એક વર્ષથી ભળકે બળતાં મણિપુર પર હવે ધ્યાન આપો, RSS વડાએ મોદી સરકારનો ઉધડો લીધો

'ચૂંટણી પતી ગઈ હવે દેશની સમસ્યાઓ પર ધ્યાન આપો..' RSS પ્રમુખની મોદી સરકારને શીખામણ

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
એક વર્ષથી ભળકે બળતાં મણિપુર પર હવે ધ્યાન આપો, RSS વડાએ મોદી સરકારનો ઉધડો લીધો 1 - image


RSS on Manipur | મણિપુર છેલ્લા એક વર્ષથી શાંતિની રાહ જોઈ રહ્યું છે. દસ વર્ષ શાંતિ હતી ત્યારે ગન કલ્ચર ખતમ થઈ ગયું હોવાનું લાગ્યું હતું પણ રાજ્યમાં અચાનક બે જૂથો કુકી ઝો એને મૈતેઈ વચ્ચે હિંસા ભડકી ઉઠી છે. સરકારે મણિપુરની સ્થિતિ બાબતે તાકીદ વિચારણા કરવી જોઇએ. સરકારે ચૂંટણીમાંથી પરવારી દેશની સમસ્યાઓ પર ધ્યાન આપવાની જરૂર છે.  નાગપુરમાં રેશીમબાગમાં યોજાયેલાં કાર્યકર્તા વિકાસ વર્ગ દ્વિતિયમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે તાલીમાર્થીઓને આ વાત જણાવી હતી. તાલીમાર્થીઓને કરેલા સંબોધનમાં આ ટિપ્પણી કરી હતી.   

સંઘના વડાએ જણાવ્યું હતું કે ચૂંટણીએ લોકશાહીમાં સર્વસંમતિ સાધવાની આવશ્યક પ્રક્રિયા છે અને સંસદમાં બંને પક્ષોને સ્થાન છે. ચૂંટણી પ્રચાર દરમિયાન એકબીજાની આકરી ટીકાઓ કરવાની, ટેકનોલોજીનો દુરૂપયોગ કરવાની અને ખોટી માહિતી ફેલાવાઈ. પરસ્પર અપપ્રચાર કરવામાં આરએસએસ જેવા સ્વૈચ્છિક સંગઠનોને પણ ઘસડવામાં આવ્યા. ચૂંટણી પ્રચાર વખતે કોઈએ કુપ્રચારથી દૂર રહેવાની દરકાર ના કરી, જેના કારણે બંને જૂથો વચ્ચે ગજગ્રાહ વકર્યો અને તેમાં સંઘ જેવા સંગઠનને પણ ઢસડવામાં આવ્યું હતું.

ચૂંટણી મુદ્દે વધુ ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે લોકશાહીમાં ચૂંટણી અનિવાર્ય પ્રક્રિયા છે. આ કોઈ લડાઈ નથી. વિરોધીઓને દુશ્મન ન ગણવા જોઈએ. સંસદમાં ચૂંટાયેલા લોકોએ જ દેશ ચલાવવાનો હોય છે, પરંતુ જે પ્રકારે એકબીજા સામે કુપ્રચાર થયો, તેનાથી સમાજમાં વિસંવાદ જ સર્જાશે. ચૂંટણીમાં શિષ્ટાચારના અભાવ હતો. ચૂંટણી દરમિયાન ગૌરવ જળવાવું જોઈએ, જે આ વખતે જળવાયું નહોતું. હું વિરોધીના બદલે પ્રતિપક્ષ શબ્દ વાપરવાનું પણ સૂચન કરું છું. આખરે વિપક્ષ પણ એક પક્ષ છે. તે કોઈ દુશ્મન નથી. તેમના અભિપ્રાયોને પણ ધ્યાને લેવાવા જોઈએ. 

નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીએ તેમની બીજી મુદત વખતે હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત ન લીધી હોવાની ટીકા થઈ હતી, જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગયા વર્ષે હિંસાગ્રસ્ત રાજ્યની મુલાકાત લઈ ત્યાંથી તેમની ભારત જોડો ન્યાયયાત્રા શરૂ કરી હતી. આ દરમિયાન  મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેનસિંહ હિંસાગ્રસ્ત જીરીબામ વિસ્તારની મુલાકાતે જઈ રહ્યા હતા ત્યારે તેમના કાફલા પર સોમવારે કોટલેનમાં સશસ્ત્ર હુમલો કરવામાં આવ્યો હતો.

એક વર્ષથી ભળકે બળતાં મણિપુર પર હવે ધ્યાન આપો, RSS વડાએ મોદી સરકારનો ઉધડો લીધો 2 - image



Google NewsGoogle News