'...તો અડધા ધારાસભ્યો સાથ છોડી ગયા હોત' PM મોદી-શાહ અંગે અશોક ગેહલોતનું મોટું નિવેદન
ગેહલોતે કહ્યું - મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્રમાં સરકાર પાડી દીધા બાદ અહીં પણ સરકાર પાડી દેવાનો પ્રયાસ કર્યો પણ લોકોના આશીર્વાદ અમારી સાથે છે
તેમણે કહ્યું કે રાજ્યમાં કોંગ્રેસના ધારાસભ્યો ભ્રષ્ટ હોવાની અફવાઓ ભાજપ અને આરએસએસએ ફેલાવી છે. જો લોકતંત્ર બચાવવું હોય તો કોંગ્રેસને ફરી સત્તામાં લાવવી પડશે
Assembly Election 2023: ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાત કર્યા બાદથી રાજસ્થાનમાં રાજકારણ (Rajasthan Election) ગરમાયું છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે (Ashok Gehlot) પીએમ મોદી (PM Modi) અને અમિત શાહ (Amit Shah) સામે તેમની સરકાર પાડી દેવા માટે કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું કે જો મારી પાસે લોકોનું સમર્થન ન હોત તો મારા અડધા ધારાસભ્યો મારો સાથ છોડી જતાં રહ્યા હોત.
મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની જેમ અહીં તેમનો દાંવ ન ચાલ્યો
સીએમ અશોક ગેહલોતે કહ્યું કે રાજસ્થાન રાજકીય ચર્ચાનો હિસ્સો એટલા માટે નથી બન્યો કેમ કે અમિત શાહ, ગજેન્દ્ર શેખાવતે અમારી સરકાર પાડી દેવાના ઘણાં પ્રયાસો કર્યા. બની શકે કે તેમને પીએમ મોદીના આશીર્વાદ મળ્યા હોય. તેમણે મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્રમાં સરકાર પાડી દીધા બાદ અહીં પણ સરકાર પાડી દેવાનો પ્રયાસ કર્યો પણ લોકોના આશીર્વાદ અમારી સાથે છે.
ધારાસભ્યોને ટિકિટ ન આપવા અંગે શું બોલ્યા ગેહલોત?
સીએમ ગેહલોતે કહ્યું કે ટિકિટ આપતી વખતે ઉમેદવારોની જીતવાની ક્ષમતાને પણ જોવાશે. તેમણે કહ્યું કે સ્થાનિક સ્તરે પ્રજાનું કામ તો વર્તમાન ધારાસભ્યોના માધ્યમથી જ થયું છે તો તેમને કેવી રીતે ટિકિટની ના પાડી શકાય? તેમણે કહ્યું કે રાજ્યમાં કોંગ્રેસના ધારાસભ્યો ભ્રષ્ટ હોવાની અફવાઓ ભાજપ અને આરએસએસએ ફેલાવી છે. જો લોકતંત્ર બચાવવું હોય તો કોંગ્રેસને ફરી સત્તામાં લાવવી પડશે.