Get The App

રાજધાની, શતાબ્દીમાં ખાવાનું પ્રિ ઓર્ડર કરો, નહિતર ચૂકવો તોતિંગ ચાર્જ

Updated: Jul 2nd, 2022


Google NewsGoogle News
રાજધાની, શતાબ્દીમાં ખાવાનું પ્રિ ઓર્ડર કરો, નહિતર ચૂકવો તોતિંગ ચાર્જ 1 - image


- રેલવેએ 20 રૂપિયાના ચાના કપ માટે 50 રૂપિયા સર્વિસ ચાર્જ વસૂલ્યો, 70 રૂપિયામાં પડી એક કપ ચા

નવી દિલ્હી, તા. 02 જુલાઈ 2022, શનિવાર

સોશિયલ મીડિયામાં એક બિલનો ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં રેલવે દ્વારા 20 રૂપિયાના એક ચાના કપ માટે 50 રૂપિયાનો સર્વિસ ચાર્જ વસૂલવામાં આવ્યો હોવાનું દેખાય છે. બિલ પરથી જોઈ શકાય છે કે, બાલગોવિંદ વર્મા 28 જૂન 2022ના રોજ ભોપાલ શતાબ્દીમાં મુસાફરી કરી રહ્યા હતા.

મુસાફરી દરમિયાન તેમણે ચા મગાવી હતી જેની વાસ્તવિક કિંમત 20 રૂપિયા હતી પરંતુ તેમણે વધારાના 50 રૂપિયા સર્વિસ ચાર્જ તરીકે ચુકવવા પડ્યા હતા. તેમણે બિલનો ફોટો શેર કરીને લખ્યું હતું કે, 20 રૂપિયાની ચા પર 50 રૂપિયાનો ટેક્સ, સાચે જ દેશનું અર્થતંત્ર બદલાઈ ગયું, અત્યાર સુધી તો ઈતિહાસ જ બદલાયો હતો!

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ બિલ પર લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ત્યારે આઈઆરસીટીસી દ્વારા આ સમગ્ર મામલે સ્પષ્ટતા જાહેર કરવામાં આવી છે. 

રેલવેએ દર્શાવ્યું કારણ

રેલવેના અધિકારીઓના કહેવા પ્રમાણે ભારતીય રેલવેના વર્ષ 2018ના સર્ક્યુલર પ્રમાણે જો કોઈ મુસાફર રાજધાની, શતાબ્દી અને દુરંતો જેવી ટ્રેન માટે બુકિંગ કરતી વખતે ભોજન પ્રિ બુક નહીં કરાવે તો મુસાફરી દરમિયાન તેણે ભોજન માટે સર્વિસ ચાર્જ ચુકવવો પડશે. ખાવા-પીવાની કોઈ પણ વસ્તુ માટે 50 રૂપિયા પ્રતિ ભોજન સર્વિસ ચાર્જ લાગુ થશે. પછી ભલે તે આઈટમ માત્ર એક ચાનો કપ જ કેમ ન હોય. 

આઈઆરસીટીસીના અધિકારીના કહેવા પ્રમાણે ટ્રેનમાં સર્વ કરવામાં આવતા ભોજનની કિંમત માટે રેલવે બોર્ડના નિયમો અને આદેશોને ફોલો કરવામાં આવી રહ્યા છે. આઈઆરસીટીસીના નિયમ પ્રમાણે જ 20 રૂપિયાની એક ચા માટે સર્વિસ ચાર્જ બાદ 70 રૂપિયા લેવામાં આવ્યા હતા. 



Google NewsGoogle News