રાહુલની ભારત જોડો ન્યાય યાત્રાને વિઘ્ન, મણિપુરમાં અનુમતી ના મળી
14મીથી ઇમ્ફાલના મેદાનમાં સભાથી શરૂઆત થવાની હતી, હવે સ્થળ બદલાશે
મણિપુરમાં ફરી હિંસાની ઘટનાઓ વચ્ચે મુખ્યમંત્રી બિરેન સિંહે ઇમ્ફાલમાં સભા યોજવાની ના પાડી દીધી
નવી દિલ્હી: ૧૪મી જાન્યુઆરીથી મણિપુરથી કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થવા જઇ રહી છે. જોકે આ યાત્રા શરૂ થાય તે પહેલા જ અડચણ ઉભી થઇ ગઇ છે. કોંગ્રેસે મણિપુરના ઇમ્ફાલના પ્રસિદ્ધ હફ્તા કાંગજેઇબુંગ મેદાનમાં સભાથી યાત્રાની શરૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. જોકે મણિપુરની રાજ્ય સરકારે આ સભાને અનુમતી આપવાની ના પાડી દીધી છે.
મણિપુર સરકારે ઇમ્ફાલના મેદાનમાં સભા કરવાની ના પાડી દીધી હોવાથી હવે કોંગ્રેસે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ફરજ પડી છે. મણિપુર કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ મેઘચંદ્રએ જણાવ્યું હતું કે અમે ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરવા સભા યોજવાની અનુમતી માટે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી, જોકે મુખ્યમંત્રીએ ના પાડી દીધી છે. રાજ્ય સરકારનું આ વલણ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે હવે વૈકલ્પિક સ્થળ અંગે વિચારી રહ્યા છીએ. આ યાત્રા યુવાઓ, મહિલાઓ, ખેડૂતો, ગરીબો, વંચિતો માટે છે. આ યાત્રા ઇમ્ફાલથી મુંબઇ સુધી જશે, ૬૬ દિવસની યાત્રા દરમિયાન ૬૭૦૦ કિમીનું અંતર પાર પડાશે.
મણિપુરમાં આ યાત્રા શરૂ થાય તે પહેલા જ મુશ્કેલીનો સામનો કરી રહી છે. ઇમ્ફાલથી યાત્રાની શરૂઆત થવાની છે, જોકે તે પહેલા જ વિઘ્ન આવી ગયું છે. સરકારે હાલ ઇમ્ફાલમાં યાત્રા માટે સભા યોજવાની ના પાડી દીધી છે. જ્યારે બીજી તરફ રાજ્યમાં કેટલાક સ્થળોએ હિંસાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. જેને કારણે હવે મણિપુરમાં જો ઇમ્ફાલના પ્રખ્યાત મેદાનમાં સભા યોજવાની અનુમતી ના મળે તો અન્ય ક્યુ સ્થળ પસંદ કરવું અને શું અન્ય સ્થળ પર પણ સભાને મંજૂરી મળશે કે કેમ તેને લઇને કોંગ્રેસ મુંજવણમાં મુકાઇ હોવાના અહેવાલો છે. રવિવારે જ કેટલાક વિસ્તારોમાં બોમ્બમારો અને હિંસાની ઘટનાઓ સામે આવી ચુકી છે.