ભાજપને બહુમતી નહીં મળતા રાજનાથ સિંહનો દબદબો? ગઠબંધન સાચવવામાં હશે ખાસ રોલ

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
ભાજપને બહુમતી નહીં મળતા રાજનાથ સિંહનો દબદબો? ગઠબંધન સાચવવામાં હશે ખાસ રોલ 1 - image


Image: Facebook

Rajnath Singh: લોકસભા ચૂંટણી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી સરકારની રચના થઈ ચૂકી છે. કેબિનેટ મંત્રીઓએ શપથ લઈ લીધાં છે. મંત્રાલયોની વહેંચણી થઈ ચૂકી છે અને નવા મંત્રીઓએ ચાર્જ પણ સંભાળી દીધો છે. સરકારની રચનાના મોર્ચે જોઈએ તો તમામ કામ પૂરા થઈ ચૂક્યા છે પરંતુ હજુ પણ એક મહત્ત્વપૂર્ણ કામ બાકી છે. લોકસભા સ્પીકરની ચૂંટણી. 18મી લોકસભાનું પહેલું સત્ર 24 જૂનથી શરૂ થવાની શક્યતા છે અને આ દરમિયાન જ નવા સ્પીકરની ચૂંટણી થવાની છે. સત્તાધારી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ)ની અધ્યક્ષતા કરી રહેલી ભાજપ સ્પીકરની ખુરશી પોતાની પાસે રાખવા ઈચ્છે છે તો તેલુગુ દેશમ પાર્ટી પણ આ પદ ઈચ્છી રહી છે.

હવે સંકટ એ છે કે ભાજપ 16મી અને 17મી લોકસભાની જેમ આવી સ્થિતિમાં નથી કે સીધા નામનું એલાન કરી દે કે આ આગામી સ્પીકર હશે. ભાજપે 2014 અને 2019ની ચૂંટણીમાં એકલા પૂર્ણ બહુમત માટે જરૂરી 272 ના જાદુઈ આંકડાથી વધુ બેઠકો જીતી હતી. આ વખતે પાર્ટી 240 બેઠકો જ જીતી શકી. બહુમતના આંકડાથી પાછળ રહેવાના કારણે ભાજપ માટે સ્પીકર પસંદ કરવામાં પણ સહયોગીઓનો સાથ જરૂરી થઈ ગયો છે. બીજી તરફ ભાજપના સહયોગી ટીડીપી અને જેડીયુને વિપક્ષી પાર્ટીઓ પણ સ્પીકર પોસ્ટ પોતાની પાસે રાખવા માટે ઉશ્કેરી રહી છે. જેડીયુએ ઉશ્કેરણી વચ્ચે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ જેને નામાંકિત કરશે અમે તેનું સમર્થન કરીશું પરંતુ ટીડીપીની તરફથી તેને લઈને કોઈ નિવેદન આવ્યું નથી.

સ્પીકર ચૂંટણીથી પહેલા હવે રક્ષા મંત્રી રાજનાથ સિંહ એક્ટિવ થઈ ગયાં છે. સંવાદના માહિર રાજનાથ સિંહે એનડીએને એકત્ર રાખવાની જવાબદારી સંભાળી અને પોતાના આવાસ પર ગઠબંધનના નેતાઓની બેઠક બોલાવી દીધી. રાજનાથના આવાસ પર થયેલી બેઠકમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના પ્રમુખ ચિરાગ પાસવાન, જેડીયુ તરફથી લલન સિંહ બેઠકમાં હાજર હતાં. બેઠકમાં સ્પીકર માટે સાંસદોના નામ પર ચર્ચા થઈ અને તેના માટે વિપક્ષી પાર્ટીઓથી પણ સમર્થન મેળવવાની રણનીતિ પર ચર્ચા થઈ.

રાજનાથના આવાસ પર થયેલી બેઠકમાં એ વાતને લઈને પણ ચર્ચા થઈ કે સંસદ સત્ર દરમિયાન વિપક્ષી ઈન્ડિયા બ્લોકની રણનીતિથી કેવી રીતે ઉકેલ મેળવી શકાય. વિપક્ષ છેલ્લા પાંચ વર્ષ ડેપ્યુટી સ્પીકરનું પદ ખાલી રહેવાને લઈને આક્રમક છે અને સંસદ સત્ર દરમિયાન સરકારને ઘેરવાની તૈયારીમાં છે. વિપક્ષે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે ડેપ્યુટી સ્પીકરની પોસ્ટ ન મળી તો તે સ્પીકર માટે પણ ઉમેદવાર ઉતારશે. મોદી સરકાર 3.0 ના પહેલા સંસદ સત્રથી પહેલા રાજનાથના એક્ટિવ થવાને લઈને હવે એ ચર્ચા પણ શરૂ ગઈ છે કે શું નવી સરકારમાં તેમનું કદ વધી ગયું છે?

ગત લોકસભાનો કાર્યકાળ એટલે કે મોદી સરકાર 2.0 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહના નેતા હતા તો નાયબ નેતાની જવાબદારી રાજનાથની પાસે જ હતી. ગૃહ મંત્રી તરીકે સરકારમાં નંબર બે નો હોદ્દો ભલે અમિત શાહની પાસે હતો અને આ વખતે પણ છે પરંતુ શપથના ક્રમ અને લોકસભામાં પીએમ મોદી બાદ રાજનાથ સિંહનો જ નંબર હતો. ત્યારે ભાજપની પાસે સરકાર ચલાવવા માટે જરૂરી સંખ્યાબળ હતું. આ વખતે સમીકરણ 2014 અને 2019થી અલગ છે. આ વખતે ભાજપને સરકાર ચલાવવા માટે સહયોગીઓને પણ સાધવા પડશે અને આવી સ્થિતિમાં રાજનાથની ભૂમિકા મહત્ત્વની થઈ જાય છે.

શા માટે રાજનાથ સિંહનો રોલ મહત્ત્વનો?

રાજનાથ સિંહ મોદી સરકારમાં અટલ-અડવાણી યુગના ભાજપના પસંદગીકાર ચહેરા પૈકીના એક છે. રાજનાથ, અટલ બિહારી વાજપેયીની અધ્યક્ષતાવાળી ગઠબંધન સરકારમાં પણ મંત્રી તરીકે કામ કરી ચૂક્યા છે. બે વખત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. બહુમતીથી પાછળ રહેતાં સહયોગીઓના સહારે કાર્યકાળ પૂરો કરનારી સરકારમાં મંત્રી રહેલા રાજનાથ મોદી સરકારમાં ગઠબંધન પોલિટિક્સના સૌથી અનુભવી ચહેરા પૈકીના એક પણ છે.

રાજનાથને તેમની મૃદુભાષી, સંવાદથી સમસ્યાઓને ઉકેલનારા નેતાની ઈમેજ અને ભાજપથી લઈને એનડીએની બીજી પાર્ટીઓમાં સ્વીકાર્યતા પણ મહત્ત્વ બનાવે છે. રાજનાથની ફેન ફોલોઈંગ વિપક્ષી પાર્ટીઓમાં પણ છે અને ઘણી મહત્ત્વની તક પર સંસદમાં ગતિરોધની સ્થિતિ આવવા પર સરકાર પહેલા પણ રાજનાથને આગળ કરી ચૂકી છે. ભાજપ આ વખતે એકલા બહુમતના આંકડાથી પાછળ રહી ગઈ. દરમિયાન રાજનાથ જેવા સ્વીકાર્ય અને માન્ય નેતાનો રોલ મહત્ત્વનો થઈ ગયો છે.




Google NewsGoogle News