'પંજાબ સંતો-વીરોની ભૂમિ છે', બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું સનાતન અંગે વધુ એક નિવેદન
Image Source: Twitter
- વિધર્મી લોકો પર સકંજો કસવો જરૂરી છે નહીંતર સનાતનીઓને લાલચ આપીને ધર્માંતરણ કરાવતા રહેશે: ધીરેન્દ્ર શાસ્ત્રી
પઠાણકોટ, તા. 23 ઓક્ટોબર 2023, સોમવાર
બાગેશ્વર ધામના બાબા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાલમાં પંજાબમાં છે. પઠાણકોટમાં તેમનો ત્રણ દિવસીય શ્રીમદ ભગવદ્ ગીતાની કથાનો કાર્યક્રમ છે. આ વચ્ચે મીડિયા સાથે વાતચીત દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ સનાતન ધર્મ અંગે મોટું નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું કે, પંજાબ સંતો અને વીરોની ભૂમિ છે. પંજાબ એક સમૃદ્ધ ભૂમિ છે. રાજ્યના લોકો સ્નેહ કરનારા અને મોટા દિલ વાળા છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ આગળ કહ્યું કે, મારો લક્ષ્ય આપણી સંસ્કૃતિ અને સનાતનનો સંદેશ દેશભરમાં ફેલાવવાનો છે. તેમણે કહ્યું કે, હું માત્ર એટલું ઇચ્છું છું કે વિદેશી શક્તિઓ ગુરુદ્વારા, મંદિરોમાં પ્રવેશ ન કરે અથવા નિર્દોષ હિંદુઓ અથવા કોઈપણ ધર્મના લોકોને લાલચ ન આપે. આ કારણે જ હું દેશભરમાં કૂચ કરી રહ્યો છું.
હિન્દુઓને લાલચ આપીને ધર્માંતરણ કરાવે છે
તેમણે કહ્યું કે, મારો હેતુ માત્ર વિદેશી શક્તિઓથી ગુરુદ્વારા, મંદિરોને બચાવવાનો છે અને નિર્દોષ હિંદુઓને લાલચ આપીને કરાવવામાં આવતા ધર્માંતરણથી બચાવવાનો છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, આ રઘુવરનો દેશ છે બાબરનો નથી. તેમણે કહ્યું કે, જ્યાં સુધી દેશમાં સખત કાયદો બનાવવામાં નહીં આવશે ત્યાં સુધી નિર્દોષ હિન્દુઓને લાલચ આપીને ધર્માંતરણ કરાવતા રહેશે. વિધર્મી લોકો પર સકંજો કસવો જરૂરી છે નહીંતર સનાતનીઓને લાલચ આપીને ધર્માંતરણ કરાવતા રહેશે. ધીરેન્દ્ર શાસ્ત્રી સ્વર્ણ મંદિરમાં માથુ ટેકવવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદ દુર્ગિયાના મંદિરમાં પણ દર્શન કરવા માટે પહોંચ્યા હતા.