'મારી માતાએ મને વિશ્વાસથી આ કર્મ ભૂમિ સોંપી છે', રાયબરેલીથી ફોર્મ ભર્યા બાદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા

Updated: May 3rd, 2024


Google NewsGoogle News
'મારી માતાએ મને વિશ્વાસથી આ કર્મ ભૂમિ સોંપી છે', રાયબરેલીથી ફોર્મ ભર્યા બાદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા 1 - image


Rahul Gandhi Nomination : લોકસભા ચૂંટણી માટે આજે (ત્રીજી મે) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાયબરેલી બેઠકથી ઉમેદવારી નોંધાવી છે. ત્યારે હવે ઉમેદવારી નોંધાવ્યા બાદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે 'X' પર લખ્યું કે, રાયબરેલીથી ઉમેદવારી મારા માટે ભાવુક ક્ષણ હતી! મારી માતાએ મને ખુબ ભરોસા સાથે પરિવારની કર્મભૂમિ સોંપી છે અને તેની સેવાનો મોકો આપ્યો છે. અમેઠી અને રાયબરેલી મારા માટે અલગ-અલગ નથી, બંને મારા પરિવાર છે અને મને ખુશી છે કે 40 વર્ષથી વિસ્તારની સેવા કરી રહેલા કિશોરી લાલ જી અમેઠીથી પાર્ટીનું પ્રતિનિધિત્વ કરશે. અન્યાય વિરૂદ્દ ચાલી રહેલા ન્યાયના યુદ્ધમાં હું મારા પોતાનાની મહોબ્બત અને તેના આશીર્વાદ માંગુ છું. મને વિશ્વાસ છે કે બંધારણ અને લોકશાહીને બચાવવાની આ લડાઈમાં તમે મારી સાથે ઉભા છો.

રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલીથી ચૂંટણી મેદાને

રાહુલ ગાંધીએ આજે પોતાની જૂની બેઠક અમેઠી છોડીને રાયબરેલી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન તેમની સાથે માતા સોનિયા ગાંધી, બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા, વહુ રોબર્ટ વાડ્રા, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હવે બે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. વાયનાડ બેઠક પર મતદાન સંપન્ન થઈ ગયું છે. ત્યારે આજે તેમણે રાયબરેલી બેઠક પરથી પણ ઉમેદવારી નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશની રાયબરેલી અને અમેઠી બેઠકોના કોંગ્રેસના ઉમેદવારોના નામની આજે જાહેરાત કરવામાં આવી હતી. પાર્ટીએ રાહુલ ગાંધીને રાયબરેલી બેઠક પરથી અને કિશોરી લાલને અમેઠીની બેઠક પરથી મેદાનમાં ઉતારવાની જાહેરાત કરવામાં આવી હતી.

રાયબરેલી અને અમેઠીમાં 20મી મેએ મતદાન થશે

રાયબરેલી અને અમેઠી બેઠકો માટે 20 મે 2024ના રોજ જ મતદાન થશે. ચોથી જૂને મતગણતરી થશે. અગાઉ અમેઠીથી કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્માએ પ્રિયંકા ગાંધીની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી. નોંધનીય છે કે પહેલા એવી અટકળો હતી કે પ્રિયંકા ગાંધી અમેઠીથી ચૂંટણી લડી શકે છે. પરંતુ યાદી જાહેર થયા બાદ તમામ અટકળોનો અંત આવ્યો હતો.


Google NewsGoogle News