મહારાષ્ટ્રની રાજનીતિમાં ઉથલપાથલ વચ્ચે શરદ પવારે મૂકી એવી શરત કે અજિત પવારનું વધી ગયું ટેન્શન

Updated: Jul 18th, 2024


Google NewsGoogle News

મહારાષ્ટ્રની રાજનીતિમાં ઉથલપાથલ વચ્ચે શરદ પવારે મૂકી એવી શરત કે અજિત પવારનું વધી ગયું ટેન્શન 1 - image

Image: Facebook

Maharashtra Politics: મહારાષ્ટ્રના રાજકારણમાં અજિત પવારની ઘર વાપસી નક્કી છે. જો કે શરદ પવારે સ્પષ્ટતા કરી દીધી છે કે અજિત પવારની પરિવારમાં વાપસી થઈ શકે છે પરંતુ શું પાર્ટીમાં વાપસી થશે કે નહીં તે માટે કેટલીક શરત છે. શરદ પવારે કહ્યું છે કે અજિત  પવારને ઘરમાં તો સ્થાન છે, પરંતુ પક્ષમાં તેની વાપસી થશે કે નહીં તે પક્ષના નેતાઓ સાથે વાતચીત કર્યા પછી નક્કી થશે. કારણ કે, એ જ નેતાઓ સંકટમાં મારી સાથે રહ્યા હતા. 

મહારાષ્ટ્રના પાવર કોરિડોરમાં અજિત પવારની ઘર વાપસીની ચર્ચાએ જોર પકડ્યું છે. કારણ એ છે કે ગત દિવસોમાં પવાર પરિવારમાં મુલાકાતોનો સિલસિલો વધી ગયો છે. પહેલા એનસીપી (શરદ પવાર જૂથ)નાં લોકસભા સાંસદ સુપ્રિયા સૂળેએ અજિત પવારનાં માતા સાથે મુલાકાત કરી હતી, જ્યારે અજિત પવારનાં પત્ની સુનેત્રાએ પૂણેમાં શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. તાજેતરમાં જ સુનેત્રા રાજ્યસભા માટે પસંદ થયાં છે. રિપોર્ટ અનુસાર પવાર પરિવારનું માનવું છે કે મહારાષ્ટ્રના હિતમાં કાકા-ભત્રીજાએ એકસાથે આવવું જોઈએ. 

આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખપત્ર ઓર્ગેનાઈઝર, પાંચજન્ય અને મરાઠી મુખપત્ર વિવેકે લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપની હાર માટે અજિત પવારને જવાબદાર ઠેરવ્યા છે. આરએસએસ સતત ભાજપ પર અજિત પવાર સાથે સંબધ તોડવા દબાણ કરી રહ્યું છે. એક અહેવાલ પ્રમાણે, આરએસએસ અને ભાજપનું માનવું છે કે મહારાષ્ટ્ર સરકારમાં અજિત પવારને સામેલ કરવાથી ભાજપની છબિ ખરડાઈ છે. જો ભાજપ સરકારમાં પાછી ફરવા માગે છે કે તો તેણે અજિત પવાર સાથે ગઠબંધન તોડવું પડશે અને આરએસએસે દબાણ કર્યા કરશે, તો અજિત પવારને કાકા પાસે પાછું ફરવું પડશે.

બીજી તરફ, છગન ભુજબળ સાથેની મુલાકાત અંગે પણ શરદ પવારે મૌન તોડ્યું છે. સિનિયર પવારે પૂણેમાં તેમના નિવાસ સ્થાને કહ્યું હતું કે ‘હું અજિત પવારને મળવા માંગતો ન હતો, પરંતુ ભુજબળે જીદ પકડી લીધી કે જ્યાં સુધી હું શરદ પવારને નહીં મળું, ત્યાં સુધી હું જઈશ નહીં. છેવટે મારે ભુજબળના આગ્રહને વશ થઈને અજિતને મળવું પડ્યું. ભુજબળે મને કહ્યું હતું કે જે વીતી ગયું તે વીતી ગયું. રાજનેતાઓએ બે સમુદાયોને સાથે લાવવા માટે કામ કરવું જોઈએ.’

સિનિયર પવારના આ નિવેદનથી સ્પષ્ટ છે કે ભુજબળની ઈચ્છા શું હતી અને અજિત પવાર કેમ્પમાં શું ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં અજિત પવારની ઘર વાપસી થાય છે તો આશ્ચર્ય નહીં થવું જોઈએ.  


Google NewsGoogle News