યાદ રાખજો કે વિપક્ષ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં ગેરહાજર હતો : મોદી

Updated: Apr 8th, 2024


Google NewsGoogle News
યાદ રાખજો કે વિપક્ષ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં ગેરહાજર હતો : મોદી 1 - image


- બંગાળ, બિહારમાં પીએમ મોદીનો પ્રચાર, મધ્ય પ્રદેશના જબલપુરમાં ભવ્ય રોડ શો

- પશ્ચિમ બંગાળમાં આતંકનું ખુલ્લુ લાઈસન્સ આપી દેવાયું, ભ્રષ્ટ નેતાઓને બચાવવા એનઆઈએની ટીમ પર હુમલો કરાયો

- વિપક્ષ ભ્રષ્ટાચારીઓને ગમે તેટલા બચાવે પરંતુ ૪ જૂન પછી ભ્રષ્ટ નેતાઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી થશે

- વિપક્ષ જાણે છે મોદીની ગેરંટી ચાલુ રહેશે તો તેમની વોટ બેન્કની દુકાન બંધ થઈ જશે એટલે તેના પર પ્રતિબંધની માગ કરે છે 

નવી દિલ્હી : દેશમાં સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનને હવે એક પખવાડિયાથી ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બિહારના નવાદામાં વધુ એક વખત રામ મંદિર મુદ્દે કોંગ્રેસ સહિત વિપક્ષની ઝાટકણી કાઢી હતી. ભગવાન રામની નગરી અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં વિપક્ષની ગેરહાજરીનો મુદ્દો ઉઠાવતા મોદીએ કહ્યું કે, એ વાત યાદ રાખજો કે રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠામાં વિપક્ષના કોઈ નેતાએ ભાગ નહોતો લીધો, પરંતુ મોદીએ ગેરંટી આપી હતી કે અયોધ્યામાં રામલલાનું ભવ્ય મંદિર બનશે અને આજે રામ મંદિરનું શિખર આકાશને આંબી રહ્યું છે.

લોકસભા ચૂંટણી નજીક આવે છે તેમ ભાજપનો ચૂંટણી પ્રચાર તિવ્ર ગતિ પકડી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બંગાળ અને બિહારમાં જનસભાઓને સંબોધન કર્યું હતું જ્યારે જબલપુરમાં રોડ શો યોજી મધ્ય પ્રદેશમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. 

બિહારના નવાદામાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, થોડા સમય પહેલાં અયોધ્યામાં રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ, જેમાં વિપક્ષના કોઈ નેતા હાજર રહ્યા નહોતા. જોકે, મોદીએ ભવ્ય રામ મંદિરની ગેરંટી આપી હતી અને તે પૂરી કરી. જે કામ ૫૦૦ વર્ષમાં ના થઈ શક્યું, જે રામ મંદિરનું નિર્માણ રોકવા માટે કોંગ્રેસ અને રાજદ વર્ષો સુધી પ્રયત્નો કરતા રહ્યા તે બનીને ઊભું છું. અને તે પણ સરકારના નહીં દેશવાસીઓના રૂપિયાથી બન્યું છે.

કોંગ્રેસ સહિત વિપક્ષ પર હુમલો કરતા મોદીએ કહ્યું કે, વિપક્ષને ભગવાન રામથી એટલી શું દુશ્મનાવટ છે કે ભગવાન રામ, અયોધ્યા અને આપણા વારસા સમાન રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો તેમણે વિરોધ કર્યો. એટલું જ નહીં તેમના મનમાં એટલું ઝેર ભરાયેલું છે કે તેમના પક્ષના કેટલાક લોકો પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહ્યા તો તેમને છ વર્ષ માટે પક્ષમાંથી કાઢી મૂક્યા. હવે રામ નવમી આવી રહી છે. ભગવાન રામ ભવ્ય મંદિરમાં બિરાજમાન છે. જોકે, આ પાપ કરનારાઓને ભૂલશો નહીં.

છેલ્લા ૧૦ વર્ષમાં ભાજપના કામોનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ ઈન્ડિયા બ્લોકના નેતાઓને ટાંકીને કહ્યું કે, તેઓ કહે છે કે મોદીનું ગેરંટી આપવું યોગ્ય નથી અને તેના પર પ્રતિબંધ મૂકાવો જોઈએ. જોકે, મોદી ગેરંટી આપે છે, કારણ કે મોદીનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે. મોદી એટલા માટે ગેરંટી આપે છે, કારણ કે તે ગેરંટી પૂરી કરવા માટે મહેનત કરે છે. તેઓ એ પણ જાણે છે કે મોદીની ગેરંટી આવી જ રીતે ચાલતી રહેશે તો તેમની વોટ બેન્કની દુકાન બંધ થઈ જશે.

બંગાળના જલપાઈગુડીમાં એક જનસભાને સંબોધન કરતા મોદીએ કહ્યું કે, તૃણમૂલ કોંગ્રેસ બંગાળમાં આતંકનું લાઈસન્સ વહેંચી રહી છે. મમતા બેનરજી ઈચ્છે છે કે તેમના ભ્રષ્ટાચારી નેતાઓને આતંકનું ખુલ્લુ લાઈસન્સ મળ્યું છે. તેથી જ કેન્દ્રીય તપાસ એજન્સીઓ ભ્રષ્ટાચારના કેસોની તપાસ માટે આવે છે ત્યારે તેમના ગુંડા ટીમ પર હુમલા કરાવે છે. ટીએમસી કાયદો અને બંધારણને કચડી નાંખનાર પક્ષ છે. હું કહું છું ભ્રષ્ટાચાર દૂર કરો, વિપક્ષ કહે છે ભ્રષ્ટાચારીઓને બચાવો. પરંતુ હું તમને ગેરંટી આપું છું કે, ૪ જૂન પછી ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી થશે.

દરમિયાન વડાપ્રધાને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સાથે જબલપુરમાં એક રોડ શો યોજ્યો હતો અને રાજ્યમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. પીએમ મોદી અને સીએમ મોહન યાદવ એક ખુલ્લી જીપમાં સવાર હતા અને જંગી સંખ્યામાં લોકોએ તેમનું અભિવાદન કર્યું હતું. જોકે, ગોરખપુર ક્ષેત્રમાં લોકોની ભીડ એટલી વધી ગઈ હતી કે તેમના ઊભા રહેવા માટે બનાવાયેલો મંચ તૂટી પડયો હતો, જેથી લોકો નીચે પડયા હતા. આ દુર્ઘટનામાં કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે.

પીએમ મોદીની સભામાં નીતિશ કુમારની જીભ લપસી

૪૦૦૦થી વધુ સાંસદોનું તમને સમર્થન ઃ બિહારના મુખ્યમંત્રી

નવાદા: લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે પીએમ મોદીએ રવિવારે બિહારના નવાદામાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. આ સભામાં મુખ્યમંત્રી નીતિશ કુમારની જીભ લપસી હતી. તેમણે એનડીએના ઉમેદવારને ટેકો આપવાની અપીલ કરતા કહ્યું અમને આશા છે કે ૪,૦૦૦થી વધુ સાંસદો તેમના સમર્થનમાં રહેશે. હું આ જ વિનંતી કરવા આવ્યો છું. નીતિશ કુમારે કહ્યું કે, આજે વડાપ્રધાન અને અમે બધા વિવેક ઠાકુરને જંગી મતોથી જીતાડવાની વિનંતી કરવા આવ્યા છીએ. વડાપ્રધાને બિહારમાં વિકાસ માટે અનેક યોજનાઓ બનાવી છે. ભૂલશો નહીં કે બિહારમાં ૨૦૦૫ પહેલાં કેવી સ્થિતિ હતી. કેટલા હિન્દુ-મુસ્લિમ રમખાણો થતા હતા. અમે વિકાસ માટે કામ કરીએ છીએ. અમે ૧૦ લાખ સરકારી નોકરી અને રોજગાર આપીશું. સાથે મળીને આગળ વધીશું. વડાપ્રધાન તરીકે મોદીજીને ૧૦ વર્ષ થઈ ગયા છે. આગામી પાંચ વર્ષ સુધી તેમને કોઈ મુશ્કેલી નહીં આવે. અમને આશા છે કે ૪,૦૦૦થી વધુ સાંસદો તેમના સમર્થનમાં આવશે. જોકે, તેઓ કહેવા માગતા હતા કે ૨૦૨૪ની ચૂંટણીમાં એનડીએના ૪૦૦થી વધુ ઉમેદવારો જીતીને સંસદમાં પહોંચશે.


Google NewsGoogle News