‘લોકો સુપરમેનથી દેવતા, પછી ભગવાન બનવા માંગે છે’ જાણો RSS પ્રમુખ ભાગવતે આવું કેમ કહ્યું?

Updated: Jul 18th, 2024


Google NewsGoogle News
Mohan Bhagwat


Mohan Bhagwat : ઝારખંડના ગુમલામાં વિકાસ ભારતી દ્વારા આયોજિત ગ્રામ્ય સ્તરની કાર્યકર્તાઓની બેઠકને સંબોધિત કરતાં સમયે  RSS ના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે, 'પ્રગતિનો કોઈ અંત નથી. લોકો મનુષ્યમાંથી સુપરમેન, સુપરમેનમાંથી દેવતા, દેવતામાંથી ભગવાન બનવા માંગે છે. પરંતુ ભગવાન કહે છે કે, હું વિશ્વરૂપ છું. કોઈ નથી જાણતું કે ભગવાનથી મોટો કોઈ છે કે નહીં. વિકાસનો કોઈ અંત નથી. કાર્યકર્તાઓને સમજવું જોઈએ કે આપણે હંમેશા વધુ મેળવવા માટે પ્રયત્નશીલ રહેવું જરૂરી છે.' આ સાથે તેમણે આદિવાસી માટે શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં કામ કરવા અને શહેર કરતાં ગામડાના લોકો પર આંક બંધ કરીને વિશ્વાસ કરવા સહિતની ચર્ચા કરી હતી.

સનાતન ધર્મ માનવજાતિના કલ્યાણમાં વિશ્વાસ રાખે છે

મોહન ભાગવતે જણાવ્યું હતું કે, 'કોવિડ-19 મહામારી પછી આખી દુનિયાને ખબર પડી ગઈ હતી કે ભારત પાસે શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ છે. સનાતન ધર્મ માનવજાતિના કલ્યાણમાં વિશ્વાસ રાખે છે. છેલ્લા બે હજાર વર્ષોમાં વિવિધ પ્રકારના પ્રયોગો કરવામાં આવ્યા છતાં ભારતની પરંપરાગત જીવનશૈલીમાં સુખ-શાંતિ પ્રદાન કરવામાં નિષ્ફળ ગયા હતા.'

પોતાના સ્વભાવને જાળવી રાખે તેને વિકસિત કહેવાય 

ભાગવતે ગ્રામ્ય સ્તરના કાર્યકર્તાની બેઠકને સંબોધીને કહ્યું કે, 'સનાતન સંસ્કૃતિ અને ધર્મ મહેલોમાંથી આવ્યાં નથી, પરંતુ આશ્રમો અને જંગલોમાંથી આવ્યાં છે. પરિવર્તનના સમયગાળામાં આપણાં પહેરવેશમાં બદલાવ આવી શકે છે, પરંતુ આપણી સંસ્કૃતિ અને સ્વાભાવ ક્યારેય બદલાશે નહીં. બદલતા સમયમાં આપણું કાર્ય અને સેવાઓ ચાલુ રાખવા માટે નવી રીતભાતને અપનાવવી પડશે. આ બધા વચ્ચે જે પોતાના સ્વભાવને જાળવી રાખે તેને વિકસિત કહેવાય.'

આદિવાસી માટે શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રેમાં ઘણું કામ કરવાની જરૂર છે : ભાગવત

ભાગવતે કહ્યું કે, 'દરેક વ્યક્તિએ સમાજના કલ્યાણ માટે અથાક મહેનત કરવી જોઈએ. આદિવાસી પછાત હોવાથી તેમના માટે શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રેમાં ઘણું કામ કરવાની જરૂર છે. જંગલ વિસ્તારોમાં રહી પરંપરાગત રીતે વસવાટ કરતાં આદિવાસીઓ શાંત અને સરળ સ્વભાવના હોય છે, જે શહેરી વિસ્તારોમાં જોવા મળતું નથી. બીજી તરફ, હું ગામડાના લોકો પર આંધળો વિશ્વાસ કરી શકું છું, પરંતુ શહેરમાં આપણે કોની સાથે વાત કરી રહ્યાં છીએ તેના પર ધ્યાન રાખવું પડે છે.'

આપણા દેશમાં ભિન્નતા હોવા છતાં આપણું મન એક છે

ભાગવતે જણાવ્યું હતું કે, ' ઘણાં બધાં લોકો એકજૂથ થઈને દેશ માટે કામ કરતાં હોવાથી દેશના ભવિષ્યને લઈને હું ક્યારેય ચિંતામાં રહ્યો નથી. આ સાથે દેશના ભવિષ્ય પર કોઈ શંકા નથી. બધા કામ કરી રહ્યાં છે તો બસ સારી કામગીરી થવી જોઈએ, અમે પણ તેના માટે પ્રયાસ કરી રહ્યાં છીએ. ભારતના લોકોનો સ્વાભાવ અલગ છે, જેમાં કેટલાક લોકો કોઈ પ્રકારની નામના અને ઈચ્છા હોવા છતાં દેશના કલ્યાણ માટે કામ કરે છે. આપણે અહીં 33 કરોડ દેવી-દેવતાઓ હોવાથી પૂજા કરવાની રીતમાં ભિન્ન-ભિન્ન સ્વરૂપ જોવા મળે છે. આ સાથે ભારતમાં 3,800થી વધુ ભાષાઓ અને જમવાની આદતોમાં અલગ-અલગ જોવા મળે છે. આમ આટલી ભિન્નતા હોવા છતાં આપણું મન એક છે, જે બીજા દેશોમાં જોવા મળતું નથી. તેવામાં કહેવાતા કેટલાંક પ્રગતિશીલ લોકો સમાજને કંઈક આપવાની ઈચ્છા રાખે છે, તે ભારતીય સંસ્કૃતિમાં પહેલાથી જ સહજ ચાલ્યું આવે છે. જેના વિશે શાસ્ત્રોમાં ક્યાંય લખેલું જોવા મળતું નથી, પરંતુ વારસાગત તે આપણા સ્વાભાવમાં જોવા મળે છે.


Google NewsGoogle News