સુપ્રીમ કોર્ટને ડરાવવાનો નિર્લજ્જ પ્રયાસ...', ભાજપના નેતાઓની ટિપ્પણી પર મહુઆ મોઈત્રા વરસ્યાં
Image FB |
Mahua Moitra: સુ્પ્રીમ કોર્ટ અને ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) પર ભાજપના સાંસદ નિશિકાંત દુબેના વિવાદાસ્પદ નિવેદનને લઈને રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે. આ નિવેદન બાદ તૃણમુલ કોંગ્રેસ મહુઆ મોઈત્રાએ ભાજપ પર આકરા પ્રકારો કર્યો હતા.
આ પણ વાંચો: 1 રૂપિયાની નોટના ચક્કરમાં 10 લાખનો ચૂનો, કેશિયર સાથે છેતરપિંડીના કેસ વિશે જાણી ચોંકી જશો
મહુઆ મોઈત્રાએ રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આકરી પ્રતિક્રિયા આપતા લખ્યું કે, 'યાદ રાખો, પીટબુલ પોતાના માલિકની મંજૂરી વિના કંઈ કરતો નથી. આખો દેશ જોઈ રહ્યો છે કે ન્યાયતંત્ર પર કેવી રીતે પ્રોક્સી હુમલા કરવામાં આવી રહ્યા છે. બેન્ચને ડરાવવાનો બેશરમ કોશિશ. આ ભારતનો સૌથી ખરાબ સમય છે. જ્યારે અશિક્ષિત ગુંડાઓ દ્વારા શાસન કરવામાં આવી રહ્યું છે.'
સુપ્રીમ કોર્ટ વિશે શું બોલ્યા નિશિકાંત દુબે
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'જો દરેક બાબત માટે સુપ્રીમ કોર્ટમાં જવુ પડતું હોય તો, સંસદ અને રાજ્ય વિધાનસભાઓ બંધ કરી દેવી જોઈએ.' તેમણે સુપ્રીમ કોર્ટ પર ધાર્મિક યુદ્ધ ભડકાવવાનો આરોપ લગાવ્યો હતો અને દેશને અરાજકતા તરફ લઈ જવાનું કાવતરું ગણાવ્યું હતું.
આ તેમના વ્યક્તિગત વિચારો છે: જેપી નડ્ડા
દુબેના આ ટિપ્પણી પર વિવાદ વધતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીને આ નિવેદનથી અલગ કરી સ્પષ્ટતા આપતા કહ્યું કે, ' સાંસદ નિશિકાંત દુબે અને દિનેશ શર્મા દ્વારા આપવામાં આવેલા નિવેદનો પાર્ટીના સત્તાવાર અભિપ્રાય નથી. આ તેમના વ્યક્તિગત વિચારો છે. ભાજપ આ નિવેદનોને સંપૂર્ણપણે નકારે છે. અને મેં બંને નેતાઓને આવા નિવેદનબાજીથી દૂર રહેવાની સૂચના આપી છે.'
આ પણ વાંચો: યુપીનો અજબ કિસ્સો, ઘૂંઘટ ઊઠાવતા જ વરરાજાના હોંશ ઊડી ગયા, મામલો પોલીસ સ્ટેશને પહોંચી ગયો
વિપક્ષ તરફથી આકરા પ્રહારો
ભાજપના નેતાઓના વિવાદિત નિવેદન પર વિપક્ષી પક્ષોએ એક થઈને પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે તેને ન્યાયતંત્રને બદનામ કરવાનો પ્રયાસ ગણાવ્યો. તો AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, 'આ બંધારણીય માળખા પર હુમલો છે.' તેમજ ડીએમકે, ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) અને અન્ય પક્ષોએ પણ આ નિવેદનની નિંદા કરી.