શું થયું કે, તેઓ બીજેપીમાં સામેલ થઈ ગયા. પરંતુ ભવિષ્યમાં જનતા તેમને તેમની આ ભૂમિકા માટે જરૂર પાઠ ભણાવશે.'

અગાઉ ક્યારેય આવી સ્થિતિ નથી જોઈ: શરદ પવાર

શરદ પવારે કહ્યું કે, પટનામાં આટલા ઓછા સમયમાં જે કંઈ પણ પરિસ્થિતિ સર્જાઈ તેવી સ્થિતિ પહેલા ક્યારેય જોવા મળી નથી. મને યાદ છે કે નીતીશ કુમાર જ હતા જેમણે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપનો સામનો કરવા માટે મહાગઠબંધનની પહેલ કરી હતી અને તમામ બિન-ભાજપા પક્ષોને પટના બોલાવ્યા હતા. પરંતુ છેલ્લા 10-15 દિવસમાં એવું શું થયું કે તેમણે આ વિચારધારા છોડી દીધી અને બીજેપીમાં સામેલ થઈને સરકાર બનાવી લીધી. 

કોંગ્રેસે સાધ્યુ નિશાન 

બીજી તરફ નીતીશ કુમાર NDAમાં સામેલ થયા બાદ ઈન્ડિયા બ્લોકમાં સામેલ અન્ય પક્ષોના નેતાઓએ બિહારના સીએમ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, એ સ્પષ્ટ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાથી ડરી ગયા હતા જે બિહારમાં પ્રવેશવા જઈ રહી છે. બિહારની જનતા વિશ્વાસઘાતના આ એક્સપર્ટ અને પોતાના ઈશારા પર નચાવનારાને માફ નહીં કરશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તેઓ જાણતા હતા કે નીતિશ કુમાર પાર્ટી બદલી શકે છે. દેશમાં 'આયા રામ, ગયા રામ' જેવા ઘણા લોકો છે.


Google NewsGoogle News