દોષિત સાબિત થયા પછી સરકારી નોકરી ન કરી શકાય તો કોઈ વ્યક્તિ સંસદમાં કઈ રીતે જઈ શકે? SCએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
Criminalisation Of Politics: સુપ્રીમ કોર્ટે રાજકારણના ગુનાહિતકરણને એક મોટો મુદ્દો ગણાવ્યો અને સવાલો કર્યો કે ફોજદારી કેસમાં દોષિત ઠર્યા પછી વ્યક્તિ સંસદમાં કેવી રીતે પાછો ફરી શકે છે. તેથી ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ મનમોહનની બનેલી બેન્ચે આ મુદ્દે ભારતના એટર્ની જનરલ પાસેથી મદદ માંગી. બેન્ચ ઍડ્વોકેટ અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ કરાયેલી પીઆઇએલ પર સુનાવણી કરી રહી હતી, જેમાં દેશમાં સાંસદો અને ધારાસભ્યો સામેના ફોજદારી કેસોનો ઝડપી નિકાલ લાવવા ઉપરાંત દોષિત રાજકારણીઓ પર આજીવન પ્રતિબંધ લાદવાની માંગ કરવામાં આવી હતી.
કેન્દ્ર અને ચૂંટણી પંચ પાસેથી ત્રણ અઠવાડિયામાં જવાબ માંગ્યો
કોર્ટે લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8 અને 9ની બંધારણીય માન્યતાને પડકારવા પર કેન્દ્ર અને ભારતના ચૂંટણી પંચ પાસેથી ત્રણ અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, 'એકવાર તેમને દોષિત ઠેરવવામાં આવે અને સજા યથાવત્ રાખવામાં આવે તો લોકો સંસદ અને વિધાનસભામાં પાછા કેવી રીતે આવી શકે? તેમણે આનો જવાબ આપવો પડશે. આમાં હિતોનો સ્પષ્ટ સંઘર્ષ પણ છે. તેઓ કાયદાઓની તપાસ કરશે.'
આ પણ વાંચો: અટકળોનો અંત: પંજાબમાં નહીં થાય નેતૃત્વ પરિવર્તન, બેઠક બાદ કેજરીવાલનું મોટું નિવેદન
સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે, 'આપણે લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8 અને 9ની માહિતી ધરાવતા હોવા જોઈએ. જો કોઈ સરકારી કર્મચારી ભ્રષ્ટાચાર અથવા રાજ્ય પ્રત્યેની વિશ્વાસઘાતનો દોષિત ઠરે છે, તો તેને વ્યક્તિ તરીકે પણ સેવા માટે યોગ્ય ગણવામાં આવતો નથી, પરંતુ તે મંત્રી બની શકે છે.'
મોટાભાગના સાંસદો સામે કેસ ચાલી રહ્યા છે
એક રિપોર્ટ અનુસાર, 543 લોકસભા સાંસદોમાંથી 251 સામે ફોજદારી કેસ ચાલી રહ્યા છે. તેમાંથી 170 પર એવા ગુનાઓનો આરોપ છે જેમાં 5 વર્ષ કે તેથી વધુની જેલની સજા થઈ શકે છે. આ ઉપરાંત, દેશમાં ઘણાં ધારાસભ્યો એવા છે જેઓ તેમના વિરુદ્ધ કેસ હોવા છતાં પણ ધારાસભ્ય છે.