રાજસ્થાનમાં કોણ બનશે મુખ્યમંત્રી? આજે થશે ફાઈનલ, બપોરે બેઠક, વસુંધરા રાજે પર સસ્પેન્સ યથાવત્
રાજનાથ સિંહના નેતૃત્વમાં નિરીક્ષક દળ કરશે બેઠક
વસુંધરા રાજે ફરી સીએમ બનાવવા માગ કરી રહ્યા હોવાની ચર્ચા
Rajasthan bjp cm update: આજે સાંજ સુધીમાં રાજસ્થાનમાં ધારાસભ્ય દળની બેઠક બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે. બપોરે ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે. આ પહેલા ભાજપે પોતાના તમામ ધારાસભ્યોને દિલ્હી બોલાવ્યા હતા. 3 ડિસેમ્બરે પરિણામ જાહેર થયા બાદ મધ્યપ્રદેશમાં નવા ચહેરા તરીકે મોહન યાદવના નામની જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ છત્તીસગઢમાં ભાજપે આદિવાસી ચહેરા તરીકે વિષ્ણુદેવ સાંઈને સીએમ બનાવીને નવો દાંવ રમ્યો છે.
રાજસ્થાનમાં કોણ સીએમ?
જે રીતે ભાજપે મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં પરંપરાગત અને મોટા ચહેરાઓને બાજુ પર મૂકીને નવા ચહેરાઓને તક આપી છે, તે જોતાં લાગે છે કે પાર્ટી અહીં પણ નવા ચહેરાઓ પર દાવ લગાવશે. રાજસ્થાનમાં ભાજપ માટે વસુંધરા રાજે સૌથી મોટો ચહેરો છે. પરંતુ આ વખતે પાર્ટીએ સીએમ ઉમેદવાર જાહેર કર્યા વગર પીએમ મોદીના ચહેરા પર ચૂંટણી લડી હતી. આવી સ્થિતિમાં, એ પહેલાથી જ નક્કી હતું કે પાર્ટી આ વખતે વસુંધરાને સીએમ બનાવવાના મૂડમાં નથી. જોકે, હંમેશા એક્ટિવ રહેતી વસુંધરા આ વખતે ચૂપ હતા. તેઓ પાર્ટીની બેઠકોથી દૂર રહ્યા હતા. એટલું જ નહીં તે ટોચના નેતાઓની બેઠકોમાંથી પણ ગાયબ થવા લાગ્યા હતા.
ચૂંટણીના પરિણામો બાદ સમીકરણો બદલાયા
ભાજપ હાઈકમાન્ડે તેમને ચૂંટણી પહેલા જ પોતાની રણનીતિની જાણકારી આપી દીધી હતી. આવી સ્થિતિમાં, તે પહેલાથી જ નક્કી હતું કે ચૂંટણી જીત્યા પછી, તે ભાજપ તરફથી સીએમ ઉમેદવાર નહીં બને, પરંતુ 3 ડિસેમ્બરના પરિણામો પછી, બધું ઝડપથી બદલાઈ ગયું. પરિણામો બાદ વસુંધરા અત્યાર સુધીમાં બે વખત શક્તિપ્રદર્શન કરી ચૂક્યા છે. આવી સ્થિતિમાં ધારાસભ્ય દળની બેઠક નાટકીય રીતે યોજાય તે નિશ્ચિત છે. તમને જણાવી દઈએ કે શુક્રવારે નિરીક્ષકોની જાહેરાત બાદ રવિવારે યોજાનારી વિધાનસભ્ય દળની બેઠક મોકૂફ રાખવામાં આવી હતી કારણ કે વસુંધરા હજુ પણ સીએમ પદ પર અડગ છે.
કોણ કોણ દાવેદાર?
આ દરમિયાન એવી પણ સંભાવના છે કે પાર્ટી રાજ્યમાં એવા ચહેરા પર પણ દાવ લગાવી શકે છે જેણે ચૂંટણી પણ લડી નથી. આવા ચહેરાઓમાં અશ્વિની વૈષ્ણવ, અર્જુનરામ મેઘવાલ, ગજેન્દ્ર સિંહ શેખાવત, સુનીલ બંસલ, ઓમ માથુર અને ઓમ બિરલાનું નામ આગળ વધી રહ્યું છે. જો કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર એમપી અને છત્તીસગઢમાં આવી જ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી, પરંતુ એવું થયું નથી. હવે જોવાનું એ રહેશે કે રાજસ્થાનમાં કોની તાજપોશી થશે.