અપમાનના ઈરાદા વિના સીનિયરનો ઠપકો ગુનો ન ગણાય, સુપ્રીમ કોર્ટનું મહત્ત્વપૂર્ણ નિવેદન
Supreme Court News | બૌદ્ધિક દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટેના નેશનલ ઈન્સ્ટિટયુટના એક પ્રોફસરે પોતાના ઉપરી અધિકારી સામે કરેલી ફરિયાદમાં સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે કાર્યસ્થળે ઉપરી કર્મચારી દ્વારા મળેલા ઠપકાને આઈપીસીની કલમ 504 હેઠળ ફોજદારી કાર્યવાહી માગી લેતા હેતુપૂર્વકના અપમાન તરીકે ન ગણી શકાય.
સુપ્રીમ કોર્ટની બેન્ચના ચુકાદામાં સ્પષ્ટતા કરાઈ છે કે આવા કિસ્સામાં ફોજદારી આરોપ મંજૂર કરવાથી કાર્યસ્થળે અનુશાસન નબળું પડી શકે. કોર્ટે ઉપરી અધિકારી પોતાના સહયોગી પાસે નિષ્ઠાપૂર્વક કામની અપેક્ષા રાખી શકે તેવી સ્પષ્ટતા પણ કરી હતી. કાર્યસ્થળે શાંતિને જોખમમાં મુકતા હેતુપૂર્વકના અપમાન સંબંધિત આઈપીસીની સેક્શન 504ને હવેથી ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)હેઠળ સેક્શન ૩૫૨ સાથે બદલવામાં આવી છે.
આ ચુકાદો બૌદ્ધિક દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટેના નેશનલ ઈન્સ્ટિટયુટના કાર્યવાહક ડાયરેક્ટર સામે 2022નો કેસ રદ કરવા દરમ્યાન આપવામાં આવ્યો હતો. ફરિયાદી આસીસ્ટન્ટ પ્રોફેસરનો આરોપ હતો કે ડાયરેક્ટરે તેને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ તેની ફરિયાદ કરવા જાહેરમાં અપમાનિત કરી હતી. ફરિયાદીનો એવો પણ આરોપ હતો કે ડાયરેક્ટર પૂરતી સંખ્યામાં પીપીઈ કિટ જાળવવામાં નિષ્ફળ ગયા હતા જેના કારણે કોવિડના સંક્રમણનું જોખમ વધ્યું હતું.
કોર્ટને આ આરોપો કાલ્પનિક તેમજ જોખમી બીમારી ફેલાવી શકે તેવા કાર્યો કરવા બદલ આઈપીસીની કલમો 269 અને 270 લાગુ પાડવા અપૂરતા લાગ્યા હતા. કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે અનુશાસન અને ફરજો સંબંધિત ઠપકા સેક્શન ૫૦૪ હેઠળ હેતુપૂર્વકનું અપમાન ન ગણી શકાય. કોર્ટે વધુમાં નોંધ કરી હતી કે વરિષ્ઠ અધિકારીને તેના સહયોગી પાસેથી વ્યાવસાયિક પ્રમાણિકતાની અપેક્ષા રાખવાનો અધિકાર છે. 10 ફેબ્રુઆરીએ આપવામાં આવેલા ચુકાદામાં કાર્યસ્થળે સામાન્ય વ્યાવસાયિક ઠપકા માટે ફોજદારી જોગવાઈઓના દુરુપયોગને રોકીને શિષ્ત જાળવી રાખવાના મહત્વ પર જોર આપવામાં આવ્યું હતું.