રાજસ્થાન ચૂંટણી : કોણ બનશે CM ? ગેહલોતના નિવેદન પર પાયલોટે કહ્યું ‘...તેનો નિર્ણય હાઈકમાન્ડ કરશે’

ગેહલોતના ‘આ ખુરશી મને છોડશે નહીં’ નિવેદન પર પાયલોટે કહ્યું, ‘કોઈ પોતાને CM જાહેર કરી CM નથી બની શકતું’

હાઈકમાન્ડ નિર્ણય કરશે કે, કોણ નેતા બનશે ? અમે તો માત્ર બહુમત માટે ચૂંટણી લડી રહ્યા છીએ : સચિન પાયલોટ

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
રાજસ્થાન ચૂંટણી : કોણ બનશે CM ? ગેહલોતના નિવેદન પર પાયલોટે કહ્યું ‘...તેનો નિર્ણય હાઈકમાન્ડ કરશે’ 1 - image

જયપુર, તા.31 ઓક્ટોબર-2023, મંગળવાર

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી (Rajasthan Assembly Elections 2023)ને લઈ તમામ પક્ષો પુરજોશમાં પ્રચાર અભિયાનમાં લાગી ગયા છે. કોંગ્રેસ પણ પોતાની સત્તા ટકાવી રાખવા મતદારોને રિઝવવામાં લાગી ગઈ છે. કોંગ્રેસ (Congress) દ્વારા સતત એવું દેખાડવામાં આવી રહ્યું છે કે, પાર્ટીમાં કોઈપણ પ્રકારનો મતભેદ નથી અને એક થઈ ચૂંટણી લડવામાં આવી રહી છે. જોકે મુખ્યમંત્રી અશોક ગેહલોત (CM Ashok Gehlot) અને સચિન પાયલોટ (Sachin Pilot)ના નિવેદનોથી બંને વચ્ચે આડકતરા કટાક્ષો જોવા મળતા રહ્યા છે. તાજેતરમાં અશોક ગેહલોતે કહ્યું હું કે, હું તો મુખ્યમંત્રી પદ છોડવા માંગુ છું પરંતુ મુખ્યમંત્રી પદ મને છોડતુ નથી. ત્યારે આ નિવેદનને લઈ સચિન પાયલોટે પણ કટાક્ષ કરતા કહ્યું કે, કોણ કયા પદ પર બેસશે, તેનો નિર્ણય ધારાસભ્ય પક્ષ અને હાઈકમાન્ડ કરશે. તેમણે કહ્યું કે, કોઈ પોતાને મુખ્યમંત્રી જાહેર કરી મુખ્યમંત્રી નથી બની શકતું.

ગેહલોત-પાયલોટ વચ્ચે 2018થી મતભેદ

દરમિયાન રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈને અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે 2018થી ખેંચતાણ જોવા મળી રહી છે. બંને નેતાઓએ એકબીજા પર ઘણીવાર જાહેરમાં નિશાન સાધ્યા છે. ચૂંટણી પહેલા કોંગ્રેસ હાઈકમાન્ડે બંને નેતાઓને મતભેદ ખતમ કરી સાથે મળીને ચૂંટણી લડવાનું કહ્યું હતું. ત્યારબાદ સચિન પાયલોટને કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં પણ સામેલ કરાયા હતા.

આ ખુરશી મને છોડશે નહીં : ગેહલોત

તાજેતરમાં જ અશોક ગેહલોતે કહ્યું હતું કે, તેઓ મુખ્યમંત્રી પદ છોડવા માંગે છે, પરંતુ ખુરશી તેમને છોડતી નથી. પાયલોટ સાહેબની તમામ ટિકિટો લગભગ ક્લિયર થઈ રહી છે. મેં તેમની એક પણ ટિકિટ પર આંગળી ચિંધી નથી. આનાથી મોટી વાત શું હોઈ શકે ? ગેહલોતે કહ્યું કે, સોનિયા ગાંધીએ અધ્યક્ષ બન્યા બાદ સૌપ્રથમ મને મુખ્યમંત્રી બનાવ્યો હતો. મારા પર હાઈકમાન્ડને ઘણો વિશ્વાસ છે કે, તેની પાછળ કંઈક કારણો હશે.

‘કોઈ પોતાને મુખ્યમંત્રી જાહેર કરી મુખ્યમંત્રી નથી બની શકતું’

સચિન પાયલોટે ઈશારામાં જ અશોક ગેહલોતના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, કોણ કયા પદ પર બેસશે તેનો નિર્ણય ધારાસભ્ય દળ અને હાઈકમાન્ડ કરશે. કોઈ પોતાને CM જાહેર કરી CM બની જતા નથી. ટોંકમાં કોંગ્રેસ ઉમેદવાર પાયલોટે કહ્યું કે, ટોંકમાં અમે ભારે મતોથી જીતીશું. કોંગ્રેસ ચૂંટણીમાં ક્યારેય મુખ્યમંત્રીના નામથી આવતી નથી. પહેલા ચૂંટણી જીતીશું, ત્યારબાદ હાઈકમાન્ડ નિર્ણય કરશે કે, કોણ નેતા બનશે ? અમે તો માત્ર બહુમત માટે ચૂંટણી લડી રહ્યા છીએ.


Google NewsGoogle News