રામલલા પ્રાણ પ્રતિષ્ઠા બાદ પહેલા બે દિવસમાં જ રામ મંદિરને મળ્યું રૂ. 3.17 કરોડનું જંગી દાન

પ્રાણ પ્રતિષ્ઠા બાદ પહેલા જ બે દિવસમાં રામ મંદિરને મળ્યું રૂ. 3.17 કરોડનું દાન

દાનની બાબતમાં રામ મંદિરે એક જ દિવસમાં બધા મંદિરના રેકોર્ડ તોડ્યા, જાણો આ બાબતમાં કયા મંદિરો છે ટોચે

Updated: Jan 25th, 2024


Google NewsGoogle News
રામલલા પ્રાણ પ્રતિષ્ઠા બાદ પહેલા બે દિવસમાં જ રામ મંદિરને મળ્યું રૂ. 3.17 કરોડનું જંગી દાન 1 - image


Ayodhya Ram Mandir impact on UP Economy: અયોધ્યા રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પહેલા બે દિવસમાં રામ મંદિરને રૂ. 3.17 કરોડનું દાન મળ્યું છે. આ દાન પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે પ્રતિષ્ઠિત લોકો તરફથી મળ્યું છે. ત્યારબાદ જયારે જાહેર જનતા માટે મંદિર ખુલ્લું મુકાયું ત્યારે સામાન્ય ભક્તોએ પણ મંદિરમાં લગભગ રૂ. 10 લાખનો પ્રસાદ ચઢાવ્યો હતો. રામલલાના દર્શનાર્થે આવતા ભક્તોથી માત્ર અયોધ્યાને જ નહિ પરંતુ સમગ્ર ઉત્તરપ્રદેશ રાજ્યને ફાયદો થશે. અયોધ્યા ધામમાં લાખો ભક્તોને ધ્યાનમાં રાખીને અનેક દેશી-વિદેશી અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અયોધ્યામાં આવનારા સમયમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં રેકોર્ડબ્રેક વધારો જોવા મળશે. જેના કારણે રાજ્ય અને દેશની અર્થવ્યવસ્થાને વેગ મળશે. ઉત્તરપ્રદેશને એક ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાના સીએમ યોગીના સંકલ્પને પૂર્ણ કરવામાં અયોધ્યા ધામ એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે તેવી પૂરી સંભાવના છે.

વધુ ટેક્સ કલેક્શન થવાની સંભાવના 

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે અયોધ્યા ધામમાં એરપોર્ટ, રેલવે સ્ટેશન, ટાઉનશિપ અને રોડ કનેક્ટિવિટી સાથે નવી હોટેલોનું નિર્માણ કરવામાં આવ્યું છે. રામ મંદિર અને અન્ય પ્રવાસન સ્થળોના કારણે ઉત્તરપ્રદેશને 2024-25 માં રૂ. 25 હજાર કરોડનું ટેક્સ કલેક્શન થવાની સંભાવના છે. 

આ રીતે મળશે અયોધ્યાની અર્થવ્યવસ્થાને વેગ 

અન્ય એક અનુમાન મુજબ ભગવાન શ્રી રામના દર્શન માટે દરરોજ એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચશે. આ સંખ્યા ટૂંક સમયમાં વધીને દરરોજ ત્રણ લાખ ભક્તોની થઈ શકે છે. જો આ અનુમાન મુજબ થશે તો દર વર્ષે 10 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચશે. જો અયોધ્યા પહોંચનાર દરેક ભક્ત રૂ. 2500 પણ ખર્ચ કરે તો એકલા અયોધ્યાની સ્થાનિક અર્થવ્યવસ્થામાં રૂ. 25000 કરોડનો ઉમેરો થશે.

ભારતના મંદિરોની સંપતિ 

પદ્મનાભ મંદિર, કેરલ

ભારતનું સૌથી અમીર મંદિર છે. એક રિપોર્ટ અનુસાર, મંદિરની 6 તિજોરીઓમાં કુલ 20 અબજ ડોલરની સંપત્તિ છે. એટલું જ નહીં મંદિરના ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુની વિશાળ સોનાની મૂર્તિ છે, જેની કિંમત આશરે રૂ. 500 કરોડ છે.

તિરુપતિ બાલાજી, આંધ્રપ્રદેશ

ભગવાન વેંકટેશ્વરને સમર્પિત આ મંદિરમાં ભક્તો દર વર્ષે લગભગ રૂ. 650 કરોડનું દાન કરે છે. તેમજ લાડુનો પ્રસાદ વેચીને મંદિર લાખો રૂપિયાની કમાણી કરે છે. મંદિરમાં નવ ટન સોનું અને વિવિધ બેંકોમાં ફિક્સ ડિપોઝીટમાં રૂ. 14,000 કરોડનો ભંડાર હોવાનું માનવામાં આવે છે.

સાંઈ બાબા મંદિર, શિરડી 

અહેવાલો અનુસાર, મંદિરના બેંક ખાતામાં લગભગ રૂ. 1800 કરોડ જમા છે, જેમાં 380 કિલો સોનું, 4428 કિલો ચાંદી તેમજ ડોલર અને પાઉન્ડ જેવી વિદેશી કરન્સીના રૂપમાં મોટી રકમ છે. 2017માં રામ નવમીના અવસર પર એક અજાણ્યા ભક્ત દ્વારા મંદિરમાં 12 કિલો સોનું દાન કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં દર વર્ષે લગભગ રૂ. 350 કરોડનું દાન આવે છે.

વૈષ્ણોદેવી મંદિર, જમ્મુ 

ભારતના આ શક્તિપીઠની દર વર્ષની આવક રૂ. 500 કરોડ છે. જે તેને દેશના સૌથી ધનિક મંદિરોમાંથી એક બનાવે છે. 

સિદ્ધિવિનાયક મંદિર, મુંબઈ

ભગવાન ગણેશને સમર્પિત આ મંદિર 3.7 કિલો સોનાથી કોટેડ છે, જે કોલકાતાના એક વેપારીએ દાનમાં આપ્યું હતું. રેકોર્ડ્સ અનુસાર, મંદિરની સંપતિ  રૂ. 125 કરોડ છે. તેમજ મંદિરને દાન અને પ્રસાદમાંથી દરરોજ લગભગ  રૂ. 30 લાખની આવક થાય છે.

રામલલા પ્રાણ પ્રતિષ્ઠા બાદ પહેલા બે દિવસમાં જ રામ મંદિરને મળ્યું રૂ. 3.17 કરોડનું જંગી દાન 2 - image


Google NewsGoogle News