અયોધ્યા કેસમાં ચુકાદો આપનાર 5 ન્યાયાધીશ સહિત વકીલોને પણ પ્રાણપ્રતિષ્ઠાનું આમંત્રણ

રામ મંદિર-બાબરી મસ્જિદ કેસ સંબંધિત અન્ય ન્યાયાધીશો અને વકીલોને પણ પાઠવાયું આમંત્રણ

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
અયોધ્યા કેસમાં ચુકાદો આપનાર 5 ન્યાયાધીશ સહિત વકીલોને પણ પ્રાણપ્રતિષ્ઠાનું આમંત્રણ 1 - image


Ayodhya Ram Mandir Inauguration : અયોધ્યાનાં રામ મંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ યોજાવાની છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ઉપરાંત દેશભરના લાખો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી પ્રાણપ્રતિષ્ઠાનો લ્હાવો મેળવી ધન્યતા અનુભવશે. મળતા અહેવાલો મુજબ રામ મંદિર પર ઐતિહાસિક ચુકાદો આપનાર સુપ્રીમ કોર્ટના 5 ન્યાયાધીશોને પણ આમંત્રણ પાઠવાયું છે. આમંત્રિતોમાં પૂર્વ મુખ્ય ન્યાયાધીશો, ન્યાયાધીશો અને ટોચના વકીલો સહિત 50થી વધુ ન્યાયશાસ્ત્રીઓનો પણ સમાવેશ થાય છે.

જાણો, અયોધ્યા કેસ સાથે સંકળાયેલા કોને કોને પાઠવાયું આમંત્રણ

આમંત્રિતોમાં સૉલિસિટર જનરલ તુષાર મહેતા અને પૂર્વ એર્ટૉની જનરલ કે.કે.વેણુગોપાલનું નામ પણ સામેલ છે. રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદ પર ચુકાદો આપનાર 5 ન્યાયાધીશોમાં પૂર્વ સીજેઆઈ રંજન ગોગોઈ, પૂર્વ સીજેઆઈ શરદ અરવિંદ બોબડે, સીજેઆઈ ડી.વાય.ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને એસ.અબ્દુલ નજીર સામેલ છે, જેમને પ્રાણપ્રતિષ્ઠા માટે આમંત્રણ મોકલાયું છે. આ ઉપરાંત આમંત્રિત મહેમાનોમાં અયોધ્યા કેસની સુનાવણીમાં સામેલ વકીલ કે.પરાસરન, હરિશંકર જૈન, વિષ્ણુ શંકર જૈન, સી.એસ.વૈદ્યનાથન, મહેશ જેઠમલાની, એસ.જી.તુષાર મેહતા, પૂર્વ એજી કે.કે.વેણુગોપાલ, મુકુલ રોહતગી સામેલ છે. આમંત્રિત ન્યાયાધીશમાં યૂયૂ લલિત, જી.એસ.ખેહર, ડી.કે.જૈન, જ્ઞાન સુધા મિશ્રા, હેમંત ગુપ્તા, ચેલમેશ્વર, રામા સુબ્રમણ્યમ, કે.જી.બાલાકૃષ્ણન, અનિલ દવે, કૃષ્ણ મુરારી, એમ.કે.શર્મા, આદર્શ ગોયલ, વી.એન.ખરેનો સમાવેશ થાય છે.

રામ મંદિર-બાબરી મસ્જિદ કેસમાં સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું?

2019માં 9 નવેમ્બરે રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદનો અંતિમ ચુકાદો સંભળાવાયો હતો. સુપ્રીમ કોર્ટને ચુકાદામાં કહ્યું હતું કે, વિવાદાસ્પદ 2.77 એક જમીન રામલલાની જન્મભૂમિ છે. આ મામલે કોર્ટે ભારત સરકાર હસ્ત એક ટ્રસ્ટ નિમવાનો અને તે ટ્રસ્ટને વિવાદાસ્પદ જમીન સોંપવાનો નિર્ણય કર્યો હતો. સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપ્યો હતો કે, ઉત્તર પ્રદેશ સુન્ની વક્ફ બોર્ડને મસ્જિદ બનાવવા વૈકલ્પિ જમીન ફાળવવામાં આવે. ઉલ્લેખનિય છે કે, 6 ડિસેમ્બર-1992માં એક ભીડે બાબરી મસ્જિદ ધ્વસ્ત કરી દીધું હતું, ત્યારબાદ રામ મંદિર આંદોલન શરૂ થયું હતું.


Google NewsGoogle News