'મોદી પહેલા જેવા નથી રહ્યાં, ચૂંટણી પછી..' રાહુલનો ટોણો, યુપીમાં ભાજપની હારનું કારણ જણાવ્યું

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
'મોદી પહેલા જેવા નથી રહ્યાં, ચૂંટણી પછી..' રાહુલનો ટોણો, યુપીમાં ભાજપની હારનું કારણ જણાવ્યું 1 - image


Rahul Gandhi statement on PM Modi | કોંગ્રેસ નેતા અને કેરળની વાયનાડ લોકસભા સીટના સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે મોદી હવે પહેલા જેવા નથી રહ્યા. દેશની જનતાએ લોકસભા ચૂંટણીમાં ભાજપને શીખવ્યું કે તે ભારતના બંધારણને સ્પર્શી નહીં શકે. આ જ કારણે વડાપ્રધાન મોદી પણ હવે ચૂંટણી પહેલા કરતા સાવ અલગ દેખાઈ રહ્યા છે.

પીએમ મોદી સામે તાક્યું નિશાન 

ચૂંટણી બાદ કેરળની પ્રથમ મુલાકાતે કાલપેટ્ટા પહોંચેલા રાહુલ ગાંધીએ એક સભાને સંબોધતા આરોપ લગાવ્યો હતો કે લોકસભા ચૂંટણી પહેલા ભાજપના નેતાઓએ કહ્યું હતું કે તેઓ બંધારણ બદલી નાખશે. પરંતુ ચૂંટણી પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણ વિશે ચાપલુસી જેવી વાતો કરી. લોકોએ તેમને પાઠ ભણાવ્યો કે તમે દેશના બંધારણને સ્પર્શ નહીં કરી શકો. 

બંધારણની વિશેષતાનો કર્યો ઉલ્લેખ 

રાહુલે કહ્યું કે ભારતનો વિચાર એકબીજા પ્રત્યે આદર બતાવવામાં જ નિહિત છે અને આદરનું પ્રતીક ભારતનું બંધારણ છે. બંધારણ આપણા તમામ ઈતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાઓનું રક્ષણ કરવાની ખાતરી આપે છે. રાહુલે આરોપ લગાવ્યો કે છેલ્લા 10 વર્ષમાં ભાજપની આગેવાનીવાળી કેન્દ્ર સરકારે બંધારણ પર સતત હુમલા કર્યા. તેઓ એક સમુદાય બીજા સમુદાય સાથે લડે તે માટે બંધારણનો મુસદ્દો તૈયાર કરવા માંગતા હતા અને એક રાષ્ટ્ર અને એક સંસ્કૃતિ લાદવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

યુપીમાં કેમ હાર્યું ભાજપ... જણાવ્યું કારણ 

રાહુલે દાવો કર્યો હતો કે ભાજપે અયોધ્યા સહિત ઉત્તર પ્રદેશની મોટાભાગની લોકસભા બેઠકો ગુમાવી દીધી છે કારણ કે ભાજપ ભારતના વિચાર પર હુમલો કરી રહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે વારાણસી મતવિસ્તારમાંથી ઓછા માર્જિનથી જીત્યા હતા અને ભાજપ સંપૂર્ણ બહુમતી મેળવવામાં નિષ્ફળ ગયો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાજપની આગેવાનીવાળી સરકાર દેશને એક કરી શકતી નથી. 

'મોદી પહેલા જેવા નથી રહ્યાં, ચૂંટણી પછી..' રાહુલનો ટોણો, યુપીમાં ભાજપની હારનું કારણ જણાવ્યું 2 - image


Google NewsGoogle News