લોકતાંત્રિક સ્વતંત્રતાનો દુરુપયોગ: લંડનમાં જયશંકરની સુરક્ષામાં ચૂક મામલે ભારત ભડક્યું
India Condemns Security Breach EAM Jaishankar: વિદેશ મંત્રી એસ જયશંકર બ્રિટન અને આયર્લૅન્ડની છ દિવસની મુલાકાતે પહોંચ્યા હતા. તેમજ તેમણે ગુરુવારે લંડનના થિંક ટેન્ક ચેથમ હાઉસ ખાતે 'વિશ્વમાં ભારતનો ઉદય અને ભૂમિકા' વિષય પર વાત કરી હતી. એવામાં એક એક ખાલિસ્તાની સમર્થક તેમની કારની સામે આવીને ત્રિરંગાનું અપમાન કર્યું હતું.
એસ. જયશંકર સામે કર્યું તિરંગાનું અપમાન
વિદેશ મંત્રી ચથમ હાઉસ પહોંચે તે પહેલા જ ખાલિસ્તાન સમર્થકો ત્યાં ભારત વિરોધી નારા લગાવી રહ્યા હતા. તેમના હાથમાં ખાલિસ્તાની ઝંડા હતા. કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ જ્યારે વિદેશ મંત્રી જયશંકર પોતાની કાર પાસે આવ્યા ત્યારે તેમની કારની સામે એક વ્યક્તિ આવ્યો હતો. તેણે સૂત્રોચ્ચાર કરતાં ત્રિરંગાને ફાડી નાખ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
વિદેશ મંત્રાલયે વ્યક્ત કરી ચિંતા
વિદેશ મંત્રાલયે આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, 'અમે લંડનમાં ઉગ્રવાદીઓના જૂથ દ્વારા કરવામાં આવેલા અપરાધનો વીડિયો જોયો. અમે આ ઘટનાની સખત નિંદા કરીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે યજમાન સરકાર આવા કિસ્સાઓમાં તેની રાજદ્વારી જવાબદારીઓ પૂર્ણ કરે.'
વિદેશ મંત્રીની આ બ્રિટેન યાત્રા શા માટે છે ખાસ?
વિદેશ મંત્રી જયશંકરની મુલાકાતનો ઉદ્દેશ્ય ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે, જેમાં વેપાર, આરોગ્ય, શિક્ષણ, લોકો વચ્ચેના સંબંધો અને સંરક્ષણ સહયોગનો સમાવેશ થાય છે. યુકેની મુલાકાત પછી, જયશંકર 6-7 માર્ચે આયર્લૅન્ડની મુલાકાત લેશે, જ્યાં તેઓ આઇરિશ વિદેશ મંત્રી સિમોન હેરિસને મળશે, અન્ય અધિકારીઓ સાથે વાતચીત કરશે અને ભારતીય ડાયસ્પોરાને મળવાના છે.