મ.પ્ર.માં વરસાદથી 400 વર્ષ જૂના કિલ્લાની દિવાલ તૂટતાં સાતનાં મોત

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
મ.પ્ર.માં વરસાદથી 400 વર્ષ જૂના કિલ્લાની દિવાલ તૂટતાં સાતનાં  મોત 1 - image


- ઉ.પ્ર.ઉત્તરાખંડમાં ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી

- દક્ષિણ પશ્ચિમ ચોમાસું 19 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર દરમિયાન વિદાય લેવાનું શરૂ કરશે 

(પીટીઆઇ) દાતિયા (મ.પ્ર.) : મધ્ય પ્રદેશના દાતિયા શહેરમાં ભારે વરસાદને કારણે ૪૦૦ વર્ષ જૂના કિલ્લાની દિવાલ તૂટી પડતાં સાત લોકોનાં મોત થયા છે. આ ઘટના વહેલી સવારે ચાર વાગ્યે ખલકાપુરા વિસ્તારમાં બની હતી. 

દિવાલ પડવાને કારણે કિલ્લાની બાજુમાં આવેલા મકાનમાં રહેતા ૯ લોકો દિવાલના કાટમાળમાં દટાઇ ગયા હતાં. ૯ પૈકી સાત લોકોનાં મોત થયા છે. આ કિલ્લો રાજગઢ તરીકે પણ ઓળખાય છે. 

કલેક્ટરના જણાવ્યા અનુસાર સ્ટેટ ડિઝાસ્ટર ઇમરજન્સી રિસપોન્સ ફોર્સ (એસડીઇઆરએફ)ના જવાનોએ છ કલાક સુધી બચાવ અભિયાન ચલાવ્યું હતું. મુખ્યપ્રધાન મોહન યાદવે મૃતકોના પરિવારજનો માટે ચાર-ચાર લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. 

બીજી તરફ હવામાન વિભાગે ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદની ચેતવણી આપી છે.મધ્ય પ્રદેશમાં સર્જાયેલ ડિપ્રેશનને કારણે આ બંને રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે. 

હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે ૧૯ થી  ૨૫ સપ્ટેમ્બરમાં દેશના વિવિધ ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ વિદાય લેવાનું શરૂ કરશે. 

સામાન્ય રીતે દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું આગમન કેરળમાં ૧ જૂને થાય છે. આઠ જુલાઇ સુધીમાં આ ચોમાસુ સમગ્ર દેશને આવરી લે છે. ૧૭ સપ્ટેમ્બરથી ચેોમાસાની વિદાય શરૂ થાય છે જે ૧૫ ઓક્ટોેબર સુધી ચાલે છે.


Google NewsGoogle News