ભાજપમાં આંતરિક નારાજગી વધી? પૂર્વ CM વસુંધરા રાજેના નિવેદન બાદ રાજકારણ ગરમાયું

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
Vasundhra Raje, Kirodi lal Meena



Political News: રાજસ્થાનમાં ભજનલાલ સરકારના કૃષિ મંત્રી કિરોડી લાલ મીણાના રાજીનામાથી ભાજપની રાજનીતિમાં ઉથલપાથલ મચી ગઈ છે. આ અંગે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા થઇ રહી છે કે, કિરોડી લાલે પોતાની અવગણના થઇ હોવાના કારણે ભજનલાલ સરકારમાં મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે. દરમિયાન મીડિયા રિપોર્ટમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેનું એક નિવેદન ચર્ચામાં આવ્યું છે. વસુંધરા રાજે દ્વારા આ નિવેદનમાં અપાયેલા રાજકીય સંકેતો પરથી લાગી રહ્યું છે કે રાજસ્થાનના રાજકારણમાં ટૂંક સમયમાં કંઈક મોટું થવાનું છે. રાજકીય નિષ્ણાતો કિરોડી લાલ મીણા અને વસુંધરા રાજેના નિવેદનોને પેટાચૂંટણીમાં 'મોટી રમત'ની શક્યતાઓ સાથે જોડી રહ્યા છે.


'રાહ જુઓ! અમે લડીશું': વસુંધરા રાજે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુરુવારે વિધાનસભામાં થયેલા હોબાળા દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ મોટો રાજકીય સંકેત આપવાનો પ્રયાસ કર્યો હતો. કિરોડી લાલ મીણાના રાજીનામા બાદ વસુંધરા રાજે અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ વિધાનસભાના કોરિડોરમાં ધારાસભ્યોને કહેતા જોવા મળ્યા હતા કે 'રાહ જુઓ અમે લડીશું'. તેમના આ નિવેદન બાદ અટકળો ચાલી રહી છે કે કિરોડી લાલ મીણાના રાજીનામા બાદ શું વસુંધરા રાજે હવે કંઈક મોટું કરવાનું વિચારી રહી છે? 


વસુંધરા રાજે જૂથના લોકો સક્રિય થયા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિધાનસભાના કોરિડોરમાં વસુંધરા રાજે દ્વારા આપવામાં આવેલા રાજકીય સંકેત બાદ હવે વસુંધરા રાજે જૂથના નેતાઓ સક્રિય થઈ ગયા છે. રાજકીય ચર્ચા છે કે કિરોડી લાલ હવે વસુંધરા રાજેના જૂથના સભ્યોના સંપર્કમાં છે. જે હવે કિરોડી લાલ મીણાને પોતાના પક્ષમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે સરકારમાં તેમની ઉપેક્ષા જોઈને કિરોડી લાલ મીણાએ રાજીનામું આપી દીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપના વરિષ્ઠ નેતા હોવા છતાં તેમને કેબિનેટમાં જુનિયર રાખવામાં આવ્યા હતા. ગ્રામીણ પંચાયત રાજ વિકાસ મંત્રાલયને ટુકડાઓમાં વિભાજીત કરીને તેમને આપવામાં આવ્યું હતું. આ કારણે તેમના મનમાં અસંતોષ હતો. 


Google NewsGoogle News