‘PM મોદીએ યુદ્ધ રોકી દીધું પણ પેપર લીક અટકાવી ના શક્યા’, NEET મામલે રાહુલ ગાંધી

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
Rahul Gandhi spoke on NEET-NET controversy


Rahul Gandhi on  NEET-NET controversy : મેડિકલ પ્રવેશ પરીક્ષા ‘નીટ’ (NEET 2024)ની બબાલ વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા યોજાયેલી UGC-NET પરીક્ષા રદ થયા બાદ દેશભરમાં આક્રોશ અને ચર્ચાનો વિષય બની ગયો છે, ત્યારે યૂજીસી નીટ યૂજી પરીક્ષામાં પેપર લીક મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘ભાજપના લોકોએ તમામ શૈક્ષણિક સંસ્થાઓને કેપ્ચર કરીને રાખી છે. જ્યાં સુધી આ સંસ્થાઓને મુક્ત કરવામાં નહીં આવે, ત્યાં સુધી આવું ચાલતું રહેશે.’

વડાપ્રધાન પરીક્ષા લીકની સમસ્યા ન રોકી શક્યા : રાહુલ

રાહુલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, વડાપ્રધાન મોદી પરીક્ષા લીકની સમસ્યાને રોકી શક્યા નથી. તમે એક પરીક્ષામાં ગેરરીતિ સામે આવ્યા બાદ રદ કરી છે. ખબર નથી કે બીજી રદ થશે કે નહીં. જોકે આ મામલે કોઈક તો જવાબદાર છે અને આ માટે કેટલાકની ધરપકડ ધવી જોઈએ.’ ઉલ્લેખનીય છે કે, નીટ પરીક્ષાની બબાલ વચ્ચે નેટ પરીક્ષામાં પણ ધાંધલીના અહેવાલો સામે આવ્યા છે. નેટની પરીક્ષા યોજાયા બાદ તેને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

‘મોદીએ રશિયા-યૂક્રેન યુદ્ધ અટકાવ્યું, પરંતુ પેપર લીકને ન અટકાવી શક્યા’

રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘શિક્ષણ વ્યવસ્થાનું ડિમોનેટાઈઝેશન થઈ ગયું છે. નિષ્પક્ષ શિક્ષણ વ્યવસ્થા ધ્વસ્ત થઈ ગઈ છે. અમે આ મુદ્દાને સંસદમાં ઉઠાવીશું. નીટ અને યુજીસી નેટ પેપર લીક થયું છે. એવું કહેવાય છે કે, નરેન્દ્ર મોદીજીએ રશિયા-યૂક્રેન યુદ્ધ અટકાવ્યું હતું, તેમણે ઈઝરાયેલ-ગાઝાની લડાઈ પણ અટકાવી હતી, જોકે ભારતમાં કેટલાક કારણોસર પેપર લીક થઈ રહ્યા છે, તેને નરેન્દ્ર મોદી અટકાવી શકતા નથી કે પછી અટકાવવા માંગતા નથી.’

ભાજપનો એજ્યુકેસન સિસ્ટમ પર કબજો : રાહુલ

તેમણે વધુમાં કહ્યું કે, NEETનું પેપર લીક થયું છે. ભાજપે એજ્યુકેશન સિસ્ટમ પર કબજો કર્યો છે. મહેનતુ વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ છે. દોષિતો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. દેશના યુવાઓ સાથે રમત રમાઈ રહી છે. અમે નીટ પેપર લીકનો મુદ્દો સંસદમાં ઉઠાવીશું.

18 જૂને UGC-NETની લેવાયેલી પરીક્ષા રદ થઈ

ઉલ્લેખનીય છે કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ગઈકાલે 18મી જૂને દેશના જુદાં જુદાં શહેરોમાં  (ઓએમઆર) પેન અને પેપર બંને મોડમાં આ પરીક્ષા લેવામાં આવી હતી. જોકે, આ પરીક્ષાનું પેપર લીક થયાની ફરિયાદ મળી હતી. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય હેઠળના સાયબર ક્રાઈમ કો ઓર્ડિનેશન સેન્ટરના નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ યુનિટને ચોક્કસ ઈનપૂટ પ્રાપ્ત થયા હતા. તે અનુસાર  આ પરીક્ષાનું પેપર લીક થયાનું કન્ફર્મ થયું હતું. 

પેપર લીકના ઈનપુટ મળ્યા બાદ પરીક્ષા કરાઈ રદ

આ રીપોર્ટ બાદ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયે ગઈકાલે યોજાયેલી પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. હવે નવેસરથી પરીક્ષા યોજાશે. તેની તારીખ સહિતની વિગતો હવે પછી જાહેર કરાશે. સાથે સાથે  પેપર લીક થવાની સમગ્ર ઘટનાની તપાસ પણ સીબીઆઈને સોંપાવમાં આવી છે. એક સત્તાવાર યાદી અનુસાર બિહાર પોલીસની આર્થિક ગુના અપરાધ નિવારણ શાખા પાસેથી સમગ્ર અહેવાલ મેળવવામાં આવી રહ્યો છે. તે મળ્યા બાદ સરકાર આગળની કાર્યવાહી કરશે. 

11 લાખથી વધુ ઉમેદવારે ભર્યું હતું NET ફોર્મ

યુજીસી નેટનું ફોર્મ 11 લાખથી વધુ ઉમેદવારે ફોર્મ ભર્યું હતું. તેમાંથી 81 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. દેશભરના 317 શહેરોમાં આ પરીક્ષા યોજાઈ હતી. 18 જૂને પરીક્ષા થઈ પણ નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ ડિવિઝનને પરીક્ષામાં ગેરરીતિઓની ફરિયાદ મળ્યા પછી તપાસ શરૂ કરી. તપાસમાં માલુમ પડ્યું કે, શિક્ષણ સંસ્થાઓના ઓનલાઈન ચેટ ફોરમ પર યુજીસી નેટના પ્રશ્ન પત્રો અને સોલ્વ્ડ પેપર વિશે વાતચીત ચાલી રહી છે. ત્યાર પછી નેટની પરીક્ષા જ રદ કરવાનો નિર્ણય લેવાયો. ભારતની કોલેજો તથા યુનિવર્સિટીઓમાં આસિસ્ટન્ટ પ્રોફેસર, જુનિયર રિસર્ચ ફેલોશિપ અને આસિસ્ટન્ટ પ્રોફેસર માટે પાત્રતા નક્કી કરવા આ પરીક્ષા યોજવામાં આવે છે.  નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા આ પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટના સ્વરુપે લેવાય છે. આ પરીક્ષા દર વર્ષે ડિસેમ્બર તથા જૂનમાં એમ બે વખત લેવામાં આવે છે. કુલ 83 વિષયોમાં આ પરીક્ષા યોજાતી હોય છે.

NEET કૌભાંડમાં મોટો ઘટસ્ફોટ, લાખોના પગાર આપી આઉટસોર્સ સ્ટાફ, પરીક્ષા કેન્દ્રોના કોન્ટ્રાક્ટ!, વધુ માહિતી વાંચવા માટે ્અહીં ક્લિક કરો

દેશમાં પેપર લીક થવાનો સિલસિલો યથાવત્

યુજીસી નેટની પરીક્ષા રદ કરવામાં આવી હોય તેવું પહેલીવાર બન્યું છે. દેશમાં છેલ્લા કેટલાય સમયથી અનેક મહત્વની પરીક્ષાઓના પેપર ફૂટયાં હોય અને પરીક્ષા રદ કરવી પડી હોય તેનો સિલસિલો ચાલી રહ્યો છે. તેમાં હવે યુજીસી નેટનો પણ ઉમેરો થતાં અધ્યાપક બનવા માટે  તૈયારી કરતા ઉમેદવારો હતાશ થઈ ગયા છે. કેન્દ્ર સરકારે પરીક્ષા રદ કરવાની સાથે પેપર લીક થવા અંગે સીબીઆઈ તપાસના આદેશો આપ્યા છે. 

‘PM મોદીએ યુદ્ધ રોકી દીધું પણ પેપર લીક અટકાવી ના શક્યા’, NEET મામલે રાહુલ ગાંધી 2 - image


Google NewsGoogle News