Get The App

GSTમાં રહી જવા પામેલ ડ્રાફ્ટિંગની ક્ષતિનો લાભ રીયલ એસ્ટેટના ધંધાર્થીઓને હવે નહી મળે!

Updated: Feb 2nd, 2025


Google NewsGoogle News
GSTમાં રહી જવા પામેલ ડ્રાફ્ટિંગની ક્ષતિનો લાભ રીયલ એસ્ટેટના ધંધાર્થીઓને હવે નહી મળે! 1 - image


- કરચોરી કરનારા સાવધાન : 'ટ્રેક અને ટ્રેસ મિકેનિઝમ' આવી રહેલી છે

- GST કાઉન્સીલની કેટલીક ભલામણોના આધારે ફેરફારો સૂચવવામાં આવ્યા હતા

અમદાવાદ : તા ૧.૨.૨૫ના રોજ રજુ થયેલ કેન્દ્રીય બજેટમાં સરકાર દ્વારા જીએસટી કાઉન્સીલની કેટલીક કાયદાકિય ભલામણોના આધારે ફેરફારો સૂચવવામાં આવેલ છે. ખાસ તો કેટલીક ચીજ્વાસ્તુઓમાં ધ્યાને આવેલ વ્યાપક કરચોરીને ડામવા માટેના પગલા લેવા અને કોર્ટ કેસોને કારણે ઉપસ્થિત થયેલ કાયદાકીય બાબતો ઉપર ફોકસ કરવામાં આવેલ છે. ઉપરાંત વેપારી આલમની મુશ્કેલીઓ દુર કરવા માટે પણ જીએસટી કાયદામાં કેટલાક ફેરફારો કરવામાં આવી રહેલ છે. 

૧. અગાઉ તારીખ ૫.૧.૨૪ના જાહેરનામા ક્ર: ૪ દ્વારા સરકાર દ્વારા ગુટખા, તમાકુ, પાન મસાલા, વગેરે જેવી ચીજો માટે જીએસટીની કલમ ૧૪૮ હેઠળ પેકિંગ મશીનરી અને ઉત્પાદનની વિગતો તેમજ ચાર્ટર્ડ એન્જીનીયરનું પ્રમાણપત્ર ઠરાવેલ ફોર્મ SRM-I/II/III  માં સાદર કરવાનું ફરમાવવામાં આવેલ છે. હવે કેટલીક ચીજ વસ્તુઓમાં થતી કરચોરી અટકાવવા માટે જીએસટીના કાયદાની નવી સૂચિત કલમ ૧૪૮-એમાં સરકારને એવી સત્તાઓ આપવામાં આવશે કે જેનાથી 'ટ્રેક અને ટ્રેસ મિકેનિઝમ' શરૂ કરવામાં આવે અને જરૂર પડયે એવા ગૂડઝ/પેકેટ ઉપર જેમાં કરચોરીની સંભાવના વધારે હોય તેમાં તમામ જરૂરી હોય તેવી વિગતો વાળું એક યુનિક આઇડેન્ટિફિકેશન માર્કિંગ લગાડવામાં આવે અને ત્યારબાદ તેને છેકથી છેક ટ્રેક કરવામાં આવે જેથી કરચોરોને પકડી શકાય અથવા તો કરચોરી ઘટાડી શકાય. આવો માર્ક ઉખાડી ન શકાય તેવો રાખવામાં આવશે. આ અંગેના નિયમો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવેશે. આ પદ્ધતિના આમલ માટે માલ સપ્લાય કરનાર, વહન કરનાર કે સ્ટોર કરનારે ઠરાવ્યા પ્રમાણેનો રેકર્ડ રાખવનો અને માંગ્યા મુજબની માહિતી પૂરી પાડવાની રહેશે. આ માટે નોંધાયેલ વેપારીએ ઇન્સ્ટોલ કરેલ મશીનરી, કેટલા કલાક મશીનો ચલાવાય છે વગેરે જેવી તમામ જરૂરી માહિતી/વિગતો ચકાસણી અર્થે પૂરી પાડવાની રહેશે.

આ કલમની જોગવાઈઓનો અમલના થવાના કિસ્સામાં દંડકીય કાર્યવાહી કરી શકાય તે માટે કાયદામાં નવી કલમ ૧૨૨-બી ઉમેરવામાં આવશે. તે મુજબ કાયદામાં ઠરાવેલ અન્ય દંડ ઉપરાંત રૂ એક લાખ અથવા વેરાના ૧૦% જેટલી રકમ, એ બે પૈકી જે રકમ વધુ હશે તેટલો દંડ વેપારીએ ભરવાનો થશે.

૨. જ્યારે કલમ ૧૨૯ ને લગતા કોઈ આદેશમાં માત્ર દંડ આકારવામાં આવેલ હોય ત્યારે તેની પ્રથમ અપીલ ફાઇલ કરવાના કિસ્સામાં ડાઉન પેમેન્ટની રકમ ઘટાડવાની ભલામણ જીએસટી કાઉન્સિલ દ્વારા થયેલ છે. હવે, વેપારીએ આ માટે માત્ર ૧૦% રકમ ભરવાની રહેશે. પરંતુ કેટલાક લોકો એવું અર્થઘટન કરી રહ્યા છે કે ૧૨૯ સિવાયના કેસોમાં પણ ઓછામાં ઓછા ૧૦% ભરવાના રહેશે. જે અર્થઘટન એટલા માટે પણ સાચું માનવાપાત્ર જણાતું નથી કારણકે કાયદામાં હાલ એવી કોઈ જોગવાઈ નથી અને જીએસટી કાઉન્સિલે એવી કોઈ ભલામણ પણ કરેલ નથી.

૩. જ્યારે કોઈ કિસ્સામાં વેરો ઉઘરાવવાનો ન થતો હતો અને ઉઘરાવેલ હોય તો હવે તેનું રિફંડ મળવાપાત્ર થશે નહી.

૪. અનુસૂચી-૩ ના ફકરા ૮ પછી નવી પેટા-એન્ટ્રી (ચચ) દાખલ કરવી. તે મુજબ નિકાસ થાય કે ડોમેસ્ટિક ટેરીફ એરિયામાં વેચાય તે પહેલા જીઈઢ એકમ અથવા ફ્રી-ટ્રેડ ઝોનમાં વેરહાઉસ કરેલ હોય ગુડ્ઝનો કોઈ વ્યક્તિને સપ્લાય કરવામાં આવે તો તેના ઉપર વેરો લાગશે નહી.  

૫. સુપ્રીમ કોર્ટના સફારી રીટ્રીટસના ચુકાદાનો લાભ નહિ મળે :  આપણે જાણીએ છીએ કે નામદાર સુપ્રીમ કોર્ટે આ કેસ નામદાર ઓડીશા હાઇકોર્ટને રિમાન્ડ કરેલ અને શોપિંગ મોલના બાંધકામનો સમાવેશ કલમ ૧૭(૫)(ડી) મુજબ 'પ્લાન્ટ'માં થાય કે કેમ તે નક્કી કરવા  જણાવેલ. હવે તાજેતરની ૫૫ મી જીએસટી કાઉન્સીલની બેઠકમાં ચર્ચા અને ભલામણ થયા મુજબ જીએસટીની કલમ ૧૭(૫)(ડી)માં ડ્રાફ્ટિંગ તબક્કે રહેલ ક્ષતિ જૂની તારીખ એટલે ૧.૭.૨૦૨૭થી અમલી થાય તે રીતે દુર કરવાનું વિચારેલ છે. આમ હવે કેટલાક વિવાદોનો અંત આવશે પરંતુ રીયલ એસ્ટેટના ધંધાર્થીઓને આ જોગવાઈ નહિ ગમે કારણકે નામદાર સુપ્રીમ કોર્ટેના ચુકાદા બાદ એક આશા જાગેલ હતી પરતું હવે તેઓને પ્લાન્ટની વેરાશાખ મળવાપાત્ર નહિ થાય. 

જીએસટી હેઠળ સ્થાવર મિલકતના બાંધકામના કિસ્સામાં વપરાયેલ ઇનપુટસ ઉપર વેરા શાખ મળે કે નહીં તે અંગે સૌ કોઈ નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. તે છેવટે તારીખ ૦૩.૧૦.૨૦૨૪ના રોજ આવી ગયેલ. કેસ હતો ચીફ કમિશનર ઓફ સીજીએસટી વિરુદ્ધ સફારી રીટ્રીટસ પ્રાઇવેટ લિમિટેડ (Civil Appeal No. 2948 of 2023).અગાઉ આ વેપારીના કેસમાં નામદાર ઓડીશા હાઇકોર્ટે વેપારીની તરફેણમાં ચુકાદો આપેલ હતો. વેપારીશ્રી શોપિંગ મોલનું બાંધકામ કરે છે અને ત્યારબાદ તે જુદા જુદા વ્યક્તિઓને ભાડે કે લીઝની શરતોએ વાપરવા આપે છે. તેઓશ્રીએ સિમેન્ટ, સ્ટીલ, રેતી એલ્યુમિનિયમ વાયર, પ્લાયવુડ, વગેરેની ખરીદી કરેલ અને આર્કિટેકટ, કન્સલ્ટન્સી તેમજ લીગલ સેવાઓ મેળવેલ. આ તમામ ઈનપુટ અને ઈનપુટ સેવાઓ ઉપર તેમણે વેરો ચૂકવેલ છે. તેમની રૂ ૩૪ કરોડ જેટલી વેરાશાખ જમા થઇ. પરંતુ જીએસટીના અધિકારીઓ દ્વારા તેઓની વેરા શાખ કલમ ૧૭(૫)(ડી) ની જોગવાઈઓ મુજબ નામંજૂર કરવામાં આવેલ. આપણે જાણીએ છીએ કે કલમ ૧૭(૫)(ડી)ની જોગવાઈઓ મુજબ પ્લાન્ટ અને મશીનરી સિવાય સ્થાવર મિલકતના કિસ્સામાં આઇટીસી મળવાપાત્ર થતી નથી. 

GST

Google NewsGoogle News