ઘાસમાં રહેતાં જીવડાથી ફેલાતો 'સ્ક્રબ ટાયફસ રોગ' બન્યો જીવલેણ, દેશભરમાં 14 લોકોને ભરખી ગયો
આ બીમારીની લપેટમાં આવતા ઓડિશા અને શિમલામાં કુલ 14 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે
સ્ક્રબ ટાયફસ રોગની વાત કરીએ તો આ એક એવી બીમારી છે જે જીવડાંના કરડવાને લીધે થાય છે
ભારતમાં હાલના સમયે અનેક બીમારીઓનું જોખમ વધી રહ્યું છે. ડેન્ગ્યુ ફેલાઈ રહ્યો છે અને કેરળમાં નિપાહ વકરી રહ્યો છે. આ દરમિયાન દેશમાં સ્ક્રબ ટાયફસ બીમારી (Scrub Typhus Disease)ના કેસ સામે આવી રહ્યા છે. આ બીમારીની લપેટમાં આવતા ઓડિશા અને શિમલામાં કુલ 14 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે.
શું છે આ Scrub Typhus Disease?
સ્ક્રબ ટાયફસ રોગની વાત કરીએ તો આ એક એવી બીમારી છે જે જીવડાંના કરડવાને લીધે થાય છે. આ જીવડાંને ચિગર્સ કહેવાય છે. તે ઘાસ અને જંગલોમાં રહે છે. જો તે કોઇ માનવીને કરડી જાય તો તેને સ્ક્રબ ટાયફસનું ઇન્ફેક્શન લાગવાનું જોખમ રહે છે. આ બીમારીના લક્ષણ એક બે અઠવાડિયા બાદ દેખાય છે. આ જીવડો કેટલાક પ્રાણીઓના શરીર ઉપર પણ જોવા મળે છે. જંગલમાં કે તેની નજીક રહેતા લોકો સરળતાથી આ જીવડાના સંપર્કમાં આવી જાય છે.
સમયસર સારવાર જરૂરી નહીંતર....
જો આ રોગથી કોઈ દર્દી પીડિતી હોય તો તેને સમયસર સારવાર મળવી જરૂરી છે. જો તેને સારવાર સમયસર નહીં મળે તો તે 15થી 20 દિવસમાં મૃત્યુ પામી જાય છે. સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર સ્ક્રબ ટાયફસ રોગને બૂશ ટાયફસ પણ કહેવાય છે.
કેવા લક્ષણો જોવા મળે છે?
આ બીમારીથી પીડિત વ્યક્તિને પહેલા તાવ આવે છે અને પછી તેના શરીરમાં ભયંકર દુખાવો થાય છે. શરીરના જે ભાગ પર આ જીવડો કરડી જાય છે ત્યાં લાલ રંગના નિશાન પડી જાય છે. ચિંતાની વાત એ છે કે સંક્રમિત થવાના ઘણા દિવસો બાદ તેના લક્ષણ જોવા મળે છે. આટલા સમયમાં આ બીમારીનું સંક્રમણ આખા શરીરમાં ફેલાઈ શકે છે અને એવામાં દર્દીનો જીવ બચાવવો મુશ્કેલ થઈ જાય છે.