કેદી સુધરી ગયો હોય તો, તેને જેલમાં રાખવાથી શું મળે ? સર્વોચ્ચ અદાલતે કરેલી મહત્વની ટિપ્પણી
- સજામાં છૂટ આપી સમય પૂર્વે કેદીને મુક્ત નહીં કરવો તે તેના મૌલિક અધિકારોના હનન સમાન છે
નવી દિલ્હી : અપરાધીઓને સમયથી પહેલાં મુક્ત કરવા અંગે સુપ્રીમ કોર્ટે પોતાના એક મહત્વના ચુકાદામાં કહ્યું હતું કે, જે કેદી સુધરી ગયો હોય, તેને જેલમાં રાખવાથી શું મળશે ? સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જેલમાં રહેવા કેદીઓને સજામાં છૂટ આપી, સમયથી પહેલાં મુક્ત કરવાનો ઈનકાર કરવા તે કેદીઓના મૌલિક અધિકારોનાં હનન સમાન છે. તેથી કેદીઓમાં નિરાશાની ભાવના ઉત્પન્ન થાય છે.
આશરે ૨૬ વર્ષથી જેલમાં રહેલા કેદીને મુક્ત કરવાનો આદેશ આપતાં સુપ્રીમ કોર્ટે આ ટીકા કરી હતી.
૧૯૯૮માં ડેકૌટી અને એક મહિલાની હત્યાના ગુનામાં કરેલની જેલમાં બંધ ૬૫ વર્ષના જોસેફની અરજી ઉપર ચુકાદો આપતાં ન્યાયમૂર્તિઓ સર્વશ્રી રવીન્દ્ર ભટ્ટ અને દીપંકર દત્તાની પીઠે કહ્યું હતું કે, સજામાં છૂટ અપાયા પછી, સમય પહેલાં મુક્ત કરવાનો ઈનકાર કરવો તે સંવિધાનના સમાનતાના અધિકાર અને જીવનના અધિકાર નીચે સંરક્ષિત મૌલિક અધિકારોનાં હનન સમાન છે.
આ સાથે તે પીઠે તે કેદીઓનાં પુનર્વસન અને સુધારણા ઉપર પણ વિચાર કરવા અનુરોધ કર્યો હતો, અને કહ્યું હતું કે, જેઓ વર્ષો સુધી સળીયાઓની પાછળ રહેલા હોય તેવો ઘણા સુધરી પણ ગયા હોય.
આ પીઠે તેમ પણ કહ્યું કે, 'લાંબા સમય સુધી જેલોમાં બંધ કેદીઓને સમય પૂર્વે મુક્ત ન કરવા, તે માત્ર તેઓના આત્માને કચડવા જેટલું જ નથી, પરંતુ સમાજના કઠોર અને ક્ષમા ન કરવાનો નિર્ધાર પણ દર્શાવે છે.'