Rajasthan Election 2023: સચિન પાયલટની મુખ્યમંત્રી બનવાની શક્યતાઓ નહિવત- BJP સાંસદ
Image Source: Twitter
- આજે પણ તમામ ધારાસભ્યો સીએમ અશોક ગેહલોતની સાથે છે: BJP સાંસદ
ભપતપુર, તા. 12 ઓક્ટોબર 2023, ગુરૂવાર
Rajasthan Assembly Election 2023: રાજસ્થાનના સવાઈ માધોપુર લોકસભા બેઠક પરથી બીજેપીના સાંસદ સુખબીર જૌનપુરિયા આજે ભરતપુર પહોંચ્યા હતા. ત્યાં તેમણે સચિન પાયલટ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, સચિન પાયલટની મુખ્યમંત્રી બનવાની શક્યતાઓ નહિવત છે. કારણ કે, છેલ્લા 5 વર્ષોથી રાજ્યમાં મુખિયા સીએમ અશોક ગેહલોત રહ્યા છે. બીજી તરફ આજે પણ તમામ ધારાસભ્યો સીએમ અશોક ગેહલોતની સાથે છે. એટલા માટે કોઈ વિચારી ન શકે કે સચિન પાયલટ મુખ્યમંત્રી બની શકશે. તેમના સીએમ બનવાની કોઈ ચર્ચા કોંગ્રેસમાં નથી. એટલા માટે હું વિચારુ છું કે, સચિન પાયલટની મુખ્યમંત્રી બનવાની શક્યતાઓ નહિવત છે.
તેમણે કહ્યું કે, વર્ષ 2013ની વિધાનસભા ચૂંટણીમાં કિરોડી લાલ મીણાએ નવી પાર્ટી બનાવી હતી. આ પાર્ટીમાં સમગ્ર મીણા સમાજ તેમની સાથે ગયો હતો. કારણ કે, તેમને લાગતું હતું કે, કિરોડી લાલ મીણા મુખ્યમંત્રી બની શકે છે. પરંતુ વિધાનસભા ચૂંટણી બાદ તરત લોકસભા ચૂંટણી થઈ હતી. આ ચૂંટણીમાં મીણા સમાજે કોંગ્રેસ પાર્ટીને મત આપ્યા હતા. બીજી તરફ વર્ષ 2018ની વિધાનસભા ચૂંટણીમાં પણ એકદમ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. આ વખતે પણ ગુર્જર સમાજના લોકોને લાગ્યુ કે, સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવી શકાય છે. એટલા માટે ગુર્જર સમાજે કોંગ્રેસ પાર્ટીને મત આપ્યો. પરંતુ સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવામાં ન આવ્યા.
2018માં ભરતપુરમાં બીજેપીના સૂપડા સાફ થઈ ગયા હતા
તેમણે કહ્યું કે, ત્યારબાદ ગુર્જર સમુદાયના લોકોને ઠેસ પહોંચી છે એટલા માટે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ગુર્જર સમાજ સચિન પાયલટની વાતોમાં નહીં આવશે અને તેઓ બીજેપીને મત આપશે. નોંધનીય છે કે, વર્ષ 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભરતપુરમાં બીજેપીના સૂપડા સાફ થઈ ગયા હતા. ભરતપુરની કેટલીક વિધાનસભા બેઠકો પર ગુર્જર મતદાતાઓને પ્રભાવ જોવા મળે છે.
અહીં કોઈ પણ ધારાસભ્યની જીત કે હારમાં ગુર્જર સમાજ મહત્વનો ભાગ ભજવે છે. ગુર્જર સમુદાયે 2018ની ચૂંટણીમાં કોંગ્રેસને મત આપ્યો હતો તેથી હવે ભાજપને લાગે છે કે આ વખતે ગુર્જર સમુદાય સચિન પાયલટને સમર્થન નહીં આપે અને ગુર્જર સમુદાય ભાજપને મત આપશે.