'અમારી સરકાર બનશે તો અનામત પરની 50 ટકાની મર્યાદા દૂર કરાશે', ચૂંટણી પહેલા રાહુલ ગાંધીનું વચન

Updated: Feb 6th, 2024


Google NewsGoogle News
'અમારી સરકાર બનશે તો અનામત પરની 50 ટકાની મર્યાદા દૂર કરાશે', ચૂંટણી પહેલા રાહુલ ગાંધીનું વચન 1 - image

નવી મુંબઇ,તા. 6 ફેબ્રુઆરી 2024, મંગળવાર 

લોકસભાની ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો ગણાઈ રહ્યાં છે. દેશના તમામ મોટા રાજકીય પક્ષો તૈયારીઓમાં લાગ્યા છે. ચૂંટણીમાં લોકોને રીઝવવા પક્ષોએ વચનો આપવાનું શરૂ કરી દીધું છે. એક તરફ વડાપ્રધાન મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભાજપ અભૂતપૂર્વ જીત સાથે 370 બેઠકો મેળવશે અને એનડીએ ગઠબંધન આગામી સામાન્ય ચૂંટણીમાં 400નો આંકડો પાર કરશે. બીજી તરફ, વાયનાડથી કોંગ્રેસના લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ પણ જાહેરાત કરી છે કે જો વિપક્ષી ગઠબંધન INDIA ભારતમાં સત્તામાં આવશે તો દેશવ્યાપી જાતિ ગણતરી હાથ ધરવામાં આવશે અને અનામત પરની 50 ટકાની મર્યાદા પણ દૂર કરવામાં આવશે.

રાંચીની જનસભામાં રાહુલ ગાંધીએ આક્ષેપ પણ કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટીએ ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા (JMM) - કોંગ્રેસ-રાષ્ટ્રીય જનતા દળ સરકારને તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો કારણ કે રાજ્યના મુખ્યપ્રધાન આદિવાસી હતા. ગાંધીએ શહીદ મેદાન ખાતે આયોજિત રેલીમાં કહ્યું, "હું ભાજપ- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાવતરાને રોકવા અને ગરીબોની સરકારને બચાવવા માટે ગઠબંધનના તમામ ધારાસભ્યો અને ચંપાઈ સોરેન જીને અભિનંદન આપવા માંગુ છું."

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું, “ભારત સામે આ સૌથી મોટો પ્રશ્ન છે. અમારું પહેલું પગલું દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાનું રહેશે. હાલની જોગવાઈઓ હેઠળ 50 ટકાથી વધુ અનામત આપી શકાય નહીં. રાહુલ ગાંધીએ ચૂંટણી માટે બ્રમાસ્ત્ર સમાન વચન આપ્યું હતું કે ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ એલાયન્સ (INDIA)ની સરકાર આરક્ષણ પરની 50 ટકાની મર્યાદાને 'દૂર' કરશે.

ગાંધીએ કહ્યું, “દલિતો અને આદિવાસીઓના આરક્ષણમાં કોઈ કાપ નહીં આવે. હું તમને ખાતરી આપું છું કે સમાજના પછાત વર્ગોને તેમના અધિકારો મળશે. સામાજિક અને આર્થિક અન્યાય અમારા સૌથી મોટા મુદ્દા છે.

PM મોદીના સંસદના નિવેદન પર કટાક્ષ : 

જાતિની વસ્તી ગણતરીની માંગ કરવામાં આવી ત્યારે પીએમ મોદી કહે છે કે અહીં માત્ર બે જ જાતિઓ છે - અમીર અને ગરીબ પરંતુ સંસદમાં સાહેબ કરે છે કે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓબીસી છું.

ગાંધીએ દાવો કર્યો, "જ્યારે ઓબીસી, દલિતો, આદિવાસીઓને અધિકાર આપવાનો સમય આવે છે, ત્યારે મોદીજી કહે છે કે કોઈ જાતિ નથી અને જ્યારે મત લેવાનો સમય આવે છે, ત્યારે તેઓ કહે છે કે તેઓ ઓબીસી છે."


Google NewsGoogle News